AHMEDABAD ના બ્રેઇનડેડ મહિલાનું હૃદય કલક્ત્તાના દર્દીમાં ધબકશે, અંગદાનથી 5 લોકોને મળ્યું નવજીવન

અમદાવાદ સિવિલ હોસ્પિટલની SOTTO ની ટીમને 19 દિવસના ટૂંકાગાળામાં બીજુ હૃદયદાન મેળવવામાં મોટી સફળતા મળી છે. બ્રેઇનડેડ 35 મહિલાના અંગોનું દાન કરવામાં આવ્યું જેમાં હૃદય કોલકત્તા ખાતે મોકલવામાં આવ્યું છે

AHMEDABAD ના બ્રેઇનડેડ મહિલાનું હૃદય કલક્ત્તાના દર્દીમાં ધબકશે, અંગદાનથી 5 લોકોને મળ્યું નવજીવન

અર્પણ કાયદાવાલા/ અમદાવાદ: અમદાવાદ સિવિલ હોસ્પિટલની SOTTO ની ટીમને 19 દિવસના ટૂંકાગાળામાં બીજુ હૃદયદાન મેળવવામાં મોટી સફળતા મળી છે. બ્રેઇનડેડ 35 મહિલાના અંગોનું દાન કરવામાં આવ્યું જેમાં હૃદય કોલકત્તા ખાતે મોકલવામાં આવ્યું છે. મહત્વનું છે કે સિવિલ હોસ્પિટલમાંથી હૃદય માત્ર 6 મિનિટમાં એરપોર્ટ ખાતે પહોચાડવામાં આવ્યું હતું.

અમદાવાદ સિવિલ હોસ્પિટલ થકી અંગદાનની અવારનવાર બનતી ઘટનાઓ માનવતાની અનેરી સુવાસ ફેલાવી રહી છે. આવી જ અંગદાનની વધુ એક ઘટના આજે સિવિલ હોસ્પિટલમાં બની. જેમાં 35 વર્ષીય મિત્તલબેન પ્રજાપતિ બ્રેઈનડેડ થતા તેમના પતિ ભરતભાઇ પ્રજાપતિ અને સ્વજનોએ અંગોનું દાન કરીને દિવંગતોને અમરત્વ આપ્યું છે. મિત્તલબેનના મળેલા અંગોના દાનમાં હૃદય મેળવવામાં પણ સફળતા મળી હતી. જેને ગ્રીનકોરિડોર મારફતે ફક્ત 6 મિનીટમાં અમદાવાદ એરપોર્ટ પહોંચાડવામાં આવ્યું હતુ. અમદાવાદ એરપોર્ટથી મિત્તલબેનનું હૃદય કલકત્તાના જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવશે. 

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 19 દિવસના ટૂંકાગાળામાં બીજુ હૃદયદાન મેળવવામાં સફળતા મળી છે. અત્યાર સુધીમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં SOTTO ની ટીમ દ્વારા 9 મહિનામાં 12 અંગદાન મેળવીને જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન બક્ષ્યું છે. અમદાવાદના અમરાઇવાડી વિસ્તારમાં મિત્તલબેનનું અકસ્માત થતા તેઓને પ્રાથમિક સારવાર માટે અન્ય હોસ્પિટલમાં લઇ ગયા બાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓ બ્રેઇનડેડ જાહેર થયા હતા.

બ્રેઇન ડેડ જાહેર થતા સિવિલ હોસ્પિટલની SOTTO ની ટીમ દ્વારા મિત્તલબેનના પતિ અને તેમના સ્વજનોને અંગદાનનું મહત્વ સમજાવવામાં આવ્યુ હતુ. તેમના પરિવાર જનોને અંગદાન માટે વિગતવાર માહિતી પણ આપવામાં આવી હતી. જેનાથી પ્રેરાઇને પરિવારજનોએ મિત્તલબેનના અંગોનું દાન કરવાનો જનહિતલક્ષી, હૃદયસ્પર્શી નિર્ણય કર્યો હતો. મિત્તલબેનના અંગદાનમાં 2 કિડની, લીવર, સ્વાદુપિંડ અને હૃદયનું દાન મેળવવામાં સફળતા મળી હતી. જેના થકી જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન પ્રાપ્ત થશે.

સિવિલ હોસ્પિટલની SOTTO હેઠળની ટીમ અંગદાન સંદર્ભે દિવસ-રાત જનજાગૃતિ માટે શ્રેષ્ઠ કામગીરી કરી રહી છે. જેના પરિણામ સ્વરૂપ જ આજે સિવિલ હોસ્પિટલમાં બ્રેઇન ડેડ થતા દર્દીના સ્વજનોમાં અંગદાન અંગે જાગૃકતા આવી છે. છેલ્લા 9 મહિનામાં કોરોનાની વિકટ પરિસ્થિતિ વચ્ચે પણ સિવિલ હોસ્પિટલમાં 12 અંગદાનમાં સફળતા મળી છે. જેના થકી જરૂરિયાતમંદ દર્દીઓના જીવનમાં સુધાર આવ્યો છે. મિત્તલબેનના સ્વજનોએ અંગદાનનો નિર્ણય કરીને સમાજ માટે એક ઉદાહરણ પૂરુ પાડ્યું છે. મહત્વનું છે કે અંગદાનમાં અમીરો કરતા ગરીબો સૌથી મોખરે રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news