પ્રસુતાને હોસ્પિટલમાં સારવારને બદલે મળ્યું મોત? બોરસદમાં મોતનું રહસ્ય ઘૂંટાયું, પરિવારનો મોટો આરોપ

બોરસદનાં કાવિઠા ગામની દિવ્યાબેન દેવેન્દ્રકુમાર ઠાકોરની સાસરી વડોદરા ગામે થતી હતી. પરંતુ તેઓની પ્રથમ પ્રસુતિ હોવાનાં કારણે તેઓ પિયરમાં હતા. તે દરમિયાન તેઓને પ્રસવ પીડા ઉપડતા બોરસદની ખાનગી દિપ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

પ્રસુતાને હોસ્પિટલમાં સારવારને બદલે મળ્યું મોત? બોરસદમાં મોતનું રહસ્ય ઘૂંટાયું, પરિવારનો મોટો આરોપ

બુરહાન પઠાણ/આણંદ: જિલ્લાનાં બોરસદની દિપ હોસ્પિટલમાં પ્રસુતી બાદ પ્રસુતા પરિણિતાની તબીયત લથડતા તેણીને અન્ય હોસ્પિટલમાં લઈ જતા મોત નિપજતા આ બનાવને લઈને મૃતક પરિણિતાનાં સગા વ્હાલાઓએ ડોકટરની બેદરકારીનાં કારણે પરિણિતાનું મોત નિપજયું હોવાનાં આરોપ લગાવી હોબાળો મચાવતા ચકચાર મચી જવા પામી છે. બોરસદ પોલીસે હાલમાં પરિણીતાનાં મૃતદેહનું પોષ્ટમોર્ટમ કરાવી વધુ તપાસ હાથ ધરી છે.

બોરસદનાં કાવિઠા ગામની દિવ્યાબેન દેવેન્દ્રકુમાર ઠાકોરની સાસરી વડોદરા ગામે થતી હતી. પરંતુ તેઓની પ્રથમ પ્રસુતિ હોવાનાં કારણે તેઓ પિયરમાં હતા. તે દરમિયાન તેઓને પ્રસવ પીડા ઉપડતા બોરસદની ખાનગી દિપ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જયાં તેણીએ ગત રાત્રે દિકરાને જન્મ આપ્યો હતો અને ત્યારબાદ થોડીવાર પછી દિવ્યાબેનને અચાનક રકતસ્ત્રાવ વધી જતા આસરે બે કલાક બાદ ડોકટર પ્રશાંત પટેલે દર્દી દિવ્યાબેનની તબીયત વધુ લથડતા અન્ય હોસ્પિટલમાં લઈ જવા જણાવતા તેઓનાં પરિવારજનો દિવ્યાબેનને કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં લઈ જતા જયાં તબીબે તેઓને તપાસીને મૃત જાહેર કર્યા હતા. 

પરિણિતાનાં મોતની ઘટનાને લઈને તેઓનાં પરિવારજનોએ આક્ષેપ કર્યા હતા કે દિવ્યાબેનએ બાળકને જન્મ આપ્યા બાદ ડૉકટર પ્રશાંત પટેલ હોસ્પીટલમાં રોકાવાનાં બદલે સ્ટાફને સોંપીને ચાલ્યા ગયા હતા અને ત્યારબાદ રકતસ્ત્રાવ વધી જતા ડૉકટર હોસ્પીટલમાં આવ્યા હતા. પરંતુ તેઓની તબીયતની ગંભીરતા અંગે સગાવ્હાલાઓને કોઈ જાણ કરવામાં આવી ન હતી. 

તેમજ જયારે અન્ય હોસ્પીટલમાં રીફર કર્યા ત્યારે પણ ડૉ.પ્રશાંત પટેલએ ખાનગી કે 108ની એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી આપવાનાં બદલે ખાનગી વાહનમાં દર્દીને અન્ય હોસ્પીટલમાં લઈ જવા ફરજ પાડી હતી અને લોહી વહી જવાનાં કારણે કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પીટલમાં તબીબે તપાસની દિવ્યાબેનનું મૃત્યું થયું હોવાનું જાહેર કર્યું હતું.

સમગ્ર ધટનામાં મૃતકનાં પરિવારજનો દ્વારા હોબાળો કરી ડોકટરની બેદરકારીનાં કારણે પ્રસુતાનું મોત નિપજયું હોવાનાં આક્ષેપ કર્યા હતા, આ બનાવ અંગે બોરસદ પોલીસ દ્વારા મૃતક પરિણિતાનાં મૃતદેહનું કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પીટલમાં પોષ્ટમોર્ટમ કરાવ્યું હતું અને પોષ્ટમોર્ટમ રીપોર્ટ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. 

જો આ સમગ્ર ધટના અને આક્ષેપો અંગે હોસ્પીટલનાં તબીબ ડૉ.પ્રશાંત પટેલને મળવાનાં પ્રયાસો કરતા તેઓએ મિડીયા સાથે વાત કરવાનો કે મળવાનો ઈન્કાર કર્યો હતો, હાલતો સમગ્ર ધટનામાં માસુમ બાળકએ દુનિયામાં પગ મુકતાની સાથે જ માતાનું છત્ર ગુમાવી દેતા અરેરારી પ્રસરી જવા પામી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news