બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા અંગે મોટા અપડેટ, આ શહેરના પરીક્ષા કેન્દ્રનું સ્થળ બદલાયું

Binsachivalay Clerk Exam : કોલ લેટરમાં બરોડા હાઇસ્કુલ, ઓ.એન.જી.સી ટાઉનશીપ, મકરપુરા રોડ, વડોદરા સરનામું આપવામાં આવ્યું છે. પરંતુ હવે તેના બદલે બરોડા હાઇસ્કુલ, એક્સપ્રેસ હોટેલની સામે, નુતન ભારત સોસાયટી, અલકાપુરી, વડોદરા ખાતે સુધારા થયેલ સરનામા મુજબ પરીક્ષા લેવાશે

બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા અંગે મોટા અપડેટ, આ શહેરના પરીક્ષા કેન્દ્રનું સ્થળ બદલાયું
  • બિનસચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસીસ્ટંટ પરીક્ષા માટે મહત્વના સમાચાર
  • વડોદરાના પરીક્ષા કેન્દ્રના સરનામામાં ફેરફાર કરાયો
  • આવતીકાલે રવિવારે બપોરે 11 થી 1 દરમિયાન પરીક્ષા લેવાશે
  • રાજ્યના 32 જિલ્લાના 3,243 કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન

અતુલ તિવારી/અમદાવાદ :આવીતાકલે 24 એપ્રિલ, રવિવારે રાજ્યભરમાં બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા યોજાશે. રાજ્યના 32 જિલ્લામાં બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા માટે સેન્ટર ગોઠવવામાં આવ્યા છે. રાજ્યના 32 જિલ્લાના 3,243 કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરાયું છે. ત્યારે આ વચ્ચે એક મોટો ફેરફાર કરાયો છે. વડોદરા કેન્દ્રના સરનામામાં ફેરફાર કરાયો છે. હવે બરોડા હાઇસ્કુલ એક્સપ્રેસ હોટેલની સામે, નુતન ભારત સોસાયટી, અલકાપુરી, વડોદરા
ખાતે પરીક્ષા લેવામાં આવશે.

સચિવાલયના વિવિધ વહીવટી વિભાગો હેઠળના ખાતાના વડાઓની કચેરી, બોર્ડ નિગમ અને સચિવાલય હસ્તકની બિનસચિવાલય ક્લાર્ક અને ઓફીસ આસિસ્ટન્ટ વર્ગ -૩ સંવર્ગની સીધી ભરતી માટેની લેખિત સ્પર્ધાત્મક પરીક્ષા આવતીકાલે 24 એપ્રિલસ 2022 રવિવારના રોજ બપોરે 11.00 થી 1.00 કલાક દરમિયાન લેવાનાર છે. જેમાં વડોદરાના પરીક્ષા કેન્દ્રના સરનામામાં ફેરફાર કરાયો છે .આ કેન્દ્રના ઉમેદવારોએ પરીક્ષા કેન્દ્રના સુધારેલ સરનામું ધ્યાને લેવાનું રહેશે તેવુ બોર્ડ દ્વારા જણાવાયુ છે.

હવે આ એડ્રેસ પર પરીક્ષા આપવા જવી
કોલ લેટરમાં બરોડા હાઇસ્કુલ, ઓ.એન.જી.સી ટાઉનશીપ, મકરપુરા રોડ, વડોદરા સરનામું આપવામાં આવ્યું છે. પરંતુ હવે તેના બદલે બરોડા હાઇસ્કુલ, એક્સપ્રેસ હોટેલની સામે, નુતન ભારત સોસાયટી, અલકાપુરી, વડોદરા ખાતે સુધારા થયેલ સરનામા મુજબ પરીક્ષા લેવાશે. કેન્દ્ર ખાતે બેઠક નં.1500996785 થી 1500997084 સુધીના ઉમેદવારોએ હાજર રહી પરીક્ષા આપવાની રહેશે. સુધારેલ સરનામા વગરના કોલ લેટર પણ માન્ય ગણાશે તેવું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના સચિવની યાદીમાં જણાવાયું છે.

રાજ્યના 32 જિલ્લાના 3,243 કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરાયું છે. જેમાં તમામ પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવીથી મોનીટરીંગ કરાશે. રાજ્યભરમાંથી પરીક્ષા માટે 10 લાખ 45 હજાર ઉમેદવારો નોંધાયા છે. પરીક્ષા કેન્દ્રમાં મોબાઈલ સાથે પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. 

3 વર્ષમાં 3 વાર પરીક્ષા રદ થઈ
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 3 વર્ષમાં 3 વાર પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય લેવાની ફરજ પડી છે. પહેલીવાર પેપર ફૂટવાને કારણે પરીક્ષા રદ્દ કરાઈ હતી. ત્યાર બાદ પરીક્ષા અંગે લાયકાતમાં ફેરબદલ કરવાના નિર્ણયને લઈ વિરોધ થતા પરીક્ષા રદ્દ થઈ હતી. ત્યારબાદ ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ બદલાતા પરીક્ષા મોકૂફ રહી હતી. લાંબા સમયથી પરીક્ષાનો ઇંતેજાર કરી રહેલા વિદ્યાર્થીઓએ આ વખતે શાંતિપૂર્ણ રીતે પરીક્ષા યોજાય એવી આશા વ્યક્ત કરી છે. 

ઉમેદવારોની વ્યથા
ઉમેદવારોએ કહ્યું કે લાંબા સમયથી તૈયારીઓ કરીએ છે, માનસિક પરિસ્થિતિ પર તેની નકારાત્મક અસર થઈ રહી છે. પરિવારમાં બધાને આશા હોય છે કે તૈયારી કરી રહ્યા છે, તો નોકરી મળશે પરંતુ પેપર ફૂટે છે એટલે નોકરીની માત્ર જાહેરાત બાદ તમામ પ્રક્રિયા અટકી પડે છે. અમે અમારા ગામડાઓ છોડી શહેરમાં રહીને સરકારી ભરતી માટે પ્રયાસો કરીએ છીએ. લાયબ્રેરીમાં વાંચવા આવીએ, શહેરોમાં રહીને અભ્યાસ કરીએ છીએ, શહેરોમાં પીજી તરીકે રહેવું પડે છે. દર મહિને અમારો 20,000 રૂપિયા જેટલો ખર્ચ થતો હોય છે. આ ખર્ચ અમારે અને પરિવારે લાંબા સમયથી ભોગવવો પડ્યો છે. આખરે પરિવાર પણ અમને સરકારી નોકરીઓની તૈયારી છોડી કોઈપણ નોકરી કરવાની ફરજ પાડે છે. વર્ષોથી તૈયારી કરીએ પણ ભરતી પ્રક્રિયા જુદા જુદા કારણોસર પૂરી થતી નથી એટલે સમય વીતતો જાય છે પણ પરિવારના સ્વપ્ન પૂરા થતા જ નથી.

આ પણ વાંચો : 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news