CM ભૂપેન્દ્ર પટેલ સરકારે ઐતિહાસિક બિલ કર્યું પાસ, હવેથી સ્થાનિક સ્વરાજમાં 27 ટકા અનામત

રાજ્ય સરકારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ઓબીસી સમાજોને 27 ટકા અનામત આપવા માટેનું વિધેયક વિધાનસભામાં પાસ કરીને અન્ય પછાત વર્ગોને ખૂબ જ મોટી ભેટ આપી છે. આ વિધેયક પાસ થતાં જ હવે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ઓબીસી વર્ગોનું નેતૃત્વ 27 ટકા થઈ જશે.

CM ભૂપેન્દ્ર પટેલ સરકારે ઐતિહાસિક બિલ કર્યું પાસ, હવેથી સ્થાનિક સ્વરાજમાં 27 ટકા અનામત

ઝી બ્યુરો/ગાંધીનગર: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ચાલતી રાજ્ય સરકારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ઓબીસી સમાજોને 27 ટકા અનામત આપવા માટેનું વિધેયક વિધાનસભામાં પાસ કરીને અન્ય પછાત વર્ગોને ખૂબ જ મોટી ભેટ આપી છે. આ વિધેયક પાસ થતાં જ હવે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ઓબીસી વર્ગોનું નેતૃત્વ 27 ટકા થઈ જશે અને આવનારી તમામ ચૂંટણીઓમાં ઓબીસી સમુદાયોને આનો લાભ મળશે. 

મોટી વાત એ છે કે, ઝવેરી પંચે જે રિપોર્ટ આપ્યો હતો તેમાં જે સૂચનો કરવામાં આવ્યાં છે તેને પણ ભૂપેન્દ્રભાઈની સરકાર ધ્યાનમાં લેશે અને ભવિષ્યમાં તેના ઉપર પણ અભ્યાસ કરીને ઓબીસી સમુદાયોના હિતમાં નીતિ-નિયમો બનાવીને લાભદાયી નિર્ણયો કરશે. 

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ઓબીસી સમાજોને 27 ટકા અનામત આપવાના વિધેયક પર બોલતાં મંત્રી ઋષિકેશ પટેલે વિધાનસભામાં કહ્યું કે- 61 તાલુકામાં એક પણ જગ્યા ન મળે તેવી સ્થિતિ છે છતાં પણ ભૂપેન્દ્રભાઈની સરકારે ઓબીસી સમુદાયોને 10 ટકા બેઠકો છે અનામત તરીકે ફાળવી છે. 

સાથે જ સરકારે જાણકારી આપતાં કહ્યું કે એસસી, એસટી અને ઓબીસી માટે ગુજરાતના 70 ટકા બજેટનો ઉપયોગ થાય છે. ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતના ઓબીસી સમુદાયોને હવે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 27 ટકા અનામત પ્રાપ્ત થશે. એટલે કે સીધા જ તેઓ સત્તામાં ભાગીદાર બનશે અને સમાજ માટે યોગ્ય નીતિઓ તૈયાર કરીને તેનો અમલ કરી શકશે. 

ગુજરાતના રાજકીય ક્ષેત્રમાં પણ OBC સમાજને 27 ટકા અનામત આપવાની જોગવાઇ થઇ છે. બિલ પસાર થતા હવે 8 મનપામાં 181 બેઠક OBC માટે અનામત થશે, તો 33 જિલ્લાની અંદાજે 105 બેઠક હતી જે હવે બિલ આવતા 206 થશે. જ્યારે તાલુકા પંચાયતમાં 906 બેઠક અનામત થશે. તો ગ્રામ પંચાયતમાં 22,617 બેઠક અનામત થશે. અને 156 નગરપાલિકામાં 1270 બેઠક OBC સમાજ માટે અનામત થશે.

વિપક્ષનો વોકઆઉટ
OBC વર્ગોને 27 ટકા અનામતનું બિલ ગુજરાત વિધાનસભામાં બહુમતીથી પાસ થઈ ગયું છે. આ સાથે જ ગુજરાત વિધાનસભામાંથી વિપક્ષના ધારાસભ્યોએ વૉકઆઉટ કર્યું. વિપક્ષની માગ છે કે વસ્તીના આધારે OBC અનામત આપવાની માગ પૂરી કરે સરકાર. ઝવેરી પંચનો રિપોર્ટ જાહેર કરવાની કોંગ્રેસે માગ કરી હતી પરંતુ તે ન સ્વીકારાતાં કોંગ્રેસે વોકઆઉટ કર્યું છે. કોંગ્રેસ જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાની માગ પણ કરી રહી છે. સ્થાનિક સત્તા મંડળ સુધારા વિધેયક બહુમતીથી પાસ થયું છે. તો વિપક્ષના વોકઆઉટ મુદ્દે કોંગ્રેસની બેવડી નીતિને રાજ્ય સરકારના મંત્રીએ વખોડી છે. OBC અનામત બિલ મુદ્દે વિપક્ષના વૉકઆઉટને પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે નાટક ગણાવ્યું છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ એક સ્ટેન્ડ પર રહેવાના બદલે રાજનીતિ કરે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news