સ્મીમેર હોસ્પિટલના દર્દીઓની સેવામાં ફરજ નિભાવતાં દંપતિ:કોરોના વોરિયર્સને સલામ

સ્મીમેર હોસ્પિટલના દર્દીઓની સેવામાં ફરજ નિભાવતાં દંપતિ:કોરોના વોરિયર્સને સલામ

* 'દાખલથી ડિસ્ચાર્જ' સુધીની જવાબદારી નિભાવતા 'ઈન્ફેક્શન કન્ટ્રોલ નર્સિસ' ટીમના સભ્યો

સુરત: શહેરમાં જ્યારે કોરોનાના કેસોની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો હતો ત્યારે તકેદારીના ભાગે વર્ષ ૨૦૨૦ થી નર્સિંગ સુપ્રિટેન્ડન્ટ  સુરેન્દ્રભાઈ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ 'ઈન્ફેક્શન કન્ટ્રોલ નર્સિસ' (ICN) નામથી એક ખાસ ટીમ બનાવવામાં આવી. ટીમના આશિષ ટંડેલ, મયુર પટેલ, નિમિષા પરમાર, મિત્તલ શાસ્ત્રી અને ઝંખના ખત્રી ઓપીડી તથા આઈપીડી વિભાગને જોડતો સેતુ બન્યાં છે. દર્દીઓની સેવામાં તત્પર આ ટીમ 'ટીમવર્ક'ની ભાવના સાથે દાખલ થયેલાં દર્દીને યોગ્ય સારવાર મળે એ માટે સતત જવાબદારી નિભાવી રહ્યાં છે. દર્દી હોસ્પિટલમાં આવે કે તરત જ સ્ટ્રેચર પર બેડ સુધી લઈ જવા અને છેક સાજા થઈને ઘરે જાય ત્યાં સુધીની સારવાર-સેવા આ ટીમના મહેનતુ સભ્યો કરી રહ્યા છે. કોરોના વોરિયર આશિષ ટંડેલ અને મયુર પટેલ ICN ટીમમાં સેવારત છે. બંનેના ધર્મપત્નીઓ પણ સ્મીમેરમાં સેવા આપી રહ્યાં છે. દર્દીઓની સેવામાં સજોડે ફરજ નિભાવતા આ પટેલ અને ટંડેલ દંપતિએ પરિવારની જવાબદારી સાથે ફરજને પ્રાધાન્ય આપ્યું છે. 

ICN ટીમના હેલ્થ હિરો આશિષ ટંડેલ અને તેમના સ્ટાફ નર્સ પત્ની જિજ્ઞાસાબેન સ્મીમેરમાં સેવા આપી રહ્યાં છે. પોતાના ૦૩ વર્ષ અને ૦૯ વર્ષના બે બાળકોને ઘરે મૂકીને દિવસ-રાત દર્દીઓની સેવા કરી રહ્યા છે. પોતાની ફરજ અને બાળકો પ્રત્યેને જવાબદારી પણ નિભાવે છે. તેઓ કહે છે કે 'ક્યારેક એમ થાય કે અમને પણ આરામની જરૂર છે, પરંતુ હાલ લોકોના આરોગ્યની જવાબદારી અમારા શિરે છે, જેથી જ્યારે દેશ કોરોનામુક્ત થશે ત્યારે ઘરપરિવાર સાથે ખુશીની ક્ષણો વિતાવીશું. કોરોના સંક્રમણની બીજી લહેર હાલ ધીમી પડી છે, અને કેસોમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે, ત્યારે થોડો હાશકારો જરૂર થયો છે, પરંતુ હજું પણ બેદરકાર રહીશું તો કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ મળશે, જેથી ફરીવાર વિકટ સ્થિતિનું નિર્માણ ન થાય એનું પણ આપણે સૌએ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.'

આઈ.સી.એન.ટીમના કોરોનાયોદ્ધા મયુર પટેલ અને તેમના સ્ટાફ નર્સ પત્ની શર્મિષ્ઠાબેન પણ સ્મીમેર હોસ્પિટલમાં જ ફરજ બજાવે છે. બંને પતિ-પત્ની પોતાના પુત્ર અને ડાયાબિટીસ અને થાઈરોઈડની બિમારીથી પીડિત વૃદ્ધ માતાને એકલા ઘરે મુકી દર્દીઓની સેવા તન મનથી કરી રહ્યા છે. મયુર પટેલ જણાવે છે કે, 'ગત ડિસેમ્બર-૨૦૨૦ના પ્રથમ ફેઝમાં હું પણ કોરોના પોઝિટીવ થયો હતો, પરંતુ ૧૦ દિવસમાં સ્વસ્થ થઈને ફરી ફરજ પર જોડાયો હતો. ઘરે જઈએ ત્યારે અમારા લીધે વૃદ્ધ માતા અને બાળક મુશ્કેલીમાં ન મૂકાય તેની તમામ તકેદારીઓ રાખીએ છીએ. અમે હંમેશા લોકોને માસ્ક પહેરવા, સોશ્યલ ડિસ્ટન્સ રાખવા ઉપરાંત વગર કામે ઘરની બહાર ન નીકળવા માટે પ્રેરિત કરીએ છીએ.'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news