કોંગ્રેસની કઠણાઈ : લોકસભામાં આ નેતાઓ બેસી ગયા પાણીમાં, છેલ્લી ઘડીએ જ રેસમાં દોડવાની ના પાડી

Gujarat Loksabha Elections : હાલ કોંગ્રેસ પાર્ટી પાસે ફંડ નથી અને નેતાઓ પણ ભાજપના આક્રમક મૂડ સામે લડવા તૈયાર નથી, કેટલાય સારા નેતાઓએ ચૂંટણી લડવાથી પીછેહઠ કરી 

કોંગ્રેસની કઠણાઈ : લોકસભામાં આ નેતાઓ બેસી ગયા પાણીમાં, છેલ્લી ઘડીએ જ રેસમાં દોડવાની ના પાડી

Gujarat Congress : પહેલીવાર ચૂંટણીમાં એવુ બન્યું છે કે લોકસભામાં કોંગ્રેસ પાસે સારા ઉમેદવાર નથી. કેટલાક સારા ઉમેદવારોને ભાજપ લઈ ગયું, અને જે સારા બચ્યા છે તેમણે ચૂંટણી લડવાની ના પાડી છે. એક બે નહિ, અડધો ડઝન કોંગ્રેસી નેતાઓએ લોકસભાની ચૂંટણી લડવાની ના પાડી. કહેવાય છે કે, કોંગ્રેસમાં ચૂંટણી ખર્ચ માટે ઘરના રૂપિયા કાઢવા પડે તેમ હોવાથી આ નેતાઓએ પીછેહઠ કરી છે. આ કારણે હાલ ગુજરાત કોંગ્રેસ પાસે મજબૂત ઉમેદવારની તંગી થઈ છે.

કોને કોને ના પાડી
પરેશ ધાનાણી 
પ્રતાપ દૂધાત
રોહન ગુપ્તા
ભરતસિંહ સોલંકી
જગદીશ ઠાકોર
હિંમતસિંહ પટેલ
શૈલેષ પરમાર

હકીકત તો એ છે કે કોંગ્રેસ પાસે ફંડ નથી 
કોંગ્રેસના જાયન્ટ કિલર ગણાતા નેતાઓએ ચૂંટણી લડવાની ના પાડી દીધી છે. તેમના પીછેહઠનું એક ચોક્કસ કારણ છે. ભાજપ હાલ 26 બેઠકો જીતવાના ટાર્ગેટ સાથે તમામ દાવપેચ અજમાવી રહ્યું છે. આ કારણે કોંગ્રેસનું મનોબળ તૂટી ગયું છે. આ કારણે કેટલાય સારા નેતાઓએ ચૂંટણી લડવાથી પીછેહઠ કરી છે. સિનિયર નેતાઓએ ચૂંટણી લડવાની પહેલાથી જ અનિચ્છા દર્શાવી દીધી છે. તેમજ કેટલાકના નામ જાહેર થયા તો તેમણે પાછળથી ના પાડી. આમ, આ પીછેહઠનું મુખ્ય કારણ ફંડ છે. પાર્ટી પાસે હાલ એટલું ફંડ નથી કે તે નેતાઓને ચૂંટણી લડાવી શકે. જ્યારે કે, સામે ભાજપ રૂપિયા વેરી રહ્યું છે. 

ધાનાણીને પુરુષોત્તમ રૂપાલા સામે રાજકોટમાં ઉતારવાનો કોંગ્રેસનો પ્લાન હતો, પરંતુ પરેશ ધાનાણી ચૂંટણી લડવા તૈયાર ન થયા.
પ્રતાપ દૂધાતે પણ લોકસભા લડવાની ના પાડી. તેના બદલે જેની ઠુમરને પાર્ટીએ ટિકિટ આપી.
રોહન ગુપ્તાએ પિતાની તબિયતનું બહાનુ કાઢીને ચૂંટણી લડવાથી પીછેહઠ કરી. 
ભરતસિંહ સોલંકી છેલ્લી બે ચૂંટણીમાં આણંદથી હાર્યા હતા. તેથી હવે તેમના બદલે અમિત ચાવડાને ટિકિટ અપાઈ.
જગદીશ ઠાકોરે પણ નવા ચહેરાને તક આપવાનુ બહાન ધરીને ના પાડી
હિંમતસિંહ પટેલ અને શૈલેશ પરમારે પણ નવા ચહેરાને તક આપવાનું બહાનુ ધર્યું

સારા નેતા ભાજપમાં ગયા
તો બીજી તરફ કોંગ્રેસને ખાટલે મોટી ખોટ એવી છે કે, કેટલાક જે સારા નેતા હતા તેમને ભાજપ લઈ ગયું. જેમાં અર્જુન મોઢવાડિયા, સીજે ચાવડા, નારણ રાઠવા, અંબરીશ ડેર જેવા મોટા નેતાએ ચૂંટણી પહેલા જ ચાલતી પકડી છે.  

જાયન્ટ કિલર છે ધાનાણી
પરેશ ધાનાણીએ અગાઉ પુરુષોત્તમ રૂપાલા, દિલીપ સંઘાણી અને બાવકુ ઉંધાડ જેવા ભાજપના દિગ્ગજોને હરાવ્યા હતા. પરેશ ધાનાણી મોદી સરકારમાં મંત્રી તરીકે રહેલા અને ત્રણ વાર જીત મેળવનાર પુરુષોત્તમ રૂપાલાને 16 હજાર મતોથી હરાવીને જાયન્ટ કિલર તરીકે જાણીતા થયા હતા. તમે જાણી લો કોણ છે પરેશ ધાનાણી તો  માત્ર 26 વર્ષની ઉંમરે મજબૂત નેતાને હરાવીને રાજકીય કારકિર્દીની શરૂઆત કરનારા પરેશ ધાનાણીને સ્વાભાવિક રીતે જ વિપક્ષના નેતા બનવાની તક યુવા વયે જ મળી ગઈ હતી. સામાજિક સેવાની આ મૂડી પરેશ ધાનાણીને વારસામાં મળી, કદાચ એટલે જ 2000ની સાલમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી બી.કૉમની ડિગ્રી મેળવ્યા પછી સમાજસેવાના હેતુ સાથે રાજકારણ તરફ આકર્ષાયા હતા. રાજકોટમાં કૉલેજકાળથી એનએસયુઆઈ સાથે જોડાઈ ગયેલા ધાનાણી વર્ષ 2001માં અમરેલી જિલ્લા યુવા કૉંગ્રેસ પ્રમુખ બન્યા હતા. હાલમાં અમરેલીમાં ભાજપનો દબદબો છે. 

રાહુલ ગુપ્તાથી હાઈકમાન્ડ નારાજ
આ વિસ્તારમાંથી રાજ્યસભાના સભ્ય નારણ રાઠવા, પૂર્વ ધારાસભ્ય મોહન રાઠવા જેવા દિગ્ગજ નેતાઓએ કેસરિયો ખેસ ધારણ કરી લીધો છે ત્યારે સુખરામ રાઠવા કોંગ્રેસના મજબૂત ઉમેદવાર છે. જોકે, અમદાવાદ પૂર્વના ઉમેદવાર રાહુલ ગુપ્તાએ અન્ય પક્ષના રાજકીય-વ્યાપારિક સબંધ ખાતર છેલ્લી ઘડીએ મેદાન છોડી દેતાં હાઈકમાન્ડ ખફા થયું છે. ગઈકાલે મોડી રાત સુધી દિલ્હીમાં કોંગ્રેસ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી હતી જેમાં ગુજરાત કોંગ્રેસના ઉમેદવારોને લઈને મંથન થયા બાદ નામો પર ફાઈનલ મહોર મારવામાં આવી હતી. આજે અથવા કાલે કોંગ્રેસના બીજા ઉમેદવારોની યાદી જાહેર થઈ શકે છે. કોંગ્રેસની પ્રથમ યાદીમાં 8 માર્ચે રાહુલ ગાંધી સહિત 39 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. બીજી યાદી 12 માર્ચે જાહેર થઈ હતી. તેમાં નકુલ નાથ સહિત 43 ઉમેદવારોના નામ જાહેર થયા હતા. ગઈકાલે કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં ગુજરાતની 10 સીટો, મહારાષ્ટ્રની 7 અને રાજસ્થાનની 8 સીટ ફાઈનલ થઈ ગઈ છે. આમ આજે ગુજરાતના બીજા 7 નામ જાહેર કરી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news