National Panchayati Raj Day 2023 : શું તમે જાણો છો પંચાયતી રાજના શિલ્પી એક ગુજરાતી હતા?

National Panchayati Raj Day 2023: ભારતના તત્કાલિન પીએમ મનમોહન સિંહે 24 એપ્રિલ 2010ના રોજ પ્રથમ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ જાહેર કર્યો હતો... જેમાં ગુજરાતના બળવંતરાય મહેતાનો મોટો રોલ હતો 
 

National Panchayati Raj Day 2023 : શું તમે જાણો છો પંચાયતી રાજના શિલ્પી એક ગુજરાતી હતા?

National Panchayati Raj Day 2023 ચિંતન ભોગાયતા/અમદાવાદ: રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ એ ભારતમાં પંચાયતી રાજ વ્યવસ્થાનો રાષ્ટ્રીય દિવસ છે જે દર વર્ષે 24 એપ્રિલે પંચાયતી રાજ મંત્રાલય દ્વારા ઉજવવામાં આવે છે. ભારતના તત્કાલિન વડાપ્રધાન મનમોહન સિંહે 24 એપ્રિલ 2010ને પ્રથમ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ તરીકે જાહેર કર્યો હતો. પરંતુ એક ગુજરાતી પંચાયતી રાજના શિલ્પી કહેવાય છે. તેઓ છે બળવંતરાય મહેતા. જેમનું મૃત્યુ પાકિસ્તાનને તોડી પાડેલા પ્લેનમાં થયું હતું. 

જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા બળવંતરાય મહેતા. આઝાદીના 18 વર્ષ બાદ પાકિસ્તાને અચાનક ભારત સાથે યુદ્ધ છેડ્યું. વર્ષ હતું 1965. પાકિસ્તાને  કાશ્મીરના મોરચે કચ્છમાં પણ ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો. ભારતીય હવાઈ દળ પાકિસ્તાની મોરચાને પરાસ્ત કરી રહ્યું હતું. એ સમયે કોઈએ મુખ્યમંત્રી બળવંતરાય મહેતાને કચ્છની સરહદે હવાઈ નિરિક્ષણ કરવાની સલાહ આપી. હવાઈદળના અધિકારીઓ ક્યારેય આવી પરવાનગી ન આપે પણ પરવાનગીની ચિંતા કર્યા વિના મુખ્યમંત્રી બળવંતરાય મહેતા, તેમનાં પત્ની સરોજબહેન એક પ્લેનમાં હવાઈ નિરિક્ષણ માટે કચ્છ ગયા. તારીખ હતી 19 સપ્ટેમ્બર 1965.

પાકિસ્તાની રડારમાં જણાયું કે કોઈ વિમાન સરહદ તરફ આવી રહ્યું છે અને રડારમાં તો ભાગ્યે જ ખબર પડતી હશે કે વિમાન ખાનગી છે કે ફાઈટર એટલે પાકિસ્તાની યુદ્ધ વિમાન બોર્ડર તરફ ધસી આવ્યા અને દૂરથી જ બળવંતરાયના વિમાનને લક્ષ્ય બનાવી હુમલો કર્યો. પળવારમાં જ આ ખાનગી વિમાન સળગી ઉઠ્યું અને કચ્છની ધરતી ઉપર જ તૂટી પડ્યું.

વિમાનના પાયલટ સહિત તમામ માર્યા ગયા. બળવંતરાય, સરોજબહેન અને ગુજરાત સમાચારના પત્રકાર કે.પી.શાહના મૃતદેહને અગ્નિસંસ્કાર માટે અમદાવાદ લાવવામાં આવ્યા. બળવંતરાય અને સરોજબહેનનાં પાર્થિવદેહને શાહીબાગ સ્થિત તેમના નિવાસસ્થાને થોડો સમય માટે અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યા. દૂધેશ્વર સાબરમતીની રેતીમાં તેમના અગ્નિ સંસ્કાર થયા. બળવંતરાયને શહીદ તરીકે અંજલિ અપાઈ.

ઈન્દિરા ગાંધીની સરકારમાં કેન્દ્રીય મંત્રી રહી ચૂકેલા યોગેન્દ્ર મકવાણા એ સમયે કસ્ટમ ઓફિસર હતા અને તેમની ડ્યૂટી હતી અમદાવાદ એરપોર્ટ પર. તેમના કહેવા પ્રમાણે ગુજરાતના એ વખતના મુખ્યમંત્રી બળવંતરાય મહેતાએ યુદ્ધના સમયે કચ્છની બોર્ડર પર જવાની ઈચ્છા વ્યક્ત કરતા એક નાનકડું વિમાન મહારાષ્ટ્ર સરકાર પાસેથી મંગાવ્યુ. એ સમયે ગુજરાત સરકાર પાસે પોતાનું વિમાન પણ નહોતું.

એક દિવસ એરપોર્ટ પર બધાં ચા નાસ્તો કરી રહ્યા હતા. એ સમયે બળવંતરાય મહેતા તેમના પત્ની એરપોર્ટ પર આવી પહોંચ્યા. પાયલટે ચા પીધા વગર જ કોકપીટમાં સ્થાન લીધું. તે અગાઉ મુખ્યમંત્રી બળવંતરાય મહેતાના એક પી.એ પણ વિમાનમાં બેસી ગયા હતા. મુખ્યમંત્રીએ કોઈ કારણસર તેમના પી.એ.ને વિમાનમાંથી ઉતરી જવા કહ્યું. મુખ્યમંત્રીના પી.એ વિમાનમાંથી ઉતરી ગયા અને તેમણે વિમાનમાં પોતાની સાથે એક પત્રકાર કે.પી.શાહને લીધા. તે પછી વિમાન ઉપડ્યું અને થોડાક કલાકમાં તો સમાચાર આવ્યા કે કચ્છની સરહદ  પર ઉડી રહેલા મુખ્યમંત્રીના વિમાનને પાકિસ્તાનના યુદ્ધ વિમાને ઉડાડી દિધું. અંદર બેઠેલા તમામ મૃત્યુ પામ્યા પણ મુખ્યમંત્રીના પી.એ કે જેમને વિમાનમાંથી ઉતારી દીધા હતા તે બચી ગયા. 

ગુજરાતના મુખ્યમંત્રીનું વિમાન તોડી પાડનાર પાકિસ્તાની એરફોર્સના પાયલટ કૈઝ  હુસૈને પોતાના કૃત્ય માટે એ સમયે માફી માગ હતી જો કે તેના 46 વર્ષ પછી તે ફરી ગયો અને એક અંગ્રેજી અખબારના ઈન્ટરવ્યૂમાં તેમણે કહ્યું કે મે માફી નથી માગી. મને એ વાતનો અફસોસ કે ખેદ નથી. આ કામ મેં મારી ફરજ તરીકે કર્યું હતું.

બળવંતરાય મહેતાનો જન્મ 19 ફેબ્રુઆરી 1899ના ભાવનગર સ્ટેટમાં થયો હતો. તેઓ ગુજરાતના બીજા મુખ્યમંત્રી હતા. ભારતમાં પંચાયતી રાજના શિલ્પી તરીકે તેમને ઓળખવામાં આવે છે. જે વિમાનને તોડી પડાયું તેનું નામ હતું 'શેષ'. વિમાનમાં બળવંતરાય તેમના પત્ની સહિત 9 લોકો મુસાફરી કરી રહ્યા હતા જે તમામ શહીદ થયા. 2 વર્ષના ટૂંકા શાસનકાળમાં મહેતાએ ગુજરાત માટે ઘણા વિકાસકાર્યો કર્યા. સેનાનું મનોબળ વધારવા જતા બળવંતરાય મહેતા શહીદ થયા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news