દિવાળીમાં કોઈ દુર્ઘટના ઘટે તો શું કરવું? જાણો 108 દ્વારા કેવી કરાઈ છે તૈયારીઓ

108 ઈમરજન્સી સેવા માટે મોબાઈલ એપ્લિકેશનનો કરો ઉપયોગ, રિસ્પોન્સ સેન્ટરને કૉલ કરવાને માત્ર એક પેનિક બટન દબાવી મેળવો મદદ.

દિવાળીમાં કોઈ દુર્ઘટના ઘટે તો શું કરવું? જાણો 108 દ્વારા કેવી કરાઈ છે તૈયારીઓ

અતુલ તિવારી, અમદાવાદઃ કોરોનાકાળમાં છેલ્લાં બે વર્ષોમાં દિવાળી સાવ ફિક્કી કરી છે. માત્ર દિવાળી જ નહીં મોટાભાગના તહેવારો સાવ રસકસ વિનાના બની રહ્યાં હતાં. એવામાં આ વખતે પરિસ્થિતિ સામાન્ય થતા ફરી એકવાર લોકોમાં પહેલાં જેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હવે દિવાળીના તહેવારની ધામધૂમથી ઉજવણી કરવાની લોકો તૈયારીઓ કરી રહ્યાં છે. જોકે, દિવાળીમાં સાવચેતીથી ફટાકડા ફોડવા જોઈએ. દિવાળીમાં ખાસ કરીને ફટાકડા ફોડવામાં અને એક જગ્યાથી બીજી જગ્યાએ અવરજવર માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે. આવામાં અકસ્માતની સંભાવના વધી જતી હોય છે. ત્યારે દિવાળીના પર્વ દરમિયાન કોઈ દુર્ઘટના ઘટે તો શું કરવું? તાત્કાલિક સારવાર માટે 108 દ્વારા કેવા પ્રકારની તૈયારી કરવામાં આવી છે એ પણ જાણી લઈએ...

દિવાળી દરમિયાન ઈમરજન્સીમાં વધારો થવાની સંભાવના છે. કારણ કે મોટી સંખ્યામાં લોકો તેમના પ્રિયજનોને મળવા અને શુભેચ્છા પાઠવવા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ જશે. તહેવારોની મોસમને કારણે મોટી સંખ્યામાં એકત્ર થશે, લોકો તેમના વતન જશે અને ફટાકડા વિના દિવાળી અધૂરી છે પરંતુ તમામ સાવચેતીનાં પગલાં લેવામાં આવતા હોવા છતાં કેટલાક સ્થળોએ અચાનક દુર્ઘટના થઈ જ જતી હોય છે. 108 નાગરિકોને અપીલ કરે છે કે કોઈપણ પ્રકારનું પેનિક કર્યા વિના ફક્ત "108" ડાયલ કરો.

દિવાળીના તહેવાર અને ભૂતકાળના અનુભવોને જોતા EMRI ગુજરાતના સીઓઓ જશવંત પ્રજાપતિએ કહ્યું હતું કે, તહેવારોના દિવસોમાં મુસાફરી કરતી વખતે સલામત રીતે સૌ વાહન ચલાવે. અમારા પાછલા વર્ષોના ડેટા દર્શાવે છે કે, દિવાળીના સમયમાં મેડિકલ તેમજ અન્ય ઇમર્જન્સીની ઘટનાઓ ઘણી વધારે નોંધાય છે. તહેવારો દરમિયાન સતર્કતા અને સાવચેતી ઘણા લોકોના જીવન બચાવી શકે છે. અમે 108 ઈમરજન્સી મેનેજમેન્ટ કેન્દ્રો પર દિવાળીના તહેવાર દરમિયાન ઈમરજન્સીમાં અપેક્ષિત વધારા માટે તૈયાર છીએ. આ વર્ષે દિવાળીમાં લાંબી રજાઓ મળી રહે તે રીતે સપ્તાહના દિવસો આવતા હોવાથી એવી અપેક્ષા રાખવામાં આવે છે કે શનિવારથી લોકોની અવરજવર શરૂ થશે અને આ સપ્તાહના છેલ્લા દિવસોથી જ કટોકટીમાં વધારો થશે. અમે ઈચ્છીએ છીએ કે રજાઓ આપણા બધા માટે સલામત રહે, પરંતુ જો કોઈ કટોકટી હોય, તો કૃપા કરીને યાદ રાખો કે 108 સેવા મફત છે અને માત્ર એક ફોન કૉલ દૂર છે.

જશવંત પ્રજાપતિએ નાગરિકોને “108 ગુજરાત” નામ સર્ચ કરીને ગૂગલ પ્લે સ્ટોર પરથી એપ્લિકેશન ડાઉનલોડ કરવા અપીલ કરીએ છીએ. સાથે જ જણાવ્યું કે, પાછલા વર્ષના વલણના આધારે અને સપ્તાહના અંતે આવતા દિવાળીના તહેવારને જોતા, દિવાળી (24મી ઑક્ટોબર'22), નવું વર્ષ (25મી ઑક્ટોબર'22) અને ભાઈ દૂજપર 12.94%, 29.34%  અને 26.45%  ના વધારાની અપેક્ષા રાખીએ છીએ. સંભવિત ઇમરજન્સીના કેસની સંખ્યા દિવાળીના દિવસે 4138, નવા વર્ષના દિવસે 4739 અને ભાઈ દૂજના દિવસે 4633 અપેક્ષિત છે.

 

 

ઈમરજન્સીની સૌથી વધુ સંખ્યા ટ્રોમા વ્હીક્યુલરને લગતી અપેક્ષિત છે જેનો અંદાજ છે - દિવાળી પર 777 (+83.25%), નવા વર્ષ પર 1003 (+136.56%) અને ભાઈ દૂજના દિવસે 866 (104.25%) સામાન્ય દિવસોના 424 જેટલા કેસોની સરખામણીએ વધવાની સંભાવના છે. બીજી સૌથી વધુ કટોકટી ટ્રોમા નોન-વ્હીક્યુલર સાથે સંબંધિત છે, જે શારીરિક હુમલો અને ફોલ ડાઉન કેસ સાથે સંબંધિત છે. શારીરિક હુમલા સંબંધિત કેસો દિવાળી પર આશરે 248 (+104.96%), નવા વર્ષ પર 303 (+150.41%), ભાઈ ધૂજના દિવસે 218 (80.17%) જેટલા કેસો થવાની સંભાવના રહેલ છે જે સામાન્ય દિવસોમાં નોંધાતા 121 જેટલા કેસોની સામે વધારો થવાનો અંદાજ છે. આ સિવાય દિવાળીના રોજ 24, નવા વર્ષ પર 17 અને ભાઈ ધૂજ પર 14 તારીખે દાઝી જવાથી સંબંધિત કટોકટીની અપેક્ષા છે.

108-ઈમરજન્સી સેવા માટે મોબાઈલ એપ્લિકેશન બનાવવામાં આવી છે. જે ઇમરજન્સીમાં એમ્બ્યુલન્સની વિનંતી કરવા માટે 108-ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરને કૉલ કરવાની પણ જરૂર રહેતી નથી માત્ર એક પેનિક બટન દબાવતાની સાથે જ કૉલર સીધો સંપર્ક કરી શકે છે. 108 મોબાઈલ એપ્લિકેશનથી એમ્બ્યુલન્સ બોલાવવાની પ્રક્રિયા અનુસરવાથી ઓછા સમયમાં ઝડપથી એમ્બ્યુલન્સને ઘટના સ્થળનું લોકેશન મળી જાય છે. આવતી એમ્બ્યુલન્સની હિલચાલને લાઈવ ટ્રેક કરી શકે છે. સિટીઝન એપ્લિકેશનને મૂલ્યવર્ધન માહિતી સાથે મજબૂત બનાવવામાં આવી છે જે વપરાશકર્તાને નજીકની સરકારી અને ખાનગી હોસ્પિટલો અને બ્લડ બેંકની માહિતી શોધવામાં મદદ કરે છે અને વપરાશકર્તાને એપ્લિકેશન અને 108-EMS સેવાઓ વિશે પ્રતિસાદ આપવાનો વિકલ્પ પણ પ્રદાન કરે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news