નરેન્દ્ર મોદીમાં રાજકારણના બીજ ક્યારે અને કેવી રીતે રોપાયા, આ રહ્યો આખો ઈતિહાસ

PM Narendra Modi : આ હતી નરેન્દ્ર મોદીના જીવનના પહેલા આંદોલનની અને પહેલા રાજકીય હોદ્દાની કહાની.... નરેન્દ્ર મોદીના જીવનનું પહેલું આંદોલન
 

નરેન્દ્ર મોદીમાં રાજકારણના બીજ ક્યારે અને કેવી રીતે રોપાયા, આ રહ્યો આખો ઈતિહાસ

A Samay Ni Vat Che : આજે વાત નરેન્દ્ર મોદીના શરૂઆતના આંદોલનોની...કોઈ તમને પૂછે નરેન્દ્ર મોદીનું પહેલું આંદોલન કયું તો શું કહેશો...કોઈ પૂછે કે નરેન્દ્ર મોદીનો પહેલો રાજકીય હોદ્દો કયો તો શું કહેશો?...ક્યારે નરેન્દ્ર મોદી જનહિત માટે કોંગ્રેસની સરકાર સામે પહેલી વખત ખુલીને વિરોધ કરવા માટે આવ્યા હતા?..આવો જાણીએ એ સમયની વાત છેમાં...

આ એ સમયની વાત છે જ્યારે ગુજરાત અને કેન્દ્રમાં હતી કોંગ્રેસની સરકાર... દેશના પ્રધાનમંત્રી હતા ઈન્દીરા ગાંધી અને ગુજરાતના મુખ્યમંત્રી હતા ચીમનભાઈ પટેલ...વર્ષ હતું 1973...

ડિસેમ્બર, 1973માં મોરબી એન્જિનિયરીંગ કોલેજના કેટલાક વિદ્યાર્થીઓએ તેમના ફૂડ બિલમાં થયેલા અસાધારણ વધારા સામે વિરોધ કર્યો હતો. આ વિરોધને જોતજોતામાં વ્યાપક ટેકો મળ્યો અને તેના પરિણામે સરકાર સામે રાજ્યમાં એક વ્યાપક જન આંદોલન શરૂ થયું. રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર અથાગ પ્રયાસો છતાં લોકોનો આ અસંતોષ ડામી શકી નહોતી. આ અસંતોષ ભ્રષ્ટાચાર અને મોંઘવારી સામેની એક વ્યાપક લોકચળવળ હોવા છતાં એ વખતના ગુજરાતના શિક્ષણ મંત્રીએ આ આંદોલન માટે જનસંઘ ઉપર આક્ષેપ કરતાં સ્થિતિ વધુ વણસી ગઈ હતી. 

1973 માં નરેન્દ્ર મોદીએ સામાજિક સક્રિયતામાં તેમજ સામાન્ય પ્રજાજનોને સ્પર્શતા પ્રશ્નોમાં ઊંડો રસ લેવાનું શરૂ કરી દીધું હતું. એક યુવા પ્રચારક અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સહયોગી તરીકે નરેન્દ્ર મોદી નવનિર્માણ આંદોલનમાં જોડાયા હતા અને તેમને સોંપવામાં આવેલી કામગીરી નિષ્ઠાપૂર્વક બજાવી હતી. નવનિર્માણ આંદોલન દરેક રીતે એક જન આંદોલન હતું અને સમાજના તમામ વર્ગોમાંથી લોકો એક અવાજે તેમાં જોડાયા હતા. 

આ આંદોલનને એક સન્માનિત અગ્રણી અને ભ્રષ્ટાચાર સામેની લડતના મસીહા તરીકે જાણીતા એવા લોકનાયક જયપ્રકાશ નારાયણનું પણ સમર્થન મળતા તે વધુ મજબૂત બન્યું હતું. જયપ્રકાશ નારાયણ અમદાવાદ આવ્યા ત્યારે એ લોકલાડીલા નેતાના સંપર્કમાં આવવા અને તેમની સાથે નિકટ રહીને કામ કરવાની તક નરેન્દ્ર મોદીને મળી હતી. યુવા નરેન્દ્ર મોદીના માનસ ઉપર આ પીઢ નેતા સાથેના સંસર્ગની એક ઊંડી છાપ પડી હતી. નવનિર્માણ આંદોલન ખૂબજ સફળ રહ્યું હતું અને ચીમનભાઈ પટેલને મુખ્ય મંત્રીપદેથી ફક્ત છ મહિનામાં જ રાજીનામું આપવાની ફરજ પડી હતી. રાજ્યમાં નવેસરથી ચૂંટણીઓ યોજાઈ હતી અને કોંગ્રેસની સરકારનો પરાજય થયો હતો.

વિધિની વક્રતા તો એ હતી કે ગુજરાતની ચૂંટણીઓના પરિણામો 12મી જૂન, 1975ના દિવસે જાહેર થયા હતા. એ દિવસે જ અલ્હાબાદ હાઈકોર્ટે પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીને ચૂંટણીમાં ભ્રષ્ટાચાર માટે દોષિત ઠરાવ્યાં હતાં અને પ્રધાનમંત્રી તરીકે તેમના ભવિષ્ય સામે પ્રશ્નાર્થ મૂકી દીધો હતો. તેના એક અઠવાડિયા પછી ગુજરાતમાં બાબુભાઈ જશભાઈ પટેલના નેતૃત્ત્વમાં નવી સરકારે શપથ લીધા હતા. 

નવનિર્માણ આંદોલન નરેન્દ્ર મોદી માટે વ્યાપક જનઆંદોલનનો પહેલો પરિચય હતો અને તેનાથી સામાજિક મુદ્દાઓ વિષે તેમનો વૈશ્વિક દ્રષ્ટિકોણ નોંધપાત્ર પ્રમાણમાં બહોળો બન્યો હતો. આ ચળવળના પગલે જ નરેન્દ્ર મોદીને તેમની રાજકીય કારકિર્દીમાં પહેલો હોદ્દો – ગુજરાતમાં લોક સંઘર્ષ સમિતિના મહામંત્રી તરીકેનો મળ્યો હતો. આ ચળવળ દરમિયાન તેમને વિદ્યાર્થીઓના પ્રશ્નો ખૂબજ નિકટથી સમજવાની વિશેષરૂપે તક મળી હતી અને તેઓ મુખ્યમંત્રી બન્યા ત્યારે એ તક તેમના માટે ખૂબજ મહત્ત્વની મૂડી જેવી સાબિત થઈ હતી.

તો આ હતી નરેન્દ્ર મોદીના જીવનના પહેલા આંદોલનની અને પહેલા રાજકીય હોદ્દાની કહાની. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news