જય મા ખોડલ : મા ખોડિયાર અહીં છે હાજરા હજૂર, દર વર્ષે આપે છે શક્તિનો પરચો

ગુજરાતમાં ખોડલ માતાજીના અનેક પ્રસિદ્ધ માતાજી આવે છે. ખોડલ માતાજી પાટીદારોના કુળદેવી પણ છે. પાટીદારો દ્વારા ભવ્ય ખોડલ ધામ બનાવવામાં આવ્યું છે. હવે ખોડિયાર માતાજીની જન્મ જયંતિ આવી રહી છે. ત્યારે અમે તમને ગુજરાતમાં મોરબી નજીક આવેલા પ્રાચિન ખોડલ મંદિર વિશે જણાવી રહ્યાં છીએ. 

જય મા ખોડલ : મા ખોડિયાર અહીં છે હાજરા હજૂર, દર વર્ષે આપે છે શક્તિનો પરચો

અમદાવાદઃ વિક્રમ સંવત ૮૩૬ની મહાસુદ આઠમના રોજ ખોડિયાર માતાજીનો જન્મ દિવસ જેને ખોડિયાર જયંતી માનવામાં આવે છે. ખોડિયાર માતાનો જન્મ સાતમી સદીમાં મહા સુદ આઠમના દિવસે એક ચારણ પરિવારમાં થયો હોવાનું માનવામાં આવે છે. જેથી આ દિવસે ખોડિયાર જયંતિ ઉજવવામાં આવે છે. મા ખોડિયારનું વાહન મગર છે. ખોડિયાર માતાજીનું નામ પડવા પાછળની કથા એવી છે કે, ખોડિયાર માતાજી જ્ઞાતિએ ચારણ હતા. તેમનાં પિતાનું નામ મામડિયા અથવા મામૈયા અને તેમનાં માતાનું નામ દેવળબા અથવા મીણબાઈ હતું. તેઓ કુલ સાત બહેન અને એક ભાઈ હતાં. શ્રી ખોડિયાર માતાજીના મંદિરો ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રમાં મુખ્ય ત્રણ છે. જે ધારી પાસે ગળઘરા, વાંકાનેર પાસે માટેલ અને ભાવનગર પાસે રાજપરા ગામે આવેલા છે. તેમના સ્થાનકોએ પાણીના ધરાઓ આવેલા છે. ગુજરાતમાં 1 કરોડ 40 લાખ લેઉવા પાટીદારોની મા ખોડિયાર કુળદેવી તરીકે પૂજાય છે. લેઉવા પટેલ સમજમાં 16 કુળદેવી પૂજાય છે. લેઉવા પટેલ સમાજના પરિવારોના કુળદેવીના મંદિરો ગામે ગામ આવેલા છે. 

દર વર્ષે વધે છે માતાજીનું ત્રિશૂળ 
મોરબી (Morbi) જિલ્લામાં આવતા મંદિરોમાં માટેલ ખોડિયાર માતાજી (Khodiyar Maa) ના મંદિરનું મંદિર બહુ જ ખાસ બની જાય છે. આ મંદિર આતિ પ્રાચીન અને ધાર્મિક મહત્વ ધરાવે છે. આ મંદિરમાં માતાજી ખોડિયાર સાતેય બહેનો સાથે બિરાજે છે અને માતાજી ભક્તોના દુઃખ દુર કરે છે. મોરબી કે ગુજરાત (Gujarat) માંથી જ નહિ, પરંતુ મુંબઈ, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાંથી ભક્તો માતાજીના દર્શન કરવા માટે આવતા હોય છે. કેટલાક ભકતો પોતાની મનોકામના પૂરા થવા પર આકરી બાધા પણ માનતા હોય છે. 

મોરબીના વાંકાનેર હાઈવેથી સાત કિલોમીટર અંદરના ભાગમાં માટેલ ગામ આવેલું છે. કહેવાય છે કે, આ ગામનું ખોડિયાર માતાનું મંદિર લગભગ 1100 વર્ષ કરતા પણ વધુ પ્રાચીન છે. ખોડિયાર માતાજીનું સાચું નામ જાનબાઈ હતું. નાનપણમાં જાનબાઈ એટલે કે ખોડિયાર માતાજી તેમની સાત બેહનો અને ભાઈની સાથે રમતા હતા, ત્યારે ખોડીયાર માતાજીના ભાઈને સાપ કરડી ગયો હતો. ભાઈને સજીવ કરવા માટે માતાજી હાલમાં માટેલ મંદિરની સામેના ભાગમાં જે માટેલીયો ધારો આવેલો છે, તેમાંથી પાતાળલોક ગયા હતા.

લોકવાયકા એવી પણ છે કે, માટેલ ગામે ભૂરો ભરવાડ હતો, જેની એક ગાય રોજ એક જગ્યાએ દોરવાઈ જતી હતી. એક દિવસે ગાય માટલીયા ધરામાં જવા લાગી ત્યારે ભૂરા ભરવાડે ગાયનું પૂછડું પકડ્યું હતું. જેથી ગાયની સાથે તે પણ માટલીયા ધરામાં ગયો હતો. અંદર જઈને જોયું તો ધરામાં સોનાનું મંદિર હતું અને માતાજી હિંડોળા ઉપર ઝૂલે ઝૂલતા હતા. તેની ગાય રોજ દોરવાઈ જતી હોવાથી તેણે માતાજી પાસેથી વળતર માંગ્યું હતું. ત્યારે માતાજીએ ભૂરા ભરવાડને જારના આપ્યા હતા. જોકે ભૂરા ભરવાડે જારના ફેંકી દીધા હતા. પરંતુ એક તેના ધાબળામાં ચોટી ગયું હતું, જે સોનાનું હતું. હાલમાં જે જગ્યાએ માતાજીનું મંદિર આવેલ છે ત્યાં જારનું ઝાડ આવેલ છે અને તેમાં માતાજીનું ત્રિશુલ છે. જે દર વર્ષે ચોખા જેટલું વધે છે તેવું કહેવાય છે. 

માતા ખોડિયારનું  હાલ જે જગ્યાએ મંદિર છે ત્યાં જ માતાજી પ્રગટ થયા છે. ખાસ કરીને રવિવાર અને મંગળવારે માતાજીના દર્શન કરવા માટે દૂરદૂરથી યાત્રાળુઓ આવતા હોય છે. લોકોની આસ્થાનું કેન્દ્ર બની ગયેલા માટેલ ખોડિયાર ધામમાં દર વર્ષે ભક્તોની સંખ્યા વધી રહી છે. તેને ધ્યાનમાં રાખીને મંદિરમાં યાત્રાળુઓ માટે સતત સુવિધ વધારવામાં આવે છે. હાલમાં મંદિરમાં બહાર ગામથી આવતા માઈભક્તો માટે 110 રૂમની રહેવા માટેની અને બંને ટાઇમ જમવા માટે અન્નક્ષેત્રની સુવિધા છે. આ ઉપરાંત 140 ગાય મંદિરની ગૌશાળામાં છે.  

એવું કેહવાય છે કે ભૂરો ભરવાડ માટલીયા ધરામાં સોનાનું મંદિર જોઈ ગયો હોવાથી તેને વાત કરતા રાજાએ ધરામાંથી સોનાનું મંદિર બહાર કાઢવા માટે 999 કોસ મુકાવ્યા હતા. કાળા ઉનાળે માટલીયા દરની બાજુમાં જ ભાણેજીયો ધરો આવેલ છે, તેમાં પાણી લઇ ગયા હતા, તો પણ ધરામાં પાણી ખાલી થયું ન હતું. આજે પણ માટેલ ગામના લોકો માટલીયા ધરાનું પાણી ગાળિયા વગર જ પીવા માટે ઉપયોગ કરે છે. લોકો માને છે કે, આ ગામના લોકો પાણીજન્ય બીમારીનો ભોગ બનતા નથી. ઉપરાંત માટલીયા ધરાનું પાણી પણ ઘણા લોકો પોતાની સાથે લઇ જતા હોય છે. મોરબી તથા આસપાસના વિસ્તારમાંથી ઘણા પદયાત્રીઓ માટેલ સુધી ચાલીને આવતા હોય શનિવારે રાતે પદયાત્રીઓની સેવા કરવા માટે ઘણા સેવાભાવીઓ મોરબી વાંકાનેર હાઈવે પર કેમ્પ કરતા હોય છે.

આ રીતે વાહન મગર બન્યું 
ખોડિયાર માતાજીનું નામ પડવા પાછળની કથા એવી જાણવા મળે છે કે, એક વખત મામડિયા ચારણનાં સૌથી નાના સંતાન એવા મેરખિયાને ખુબજ ઝેરી ગણાય તેવા સાપે દંશ દીધો હતો. જેની વાત મળતા જ તેના માતા પિતા અને સાતેય બહેનોના જીવ અદ્ધર થઈ ગયા અને ઝેર કેવી રીતે ઉતરે તેનો ઉપાય વિચારતા હતાં. તેવામાં કોઈએ એવો ઉપાય બતાવ્યો કે પાતાળલોકમાં નાગરાજા પાસેથી અમૃતનો કુંભ સુર્ય ઉગે તે પહેલા લાવવામાં આવે તો મેરખિયાનો જીવ બચે તેમ છે. આ સાંભળીને બહેનોમાં સૌથી નાના એવા જાનબાઈ પાતાળમાંથી કુંભ લેવા ગયા. તેઓ જયારે કુંભ લઈને બહાર આવતા હતા ત્યારે રસ્તામાં તેમને પગમાં ઠેસ લાગી અને તેથી તેમને ચાલવામાં તકલીફ પડતી હતી. આવુ બન્યુ ત્યારે તેના ભાઈ પાસે રહેલ બહેનને એવો સંકેત થયો કે આ જાનબાઈ ખોડી તો નથી થઈને? ત્યારે ઝડપથી કુંભ લઈને આવી શકાય તે માટે જાનબાઈએ મગરની સવારી કરી જેથી તેનુ વાહન પણ મગર જ છે. જયારે તેઓ પાણીની બહાર આવ્યા ત્યારે ખોડાતા ખોડાતા આવતા હતાં તેથી તેનું નામ ત્યારથી ખોડિયાર પડયું અને ત્યાર પછી લોકો તેને ખોડિયારનાં નામે જ ઓળખવા લાગ્યાં હતાં.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news