જૂનાગઢ પાલિકાની ઓફિસના ધરમધક્કા ખાઈને કંટાળ્યા લોકો, પણ નથી મળી રહ્યું મા અમૃતમ કાર્ડ

રાજ્ય સરકારની મા અમૃતમ વાત્સલ્ય યોજના જરૂરિયાત મંદ લોકો માટે આશીર્વાદ સમાન છે. ત્યારે જુનાગઢ મનપા દ્વારા ચાલતી કાર્ડની કામગીરી છેલ્લા ઘણા સમયથી બંધ થતા અનેક જરૂરિયાતમંદ લોકોની મુશ્કેલી વધી છે.
જૂનાગઢ પાલિકાની ઓફિસના ધરમધક્કા ખાઈને કંટાળ્યા લોકો, પણ નથી મળી રહ્યું મા અમૃતમ કાર્ડ

ભાવિન ત્રિવેદી/ભાવનગર :રાજ્ય સરકારની મા અમૃતમ વાત્સલ્ય યોજના જરૂરિયાત મંદ લોકો માટે આશીર્વાદ સમાન છે. ત્યારે જુનાગઢ મનપા દ્વારા ચાલતી કાર્ડની કામગીરી છેલ્લા ઘણા સમયથી બંધ થતા અનેક જરૂરિયાતમંદ લોકોની મુશ્કેલી વધી છે.

જૂનાગઢ મહાનગર પાલિકામા મા અમૃતમ વાત્સલ્ય કાર્ડ કાઢી આપવાની યોજનાનું કામકાજ ઠપ થઇ જતા અનેક પરિવારો કાર્ડથી વંચિત રહી ગયા છે. જેને કારણે હાલ કોરોનાકાળમાં તેમને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે જૂનાગઢ મનપા કચેરી ખાતે ચાલતી કામગીરીના ટેબલ ખાલીખમ જોવા મળી રહ્યાં છે. રોજબરોજ અનેક જરૂરિયાતમંદ લોકો આવે છે. પણ તેઓને ધક્કા ખાવાનો વારો આવ્યો છે. મા અમૃતમ વાત્સલ્ય કાર્ડ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મેડિકલમાં આવેલી અચાનક સમસ્યાને લીધે મા અમૃતમ વાત્સલ્ય કાર્ડ ખૂબ કામ આવે છે. 

હાલ કોરોના મહામારીની બીજી લહેરની સાથે ફંગસનો રોગ જોવા મળી રહ્યો છે. એવા સમયે મા અમૃતમ વાત્સલ્ય કાર્ડ કામગીરી ઠપ થતા અનેક લોકો મનપા કચેરીએ ધક્કા ખાઈ રહ્યા છે. એવાજ એક જરૂરિયાત મંદ જેને પોતાના ધર્મપત્નીને ઓપરેશન માટે કાર્ડની જરૂર છે અને ડોક્ટરે પત્નીને ઓપરેશન માટે દોઢ લાખ ખર્ચ થશે તેવું કેહતા તેઓ પાલિકાની કચેરીએ પહોચ્યા હતા. મા અમૃતમ વાત્સલ્ય કાર્ડના જરૂરી ડોક્યુમેન્ટ લઈને છેલ્લા ત્રણ દિવસથી મનપા કચેરીએ ધક્કા ખાઈ રહ્યા છે. પરંતુ તેમને કોઈ જવાબ આપવામાં આવતો નથી.

મનપા કચેરીએ કાર્ડની કામગીરી ઠપ થતા આ કામગીરી જૂનાગઢ સિવિલ હોસ્પિટલને સોંપવામાં આવી હતી. મદદ માંગનાર શખ્સે કહ્યું કે, હાલ ત્યાં પણ કોઈ જવાબ બરાબર મળતો નથી અને મા અમૃતમ વાત્સલ્ય કાર્ડ માટે મનપા અને સિવિલ હોસ્પિટલમાં ધક્કા ખાઈ રહ્યા છે.  

મા અમૃતમ વાત્સલ્યની કામગીરી બંધ થતા મનપા કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે, મા અમૃતમ વાત્સલ્ય કાર્ડ માટે એજન્સી સાથે ઇસ્યુ ઉભા થયા હતા. પણ હવે એ પ્રશ્ન સોલ્વ થઇ ગયો છે અને હવે મા અમૃતમ વાત્સલ્ય કાર્ડ માટે PHC અને CHC માટે આપવાની કામગીરી ચાલી રહી છે. ટેકનિકલ પ્રોસેસ પૂરી થઇ ગઈ છે અને હવે ટૂંક સમયમાં મા કાર્ડની કામગીરી શરૂ કરવામાં આવશે. ત્યારે હાલ જે જરૂરિયાતમંદ લોકો છે તેને પ્રાયોરિટી પ્રમાણે તેને કાર્ડની ઝડપી કામગીરી કરવામાં આવે તેવી સૂચના આપવામાં આવી છે. ત્યારે હવે આજથી જ આ કામગીરી શરૂ થશે તેવી રીતે સૂચના આપવામાં આવી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news