કોઈ દોષિત નથી, કોઈએ રડવું નહીં, સ્યુસાઇડ નોટ લખી મોરબીમાં એક પરિવારનો સામૂહિક આપઘાત

મોરબીમાં એક પરિવાર દ્વારા સામૂહિક આપઘાત કરવામાં આવ્યો છે. આપઘાત કરનાર પરિવારના ઘરમાંથી એક સ્યુસાઇડ નોટ પણ મળી આવી છે. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. 

કોઈ દોષિત નથી, કોઈએ રડવું નહીં, સ્યુસાઇડ નોટ લખી મોરબીમાં એક પરિવારનો સામૂહિક આપઘાત

મોરબીઃ મોરબી શહેરના વસંત પ્લોટ વિસ્તારમાં અંદર રહેતા વેપારીએ તેના પત્ની અને પુત્રની સાથે પોતાના જ ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો છે. જેથી કરીને આ અંગેની જાણ મોરબી એ ડિવિઝન પોલીસને કરવામાં આવતા એસપી સહિતના અધિકારીઓ સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને મૃતક યુવાન, તેના પત્ની અને તેના દીકરાના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે ઘરમાંથી એક સુસાઇડ નોટ પણ પોલીસ દ્વારા કબજે કરવામાં આવી છે જેમાં મૃતક યુવાન દ્વારા જીવનથી કંટાળી ગયેલ હોય અને આ પહેલું ભરવા પાછળ કોઈનો દોષ નથી અને કોઈએ રડવું નહીં એવા ઉલ્લેખ કર્યો છે. જેથી પોલીસે આ સુસાઇડ નોટ કબજે કરીને આગળની તપાસ શરૂ કરી છે

મોરબી શહેરના વસંત પ્લોટ વિસ્તારની અંદર આવેલ રોયલ એપાર્ટમેન્ટમાં ચોથા માળે રહેતા હરેશભાઈ દેવચંદભાઈ કાનાબાર (56), તેમના પત્ની વર્ષાબેન હરેશભાઈ કાનાબાર (53) અને દીકરા હર્ષ હરેશભાઈ કાનાબાર (21)એ પોતાના જ ઘરની અંદર છતમાં લગાવેલા હુક સાથે ચુંદડી બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો અને આ બનાવ અંગેની મૃતક વર્ષાબેનના બહેનને જાણ થતા તેમણે મૃતક હરેશભાઈના ભાઈ પંકજભાઈને બનાવની જાણ કરી હતી અને ત્યાર બાદ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આપઘાતના આ બનાવની જાણ કરી હતી.

જેથી કરીને મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ હકુમતસિંહ જાડેજા, મોરબી જિલ્લાના એસપી રાહુલ ત્રિપાઠી સહિતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ તાત્કાલિક ઘટનાને દોડી ગયા હતા અને એપાર્ટમેન્ટના ફ્લેટની અંદર આપઘાત કરી લેનાર હરેશભાઈ, તેના પત્ની વર્ષાબેન અને હર્ષના મૃતદેહને તાત્કાલિક પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવ્યા હતા. પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ હરેશભાઈ કાનાબારના દરવાજાની ચાવી દરવાજામાં લટકતી હતી અને દરવાજો ખોલીને જોતા ત્યાં ઘરની અંદર ત્રણેય વ્યક્તિઓએ આપઘાત કરેલો હતો. જેથી કરીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.

વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે ઘરની અંદરથી એક સુસાઇડ નોટ મળી આવેલ છે. જેમાં હરેશભાઈ કાનાબારની નીચે સહી કરેલી છે અને “તે જીવનથી કંટાળી ગયા છે અને તેમના પરિવારે ભરેલા આ પગલા માટે કોઈ દોષિત નથી અને કોઈએ રડવું નહીં” એવો ઉલ્લેખ તેમણે પોતાની સુસાઇડ નોટમાં કરેલ છે. જોકે આ સુસાઇડ નોટ ખરેખર હરેશભાઈ લખી છે કે અન્ય કોઈએ તે પણ એક તપાસમાં વિષય છે. અને સ્થળ ઉપર એકત્રિત થયેલા લોકો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે આર્થિક મૂંઝવણના કારણે હરેશભાઈ કાનાબાર અને તેના પરિવારે આ પગલું ભર્યું હોય તેવી શક્યતાઓ હાલમાં દેખાઈ રહી છે.

સૂત્રો પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક હરેશભાઈ કાનાબારના પિતા વર્ષ 1986 માં મોરબી પાલિકામાં સભ્ય તરીકે ચૂંટાયા હતા અને તેનું મોરબીના લોહાણા સમાજ અને જનસંઘમાં પણ બહુજ મોટું નામ હતું. જો કે, હાલમાં હરેશભાઈને મોરબીમાં સરદાર રોડ પાસે આવેલ પાર્સલનાથ કોમ્પ્લેક્સમાં હાર્ડવેરની દુકાન હતી અને તેમનો દીકરો હર્ષ કાનાબાર હાલમાં સીએનો અભ્યાસ કરતો હતો. જોકે એક સાથે પરિવારના ત્રણ સભ્યોએ આપઘાત કરતા લોહાણા પરિવાર સહિત મોરબીની અંદર અરેરાટી વ્યાપી ગઈ હતી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news