બ્રહ્માંડનું પ્રતિક કહેવાતા ઘટ સ્થાપનાનું નવરાત્રિમાં કેમ હોય છે મહત્વ, વિધિ મુજબ કેવી રીતે કરશો જાણો અહીં બધું

Importance Of Ghatasthapana In Navratri : શાસ્ત્રો અનુસાર કળશને બ્રહ્માંડનું પ્રતિક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે બ્રહ્માંડમાં તમામ દેવતાઓ સાથે રહે છે. નવરાત્રિ પૂજામાં કળશ એ સંકેત છે કે પૂજામાં કળશ દ્વારા તમામ દેવી-દેવતાઓનું આહ્વાન કરવામાં આવે છે

બ્રહ્માંડનું પ્રતિક કહેવાતા ઘટ સ્થાપનાનું નવરાત્રિમાં કેમ હોય છે મહત્વ, વિધિ મુજબ કેવી રીતે કરશો જાણો અહીં બધું

કચ્છ :આદ્યશક્તિની આરાધના વિશેષ નવરાત્રિ પર્વની શાસ્ત્રોકત રીતે આરાધનાર્થે ભુજ આશાપુરા મંદિર ખાતે વિધિ વિધાન સાથે દેશદેવીની દ્વિમૂર્તિની સાક્ષીએ ઘટસ્થાપન કર્યું હતું. નવ દિવસ નવરાત્રિની શરૂઆત કળશની સ્થાપના અથવા તો ઘટ સ્થાપનાથી કરવામાં આવે છે. નવરાત્રિમાં ઘટ સ્થાપનાનું વિશેષ મહત્વ છે.

નવરાત્રિમાં મુહૂર્ત જોવાની જરૂર પડતી નથી, શુભ કાર્યો કરી શકાય છે
હિન્દુ ધર્મમાં નવરાત્રિનું વિશેષ મહત્વ રહેલું છે. શારદીય નવરાત્રિના નવ દિવસ દરમિયાન ભક્તો ઉપવાસ કરે છે અને માતાની વિધિપૂર્વક પૂજા કરે છે. નવરાત્રિના આ પવિત્ર દિવસો શુભ કાર્યો માટે ખૂબ જ શ્રેષ્ઠ માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર નવરાત્રિની નવ તિથિ એવી છે, જેમાં મુહૂર્ત જોયા વગર કોઈપણ શુભ કાર્ય કરી શકાય છે. નવરાત્રિના શુભ અવસર પર મોટાભાગના લોકો નવો ધંધો શરૂ કરે છે અથવા નવા ઘરમાં પ્રવેશ કરે છે. નવરાત્રિની ઉજવણીમાં મંદિરોમાં અને ઘરોમાં મા આદ્યશક્તિની ઘટસ્થાપના કરવામાં આવે છે. 

ઘટ સ્થાપના કેવી રીતે કરાય છે 
ઘટ સ્થાપના વખતે માટીમાં અગિયાર ધાન્યની વાવણી કરીને જવારા ઉગાડવામાં આવે છે અને દસમા દિવસે માતાજીની વિદાય સાથે આ જવારાનું પણ વિસર્જન થાય છે. કેટલાંક લોકો શુકન સ્વરૂપે જવારા પોતાની તિજોરી કે કબાટમાં આખા વર્ષ સુધી રાખે છે. નવા વર્ષે બીજા નવા જવારા મૂકીને પછી જ જૂનાં જવારા વિસર્જિત કરે છે. નવરાત્રિના પહેલાં દિવસે માતાજીનું સ્થાપન કરવામાં આવે છે.

કળશ બ્રહ્માંડનું પ્રતિક ગણાય છે  
શાસ્ત્રો અનુસાર કળશને બ્રહ્માંડનું પ્રતિક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે બ્રહ્માંડમાં તમામ દેવતાઓ સાથે રહે છે. નવરાત્રિ પૂજામાં કળશ એ સંકેત છે કે પૂજામાં કળશ દ્વારા તમામ દેવી-દેવતાઓનું આહ્વાન કરવામાં આવે છે. ભુજ ખાતે આશાપુરા મંદિરે પૂજારી જનાર્દનભાઈ દવે દ્વારા પરંપરાગત તેમજ વર્ષો જુની ધાર્મિક વિધિ મુજબ ઘટસ્થાપન કરાયું હતું. જેમાં બહોળી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા.

કોઈ પણ શુભ પ્રસંગે કળશ સ્થાપના કેમ કરાય છે
ઘટ સ્થાપનાના મહત્વ વિશે જર્નાદનભાઈ દવેએ જણાવ્યું કે, નવરાત્રિમાં કળશની સ્થાપના સાથે એક દંતકથા જોડાયેલી છે. આ કથા અનુસાર શ્રી હરિ વિષ્ણુ અમૃત કળશ સાથે પ્રગટ થયા હતા. તેથી તેમાં અમરત્વની અનુભૂતિ થાય છે. આ જ કારણ છે કે ઘરના કોઈપણ શુભ પ્રસંગે ઘટ સ્થાપન અથવા કળશ સ્થાપન કરવામાં આવે છે. કહેવાય છે કે કળશમાં દેવતાઓ, ગ્રહો અને નક્ષત્રોનો વાસ હોય છે અને કળશને શુભ કાર્યનું પ્રતિક માનવામાં આવે છે. કળશની સ્થાપના કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news