નવસારી-બારડોલી રાજ્ય ધોરીમાર્ગ 9 કે 12 મીટર પહોળો કરવાં તંત્ર અવઢવમાં, વેપારીઓ, ગ્રામીણો, ખેડૂતોનો વિરોધનો સૂર

નુડાના પ્રસ્તાવિત રસ્તામાં પણ નવસારી બારડોલી માર્ગ 18 મીટર કરવાનો ઉલ્લેખ છે, પણ નુડાએ પણ જમીન સંપાદનની કામગીરી કરી નથી. રાજ્ય સરકાર દ્વારા પણ રાજ્ય ધોરીમાર્ગને પહોળો કરવા જમીન સંપાદન બાદ જ વર્ક ઓર્ડર આપવાનો નિયમ બનાવાયો છે. 

નવસારી-બારડોલી રાજ્ય ધોરીમાર્ગ 9 કે 12 મીટર પહોળો કરવાં તંત્ર અવઢવમાં, વેપારીઓ, ગ્રામીણો, ખેડૂતોનો વિરોધનો સૂર

ધવલ પારેખ, નવસારી : નવસારીથી બારડોલી સુધીના રાજ્ય ધોરીમાર્ગને ચાર માર્ગીય કરવામાં આવી રહ્યો છે, પરંતુ નવસારીથી સૂપા ગામ સુધીના 11 કિમીના માર્ગ પર કેન્દ્રથી બંને તરફ 9 મીટર રસ્તો પહોળો કરવાની તૈયારી હતી. પણ અચાનક 12 મીટર રસ્તો કરવાની તૈયારી શરૂ થતા વેપારીઓ, ખેડૂતો અને ગ્રામીણો જમીન સંપાદનના યોગ્ય વળતર વિના જમીન નહીં આપવાની વાત સાથે વિરોધનો સૂર છેડ્યો છે. 

નવસારીથી બારડોલી સુધીના રાજ્ય ધોરીમાર્ગને પહોળો કરવાની કામગીરી લાંબા સમયથી ચાલી રહી છે. જેમાં નવસારીના ગ્રીડ ચાર રસ્તા પાસેથી રસ્તો 18 મીટર પહોળો કરવા તંત્ર દ્વારા ચૂંટણી પહેલા રોડની બંને તરફ આવેલા વેપારીઓ સાથે બેઠક કરી તેમની મંજૂરી મેળવી હતી. રસ્તો 18 મીટર કરતા વચ્ચે ડિવાઈડર બનશે, પણ રસ્તાની બંને છેડે વરસાદી ગટર નહીં બને. જેથી વેપારીઓ ચિંતામાં મુકાયા હતા. કારણ કે ચોમાસામાં ગ્રીડ સર્વિસ રોડથી બારડોલી તરફ જતા માર્ગ પર ઘૂંટણ સમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકોને મુશ્કેલી વેઠવી પડે છે. જેથી ડિવાઈડર સાથે વરસાદી ગટર લાઈન બનાવવી હોય, તો નિયમાનુસાર રસ્તો 12 મીટર કરવો પડે. જોકે વેપારીઓની ગડમથલ વચ્ચે તંત્ર દ્વારા 12 મીટરનું માર્કિંગ કરતા વેપારીઓ સાથે ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો અને ગ્રામીણો આશ્ચર્યમાં મૂકાયા છે. જેમાં ગામડાઓના આગેવાનોએ જિલ્લા કલેકટર સહિત સંબંધિતોને લેખિત રજૂઆત કરી રસ્તો 9 મીટર કે 12 મીટર પહોળો થશે એની ચોખવટ કરવા સાથે જમીન સંપાદનની પ્રક્રિયા કરી નથી. જેથી ગ્રામ્ય કક્ષાએ હળપતિ સમાજના અંદાજે 70 આવાસો, મસ્જિદ, દુકાનો, ખેતીની જમીન મોટા પાયે કપાતમાં જશે અને લોકોને મોટુ નુકશાન વેઠવા પડશે. જેથી વિસ્થાપિત થતા આદિવાસી પરિવારોને ઘરના બદલામાં ઘર મળે અને ખાનગી મિલકતોને થતા નુકશાનનું યોગ્ય વળતર મળે એવી માંગણી કરી છે. જો તંત્ર દ્વારા સંપાદન વિના જમીન લેવાની તૈયારી કરી, તો વિરોધ ઉગ્ર બને એવી સંભાવના પણ સેવાઈ રહી છે. 

બીજી તરફ ગ્રીડ ચાર રસ્તાથી કબીલપોર GIDC સુધીના માર્ગ પરના વેપારીઓ પણ 9 અને 12 મીટરમાં ગૂંચવાયેલા છે. તંત્ર દ્વારા ડિવાઈડર સાથે વરસાદી ગટર 9 મીટરમાં નહીં પણ 12 મીટરમાં બનેની વાત કરતા ચિંતામાં મુકાયા છે. ગ્રીડથી GIDC સુધીના અઢીથી ત્રણ કિમીના રસ્તા પર જ કરોડો રૂપિયાની 1.30 લાખ ચો. ફૂટ જગ્યા જઈ રહી છે. જેથી વેપારીઓનો વિરોધ છે. 9 મીટર માટે વેપારીઓ સહમત છે, પણ વરસાદી ગટર નહીં બનેની વાત સાથે વિરોધ છે. કારણ ગટર ન બને તો ચોમાસામાં પાણીના ભરાવાની સમસ્યા વધુ વિકટ બનશે. સાથે જ રસ્તાને પણ નુકશાન થવાથી પ્રજાના કરોડો રૂપિયા વેડફાશે. જેથી રસ્તો 9 મીટર જ રહે અને બંને તરફ વરસાદી ગટર બનાવવામાં આવે એવી વેપારીઓ માંગ કરી રહ્યા છે.

નુડાના પ્રસ્તાવિત રસ્તામાં પણ નવસારી બારડોલી માર્ગ 18 મીટર કરવાનો ઉલ્લેખ છે, પણ નુડાએ પણ જમીન સંપાદનની કામગીરી કરી નથી. રાજ્ય સરકાર દ્વારા પણ રાજ્ય ધોરીમાર્ગને પહોળો કરવા જમીન સંપાદન બાદ જ વર્ક ઓર્ડર આપવાનો નિયમ બનાવાયો છે. ત્યારે તંત્ર દ્વારા નિયમને ઉપરવટ જઈ કોના ઇશારે માર્ગ 9 ને બદલે 12 મીટર કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે, એને લઈને સવાલો ઉઠવા પામ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news