આ રીતે ભણશે ગુજરાત? આચાર્યના ચારિત્ર્ય પર લાંછન લગાવનાર બે શિક્ષિકાઓનો વિવાદ વકર્યો, થયો હોબાળો

નવસારી જિલ્લા પંચાયત સંચાલિત છાપરા પ્રાથમિક શાળાના આચાર્ય રાજેશ ઝાલરિયા સામે શાળાની જ બે શિક્ષિકાઓ ગીરા ટંડેલ અને જાગૃતિ પટેલે છેડતીના મુકેલા આરોપો તપાસ બાદ તથ્ય ન જણાતા બંને શિક્ષિકાઓની બદલી કરી દેવામાં આવી હતી.

આ રીતે ભણશે ગુજરાત? આચાર્યના ચારિત્ર્ય પર લાંછન લગાવનાર બે શિક્ષિકાઓનો વિવાદ વકર્યો, થયો હોબાળો

ધવલ પરીખ/નવસારી: શિક્ષકો ચારિત્ર્ય ઘડતા હોય છે, પરંતુ નવસારીની છાપરા પ્રાથમિક શાળાના આચાર્યના ચારિત્ર્ય ઉપર લાંછન લગાવનાર બે શિક્ષિકાઓ ખોટી ઠરી અને તેમને સજાના રૂપે બદલી કરી દેવામાં આવી હતી. પરંતુ સવા મહિના બાદ ફરી એ જ શિક્ષિકાઓ શાળામાં પરત લેવાની વાતે આજે વાલીઓએ ઉગ્ર વિરોધ નોંધાવી શાળાને તાળાબંધી કરી હતી. જેમાં વાલીઓને આચાર્ય અને પોલીસે સમજાવતા 2 કલાક બાદ વાલીઓ માન્યા હતા અને તાળા ખોલ્યા હતા. 

નવસારી જિલ્લા પંચાયત સંચાલિત છાપરા પ્રાથમિક શાળાના આચાર્ય રાજેશ ઝાલરિયા સામે શાળાની જ બે શિક્ષિકાઓ ગીરા ટંડેલ અને જાગૃતિ પટેલે છેડતીના મુકેલા આરોપો તપાસ બાદ તથ્ય ન જણાતા બંને શિક્ષિકાઓની બદલી કરી દેવામાં આવી હતી. પરંતુ સવા મહિના બાદ બંને શિક્ષિકાઓને શિક્ષણ નિયામક દ્વારા ફરી છાપરા શાળામાં મુકાતા વાલીઓ રોષે ભરાયાં હતાં. જેમાં આજે શિક્ષિકાઓ હાજર થવાની જાણ થતા વાલીઓએ ઉગ્ર વિરોધ સાથે શાળાના દરવાજે તાળાબંધી કરી હતી. જેને કારણે 580 થી વધુ વિદ્યાર્થીઓ શાળાની બહાર અટકી પાડયા હતા. 

વાલીઓની માંગ હતી કે જે શિક્ષિકાઓ આચાર્યના ચારિત્ર્ય ઉપર ખોટા આક્ષેપો કરે, તો એવી શિક્ષિકાઓ બાળકોને શું ભણાવશે. આચાર્ય સામેના આક્ષેપોમાં શાળાની SMC, શિક્ષકો, બાળકો તમામના નિવેદનો લેવાયા અને કોર્ટ સુધી વાત પહોંચી ત્યારબાદ આચાર્ય નિર્દોષ સાબિત થયા હતા. બંને શિક્ષિકાની બદલી થઈ, તો એક જ મહિનામાં કેવી રીતે પાછી બદલી છાપરામાં થઈ શકે. જેથી આ બંને શિક્ષિકાઓ આ શાળામાં ન આવે એની માંગ વાલીઓ દ્વારા કરવામાં આવી હતી. જેમાં 2 કલાક સુધી આચાર્ય અને ગ્રામ્ય પોલીસે વાલીઓને સમજાવ્યા અને શિક્ષિકાઓ મુદ્દે યોગ્ય નિર્ણય કરવાની પ્રાથમિક શિક્ષણાધિકારીએ બાંહેધરી આપતા શાળાના તાળા ખોલાવ્યા હતા. 

છાપરા પ્રાથમિક શાળાના આચાર્ય રાજેશ ઝાલરિયાએ શાળામાં 2021 માં બદલી પામીને આવેલ શિક્ષિકાઓ ગીરા ટંડેલ અને જાગૃતિ પટેલ ગુણવત્તાયુક્ત કામગીરી ન કરતા હોવાના આક્ષેપો સાથે નોટીસ પાઠવી હતી. જેનો જવાબ ન આપવા પડે એટલે સામે શિક્ષિકાઓએ આચાર્ય છેડતી કરતા હોવાના આક્ષેપ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, મહિલા આયોગ, નવસારી ગ્રામ્ય પોલીસ સહિત મહિલા NGO માં ફરિયાદ કરતા તપાસ થઈ હતી. 

તમામ એજન્સીઓની તપાસમાં આચાર્ય રાજેશ ઝાલરિયા નિર્દોષ સાબિત થતા જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ સંયુક્ત રીતે શિક્ષણ નિયામકને રિપોર્ટ કરી, બંનેની બદલીની દરખવાસ્ત કરી હતી. જેને આધારે શિક્ષણ નિયામકે ફરિયાદ કરનાર બંને શિક્ષિકાઓ ગીરા ટંડેલ અને જાગૃતિ પટેલની વાંસદા તાલુકા સરહદી શાળાઓમાં શિક્ષાત્મક બદલી કરી દેવામાં આવી હતી.

પરંતુ ગત 4 જુલાઈના રોજ ગીરા ટંડેલ અને જાગૃતિ પટેલની બદલીનો ઓર્ડર રિવર્સ કર્યાનો શિક્ષણ નિયામકનો આદેશ મળતા આચાર્ય સહિત વાલીઓ ચોંકી ઉઠ્યા હતા. જોકે શિક્ષિકાઓ હાલ ચાલી રહેલા બદલી કેમ્પમાં આવી હોવાનો લૂણો બચાવ શિક્ષણાધકારીએ કર્યો હતો અને સમગ્ર પ્રકરણમાં તેમની જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કર્યો હતો.

શાળા બાળકોના ચારિત્ર્યનું ચણતર કરતી હોય છે, પણ શાળામાં શિક્ષિકા જ પોતાની કામગીરી મુદ્દે આપેલ નોટીસ સામે આચાર્યના ચારિત્ર્યનું હનન કરવાના પ્રયાસ કરતી હોય, ત્યારે બાળકો ઉપર કેવા સંસ્કાર પડશેનાં સવાલ વાલીઓ ઉઠાવી રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news