નરોડા GIDC વિસ્તારમાં પોલીસની ફ્લેગમાર્ચ, પરપ્રાંતીયો સાથે કરી ચર્ચા

આજે અમદાવાદના નરોડા વિસ્તારમાં પોલીસની 16 ગાડીઓ સાથે અધિકારીઓએ ફ્લેગમાર્ચ કરી હતી. 
 

નરોડા GIDC વિસ્તારમાં પોલીસની ફ્લેગમાર્ચ, પરપ્રાંતીયો સાથે કરી ચર્ચા

અમદાવાદઃ  હિંમતનગર તાલુકાના ઢુંઢર ગામમાં 14 માસની બાળકી પર દુષ્કર્મ બાદ રાજ્યના કેટલાક વિસ્તારોમાં પરપ્રાંતીયો પર હુમલાની ઘટનાઓ બની હતી. જેના પગલે અમદાવાદમાં પરપ્રાંતીયો પર હુમલાના મામલે નરોડા પોલીસે ફ્લેગ માર્ચ યોજી હતી. મહત્વનું છે કે નરોડા GIDCમાં હજારો પરપ્રાંતીયો વસે છે. પોલીસે આ વિસ્તારમાં ફ્લેગમાર્ચ યોજીને તેમની સાથે ચર્ચા કરી હતી. પોલીસે તેમને સમજાવ્યા અને કહ્યું કે, સુરક્ષા માટે પોલીસ તમારી સાથે છે. 

આજે અમદાવાદના નરોડા વિસ્તારમાં પોલીસની 16 ગાડીઓ સાથે અધિકારીઓએ ફ્લેગમાર્ચ કરી હતી. પરપ્રાંતીય પર હુમલા ન થાય અને આવી ઘટનાઓને કોઈ અંજામ ન આપે તેની સાવચેતીરૂપે અમદાવાદ શહેર અને ઔધોગિક વિસ્તારમાં ફ્લેગ માર્ચ કરી હતી. એસીપી વી એમ જાડેજાની આગેવાનીમાં વટવા, વટવા જીઆઈડીસી, નારોલ વિસ્તારમાં આ ફ્લેગ માર્ચ યોજાઈ હતી. તેમાં પીઆઈ તેમજ અન્ય પોલીસકર્મી જોડાયા હતા. ઓઢવ અને કઠવાડા જીઆઇડીસી વિસ્તારમાં પણ ફ્લેગ માર્ચ યોજાઈ હતી.

અમદાવાદની જીઆઈડીસી વિસ્તારમાં ભયનો માહોલઃ કલેક્ટર
અમદાવાદમાં પરપ્રાંતીયો પર વધી રહેલા હુમલાઓને અમદાવાદ કલેક્ટર વિક્રાંત પાંડેએ સ્પષ્ટતા કરી હતી. કલેક્ટર વિક્રાંત પાંડેએ જણાવ્યું કે, સાબરકાંઠાના બનાવ બાદ અમદાવાદ જિલ્લાના જીઆઈડીસી વિસ્તારમાં ભયનો માહોલ છે. જેના પગલે હાલ 3 SRPની કંપનીઓ તૈનાત કરાઈ છે. તો ફોનીક્સના સીક્યોરીટી ગાર્ડ પર હુમલો અને રાય યુનિવર્સિટીમાં બનાવ બન્યાની વાત કલેક્ટરે સ્વીકારી હતી.

અત્યાર સુધી 47ની ધરપકડ
પરપ્રાંતીયો પર થયેલા હુમલા બાદ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી. ઉત્તર ભારતીયો રહે છે તે વિસ્તારમાં પોલીસે બંદોબસ્ત ગોઠવી દીધો હતો. આ સાથે અશાંતિ ફેલાવનારા લોકો પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. અત્યાર સુધી પોલીસે 47 લોકોની ધરપકડ પણ કરી છે. મહત્વનું છે કે, રાજ્યમાં આ પરપ્રાંતીયો પર શરૂ થયેલા હુમલાઓ બાદ હજારો લોકો હિરજત કરીને પોતાના વતન પરત ફરી ગયા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news