ગુજરાતમાં પણ હતા ચિત્તા, ગર્વ લેવા માટે પાલતૂ ચિત્તાઓની આ એક તસવીર પૂરતી છે

Project Cheetah : ભારતના વન્ય જગતમાં એક નવો અધ્યાય લખાયો છે. સાત દાયકા બાદ ભારતમાં ચિત્તાનું આગમન થયું છે, પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે ગુજરાતમાં પણ ચિત્તા હતા

ગુજરાતમાં પણ હતા ચિત્તા, ગર્વ લેવા માટે પાલતૂ ચિત્તાઓની આ એક તસવીર પૂરતી છે

અમદાવાદ :ભારતના વન્ય જગતમાં એક નવો અધ્યાય લખાયો છે. સાત દાયકા બાદ ભારતમાં ચિત્તાનું આગમન થયું છે. નામીબિયાથી આઠ ચિત્તા સાથે ચાર્ટર્ડ કાર્ગો વિમાન ગ્વાલિયરના એરફોર્સ સ્ટેશન પર આવી પહોંચ્યું હતા. આ ચિત્તાને હવે હેલિકોપ્ટરથી કુનો નેશનલ પાર્ક લઈ જવાયા. જેના બાદ PM મોદીએ ચિત્તાને કુનોના જંગલમાં મુક્ત કર્યા હતા. લગભગ 70 વર્ષ બાદ ભારતમા ચિત્તા જોવા મળ્યાં છે. જોકે, એક સમયે ગુજરાતમાં પણ ચિત્તાનો વસવાટ હતો. પરંતુ ગુજરાતમાંથી પણ ચિત્તા લુપ્ત થઈ ગયા હતા. એટલુ જ નહિ, વડોદરામાં પણ ચિત્તા હતા. મહારાજા સર સયાજીરાવ ગાયકવાડ પાસે 200 ચિત્તા હતા. 

દેશનો છેલ્લો ચિત્તો 

  • 1947માં છેલ્લા 3 એશિયાઈ ચિત્તા બચ્યા હતા 
  • છત્તીસગઢના રાજા રામાનુજ પ્રતાપ સિંહ દેવે 3 ચિત્તાનો શિકાર કર્યો
  • છેલ્લો ચિત્તો 1950માં છત્તીસગઢમાં દેખાયો હતો 
  • ચિત્તાની બાળ આપનાર માટે સરકારે 5 લાખનું ઈનામ રાખ્યુ હતું
  • અકબરે અંદાજે 1 હજાર ચિત્તા પાળ્યા હતા

ગુજરાતમાં અહીં એક સમયે 50 ચિત્તા રહેતા હતા
આઝાદી પહેલાં ભારતમાં ચિત્તાનું ઘર હતું પરંતુ વધતા જતા શિકાર અને ઘટતા જતાં જંગલોના કારણે 1947માં છત્તીસગઢમાં છેલ્લા ચિત્તાએ દમ તોડી નાંખ્યો હતો. ગુજરાતમાં આ દિશામાં નક્કર પ્રગતિ જોવા મળતી નથી. ભારતમાં 1945 સુધી ચિત્તા દેખાતા હતા પરંતુ 1952માં ચિત્તા લુપ્ત થયાનું જાહેર કરાયું હતું. જોકે, ગુજરાતમાં ચિત્તા હોવાના અલગ અલગ મત છે. કહેવાય છે કે, એક સમયે કચ્છના બન્નીના મેદાનમાં 50 ચિત્તા રહેતા હતા. કારણ કે, આવા મેદાન ચિત્તાને માફક આવે તેમ છે. કાળા ડુંગર પર ચિત્તાઓનો વસવાટ હતા. પરંતુ અહીંથી ચિત્તા લુપ્ત થતા ગયા. 

ચિત્તાની ખાસિયતો દુનિયાનું સૌથી ઝડપી દોડનારું પ્રાણી

  • 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે
  • 23 ફૂટ એટલે કે 7 મીટર લાંબી છલાંગ લગાવી શકે છે
  • લગભગ એક મિનિટ સુધી મહત્તમ ઝડપે દોડી શકે છે
  • મસ્તક વાઘ, સિંહ, દીપડા અને જગુઆરની સરખામણીમાં નાનું
  • ખોપડીનું વજન ઓછું હોવાથી ઝડપથી દોડવામાં સરળતા રહે છે
  • ફક્ત 3 સેકન્ડમાં 70 માઈલ પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે
  • ચહેરા પરની કાળા રંગની લાઈન આંખોમાં સૂર્યપ્રકાશને પ્રવેશતા અટકાવે છે
  • દોડતી વખતે નહોર પંજાની અંદર જતાં નથી 
  • દોડતી વખતે પૂંછડીનો ઉપયોગ પતવારની જેમ કરે છે 
  • વયસ્ક ચિત્તાનું વજન 34થી 56 કિલોગ્રામ જેટલું હોય છે
  • લંબાઈ 5 ફૂટ, ઉંચાઈ 3 ફૂટ જેટલી

ગુજરાતમાં છેલ્લે ક્યાં જોવા મળ્યા હતા
ગુજરાતમા ચિત્તાની છેલ્લી હયાતી સામે મતમંતાતર પ્રવર્તે છે. જાણકારોના કહેવા પ્રમાણે, રાજ્યમાં છેલ્લે ૧૮૯૪મા ભાવનગર જિલ્લામા શેંત્રુજી નદીના પટમા ચિત્તો દેખાયો હતો. ૧૮૧૨ માં અંગ્રેજ ઓફિસર જેમ્સ ફોબ્ર્સે દક્ષિણ ગુજરાતમાંથી ચિત્તાનો શિકાર કર્યો હોવાની નોંધ થયેલી છે.

વડોદરાના રાજા પાસે હતા 200 ચિત્તા
ગાયકવાડ રાજાઓએ 18મી સદીમાં સોનગઢમાં ચિત્તા પાળવાની શરૂઆત કરી, પછી ગ્વાલિયર અને ઇન્દોર સ્ટેટ તથા ભાવનગરના કૃષ્ણસિંહજીએ પણ પાલતું ચિત્તા પાળ્યા હતા. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ પાસે સ્ટેટમાં 200 જેટલા પાલતું ચિત્તાઓ હતા.વડોદરાના રાજાએ શહેરના બગીખાનામાં ઘોડાઓની સાથે ચિત્તાઓને રાખ્યા હાત. સાથે તેના પાલકો પણ રખાતા હતા. એટલું જ નહિ, 1952 સુધી ચિત્તાઓને આંખે પટ્ટા અને શરીરે ચેઇન બાંધીને વડોદરાના રસ્તાઓ પર ફેરવવામાં આવતા હતા.  

કેવી રીતે સફળ થયો ચિત્તાને ભારત લાવવાનો પ્રોજેક્ટ? 

  • 2009માં ચિત્તાના પુનર્વસન માટે ચર્ચા શરૂ થઈ
  • વર્ષ 2010માં WIIએ અનેક ક્ષેત્રોનું સર્વેક્ષણ કર્યું 
  • 2019માં સુપ્રીમ કોર્ટે ચિત્તાને ભારત લાવવા પરવાનગી આપી 
  • SCએ ચિત્તાઓના વસવાટ માટે યોગ્ય સ્થળ શોધવા આદેશ આપ્યો 

ઉલ્લેખનીય છે કે, કુનો અને ગ્વાલિયર વચ્ચેનું અંતર 200 કિલોમીટર જેટલું છે. ચિત્તા સાથે નામીબિયાથી વન્ય નિષ્ણાતોની એક ટીમ પણ આવી છે. જેમનું ભાજપ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ ગ્વાલિયરમાં સ્વાગત કર્યું હતું. એક મહિના સુધી ચિત્તાને ખાસ ક્વોરન્ટાઈન વાડામાં રાખવામાં આવશે. ત્યારબાદ તેમને મોટા વાડામાં છોડવામાં આવશે. મધ્ય પ્રદેશ અને રાજસ્થાનની સરહદે આવેલા શ્યોપુર જિલ્લાનું કુનો નેશનલ પાર્ક ચિત્તાના પુનર્વસન માટે યોગ્ય જણાયું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news