રાજકોટમાં ક્લાસ-2 અધિકારીના PMJAY કાર્ડ મામલે ખુલાસો, હિતેન્દ્ર ઝાંખરિયાનું મહત્વપૂર્ણ નિવેદન

રાજકોટ સિવિલ હોસ્પિટલના ચીફ નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટે ખોટા આધાર પુરાવા રજૂ કરી આખા પરિવારનું કાર્ડ કઢાવ્યું હોવાના આક્ષેપ સાથે કૌભાંડ અંગે ફરિયાદ દાખલ કરવા પોલીસ કમિશનરને રજુઆત કરાઈ હતી.

રાજકોટમાં ક્લાસ-2 અધિકારીના PMJAY કાર્ડ મામલે ખુલાસો, હિતેન્દ્ર ઝાંખરિયાનું મહત્વપૂર્ણ નિવેદન

ગૌરવ પટેલ, રાજકોટ: રાજકોટમાં ક્લાસ-2 અધિકારીના PMJAY કાર્ડ મામલે એક મહત્વપૂર્ણ ખુલાસો થયો છે. કોરોના વોરિયર્સ હોવાથી PMJAY કાર્ડ મળ્યોનો દાવો કરવામાં આવ્યો છે. સિવિલના ચીફ નર્સિંગ સુપરિન્ટેન્ડન્ટ હિતેન્દ્ર ઝાંખરિયાએ જણાવ્યું હતું કે, કિસાન રાઠોડે કરેલા તમામ આક્ષેપ ખોટા છે. મેં આવકના કોઈ ખોટા પુરાવા આપ્યા નથી. કોરોના વોરિયર્સને સમ્માન સ્વરૂપ કાર્ડ મળે છે તેવી માહિતી મળી હતી. આ માહિતીના અનુસંધાને વોરિયર્સ હોવાથી કાર્ડ કઢાવ્યું છે. જેમાં મેં પાનકાર્ડ, આધાર કાર્ડ સહિતના તમામ પુરાવા આપ્યા છે. મારી પત્નીને સિવિલમાં દાખલ કરાઈ હતી, ત્યારે આ કાર્ડનો ઉપયોગ કર્યો હતો. આઉટસોર્સ એજન્સીના પૂર્વ ક્લાર્કે મારી પર આક્ષેપ કર્યો છે. ભૂતકાળમાં પણ આ કિશન રાઠોડે મારી સામે અરજી કરી છે. 

જાણો શું હતો સમગ્ર કેસ? 
રાજકોટ સિવિલ હોસ્પિટલના ચીફ નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટે ખોટા આધાર પુરાવા રજૂ કરી આખા પરિવારનું કાર્ડ કઢાવ્યું હોવાના આક્ષેપ સાથે કૌભાંડ અંગે ફરિયાદ દાખલ કરવા પોલીસ કમિશનરને રજુઆત કરાઈ હતી. રાજકોટના કલાસ - 2 અધિકારી કે જે વર્ષે લાખોનો પગાર પાડે છે તેમની પાસે પણ સરકારની મફત સારવાર યોજનાનું આયુષ્યમાન કાર્ડ હોવાનું ખુલ્યું હતું. સિવિલ હોસ્પિટલના ચીફ નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ હિતેન્દ્ર હેમંતલાલ ઝાંખરીયાએ ખોટા આધાર પુરાવા રજૂ કરી આખા પરિવારનું કાર્ડ કઢાવ્યું હોવાના આક્ષેપ સાથે કૌભાંડ અંગે ફરિયાદ દાખલ કરવા પોલીસ કમિશનરને રજુઆત કરાઈ હતી. 

અરવિંદભાઈ મણિયારનગર, હુડકો ક્વાર્ટરમાં રહેતા કિશનભાઈ રાઠોડે પોલીસ કમિશ્નરને એક રજુઆત કરી હતી. તેમણે રજુઆતમાં આક્ષેપો સાથે જણાવ્યું હતું કે, રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ચીફ નર્સિંગ સુપરિન્ટેન્ડેન્ટ તરીકે ફરજ બજાવતા હિતેન્દ્રકુમાર હેમતલાલ ઝાંખરીયા દ્વારા સિવિલ હોસ્પિટલમાં અનેક ગેરરીતિઓ આચરવામાં આવી છે તેવા આક્ષેપો થતા રહ્યા છે. હિતેન્દ્ર ઝાંખરીયા ગુજરાત સરકારના ક્લાસ ટુ અધિકારી છે. તેમની આવક મર્યાદા સરકારના મા કાર્ડના ધારાધોરણ મુજબ ત્રણ ગણી વધારે છે. 

હિતેન્દ્ર હેમતલાલ ઝાંખરીયા, ભાવનાબેન હિતેન્દ્ર કુમાર ઝાંખરીયા અને તેમના પુત્ર શ્રેયાંશએ ઓછી આવકના દાખલા રજુ કરી આયુષ્માન ભારત કાર્ડ મેળવેલું છે એવું ધ્યાન પર આવ્યું છે. હિતેન્દ્ર ઝાંખરીયાના પત્ની ભાવનાબેને આ આયુષ્માન કાર્ડનો ઉપયોગ કરી તા.22/3/2022 ના રોજ એમઆરઆઈ કઢાવેલ છે. તેની સ્લીપ પણ રજુઆત સાથે સામેલ કરાઈ છે. સરકારની આ યોજના જરૂરિયાત મંદ ગરીબ, મધ્યમવર્ગના વ્યક્તિઓ માટે છે. ગરીબ લોકો સારવારનો ખર્ચ ન ઉપાડી શકતા હોય તેઓ મા કાર્ડ કે આયુષ્માન ભારત કાર્ડ યોજનાનો લાભ લઈ શકે છે. 

પરંતુ જ્યારે વર્ગ - 2 ના ગેજેટેડ અધિકારી હિતેન્દ્ર ઝાંખરીયા દ્વારા ખોટા આધાર પુરાવા ઉભા કરીને કાર્ડ મેળવવામાં આવ્યું છે, તો તેમની સામે અને તેમના પરિવારમાં જેમણે પણ ખોટી રીતે કે ખોટા આધાર પુરાવા ઉભા કરીને કાર્ડ મેળવેલ છે તેમની સામે ફોજદારી રાહે પગલા લેવા. જોકે નર્સિંગ સુપ્રીટેન્ડનટ હિતેન્દ્ર ઝાંખરિયાએ કહ્યું હતું કે, કોરીના સમયે કોરોના વિરિયર્સને પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડ(આયુષમાન ભારત કાર્ડ) કાઢી આપવામાં આવ્યું હતું. 

મેં કોઈ જ પુરાવાઓ ખોટા રજૂ કર્યા નથી. પાન કાર્ડ અને નર્સિંગનું આઈકાર્ડ આપ્યું હતું. આવકનો દાખલો પણ અમારી પાસે માંગ્યો નથી. અરજદારે જે અરજી કરી છે તેમ 18 લાખ પગાર લખ્યો છે જે ખોટી વાત છે અને તેનો અડધો પગાર મારો થાય છે. મારા પત્નીની સારવાર કરી પણ તે સિવિલ હોસ્પિટલમાં જ કરી છે. આ આક્ષેપોને હિતેન્દ્ર ઝાંખરિયાએ નકાર્યા હતા. અને કહ્યું હતું કે, અરજદારને સિવિલ હોસ્પિટલમાંથી કોન્ટ્રાક્ટરે છૂટો કરી દીધો હોવાથી અવાર નવાર અરજીઓ કરી હેરાન કરે છે. 

મહત્વનું છે કે, રાજકોટમાં ક્લાસ-2 અધિકારી અને સિવિલ હોસ્પિટલમાં ચીફ નર્સિંગ સુપરિન્ટેન્ડન્ટ હિતેન્દ્ર ઝાંખરિયા પર ખોટુ પુરાવા પરથી આયુષ્યમાન કાર્ડ કઢાવવાનો આરોપ લાગ્યો હતો... ત્યારે હવે આ મામલે તેમણે ખુલાસો કરતા કહ્યું કે, કોરોના વોરિયર્સના સન્માન તરીકે સરકારે કાર્ડ કાઢી આપ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news