વરસાદમાં શાળા-કોલેજને ચાલુ-બંધ રાખવા અંગે શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય

School In Rain : વરસાદી વાતાવરણની સ્થિતિમાં શિક્ષણ કાર્ય ચાલુ/બંધ રાખવા બાબતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે કરેલ પરામર્ષ બાદ નિર્ણય લેવામાં આવ્યો 

વરસાદમાં શાળા-કોલેજને ચાલુ-બંધ રાખવા અંગે શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર :વરસાદી વાતાવરણમાં રાજ્યની શાળા-કોલેજમાં શિક્ષણ કાર્ય ચાલુ કે બંધ રાખવા સંદર્ભે રાજ્ય સરકારે વિદ્યાર્થીઓના હિત માટે મોટો નિર્ણય લીધો છે. શિક્ષણ મંત્રીએ જણાવ્યુ કે, સ્થાનિક સ્થિતિ અનુરૂપ શૈક્ષણિક કાર્ય બંધ કે ચાલુ રાખવા અંગે શહેર-જિલ્લાના સક્ષમ સત્તાધિકારી નિર્ણય લઈ શકશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે કરેલ પરામર્શ બાદ આ નિર્ણય લેવાયો છે. 

રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું છે કે, રાજ્યમાં વરસાદી વાતાવરણને કારણે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. શાળા, કોલેજ કે અન્ય શૈક્ષણિક સંસ્થામાં અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખી નિર્ણય લેવાયો છે કે, સ્થાનિક વરસાદી સ્થિતિ અનુરૂપ શૈક્ષણિક કાર્ય બંધ કે ચાલુ રાખવા અંગે શહેર-જિલ્લાના સક્ષમ સત્તાધિકારી એટલે કે સ્થાનિક વહીવટી તંત્ર યોગ્ય નિર્ણય લઈ શકશે.

તેમણે ઉમેર્યું કે, વરસાદી વાતાવરણની સ્થિતિમાં શિક્ષણ કાર્ય ચાલુ/બંધ રાખવા બાબતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે કરેલ પરામર્ષ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

વધુમાં કહ્યું કે, વરસાદી વાતાવરણમાં સ્થાનિક સ્થિતિ અનુરૂપ સરકારી/ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓ/કોલેજો અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં યથાસ્થિતિ જિલ્લા/શહેર સ્તરે કલેકટરશ્રી, મ્યુનિ.કમિશ્નર, જિલ્લા વિકાસ અધિકારીઓ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, જિલ્લા શિક્ષણાધિકારી, યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અને સબંધિત જિલ્લા/શહેરના સ્થાનિક વહીવટીતંત્રના પરામર્ષમાં કોઈ ચોક્કસ વિસ્તાર અથવા જિલ્લા/શહેરના તમામ વિસ્તાર માટે સબંધીતો સાથે પરામર્શ કરી શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણ કાર્ય ચાલુ/બંધ રાખવા/પૂન: શરૂ કરવા અંગે જરૂરી નિર્ણય લઈ શકશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news