મહિલા PSI ને દિકરાએ કહ્યું, મારા માટે નોકરી છોડી દો, અંતિમ ક્રિયા માટે બંન્ને પરિવારો વચ્ચે માથાકુટ

મહિલા PSI ને દિકરાએ કહ્યું, મારા માટે નોકરી છોડી દો, અંતિમ ક્રિયા માટે બંન્ને પરિવારો વચ્ચે માથાકુટ

* સુરતમાં મહિલા PSI આત્મહત્યા કેસમાં ધીરે ધીરે નવા પાસા ખુલ્લી રહ્યા છે
* પતિ પત્ની વચ્ચે રજાઓના મુદ્દે વારંવાર માથાકુટ થતી રહેતી હતી
* પુત્રના ઉછેર માટે બંન્ને એક બીજા પર નોકરી છોડવા માટે કરતા દબાણ

સુરત: શહેરના ઉધનાનાં મહિલા PSI અમિતા જોશીએ પોતાની સર્વિસ રિવોલ્વરથી શનિવારે પેટના ભાગે ગોળી મારીને આપઘાત કરી લીધો હતો. આપઘાત અંગે હજી સુધી કોઇ ચોક્કસ કારણ મળી શક્યું નથી. જો કે અમિતા પહેલા પતિ બાદ અંતિમ વીડિયો કોલ દાદા દાદી સાથે વતનમાં રહેતા દિકરાને કર્યો હતો. જેમાં દિકરાએ કહ્યું કે, મને તારી ખુબ જ યાદ આવી રહી છે. તમે મારા માટે નોકરી છોડી દો. આ વાત અમિતાને ખુબ જ લાગી આવી હોવાનું પોલીસને લાગી રહ્યું છે. 

કોન્સ્ટેબલમાંથી બન્યા હતા પીએસઆઇ
અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રાથમિક તપાસમાં અમિતાના પતિ દ્વારા તેને નોકરી છોડી દેવા માટે વારંવાર દબાણ કરવામાં આવી રહ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. અમિતા જોશી અને તેના પતિ વૈભવ પહેલા ભાવનગરમાં કોન્સ્ટેબલ હતા ત્યારે જ બંન્નેની સગાઇ હતી. જો કે ત્યાર બાદ અમિતા જોશીએ પીએસઆઇની પરીક્ષા આપી હતી. જેમાં તે સફળ રહ્યા હતા. 5 ડિસેમ્બર 2014ના રોજ તેમના લગ્ન થયા હતા. અમિતા જોશીની બદલી બાદ વૈભવ પણ બદલી કરાવીને સુરત ગયો હતો. 

પુત્ર સાથે અંતિમ વીડિયો કોલ અને પુત્રએ કહ્યું મારા માટે નોકરી છોડી દો
2016માં બંન્નેના સુખી સંસારના ફળ સ્વરૂપ દીકરા જૈનમનો જન્મ થયો હતો. હાલ જૈનમ સાડા ચાર વર્ષનો છે. બંન્ને નોકરી કરતા હોવાના કારણે જૈનમ પર ધ્યાન આપી શકતા નહોતા. જેના કારણે જૈનમ વતનમાં દાદા દાદી સાથે રહેતો હતો. તે અવાર નવાર સુરત આવતો રહેતો હતો. જો કે બાળકની સારી સંભાળ માટે પતિ પત્ની બંન્ને એકબીજા પર નોકરી છોડવા માટે દબાણ કરતા રહેતા હતા. તે મુદ્દે બંન્ને વચ્ચે અનેકવાર તણખા પણ ઝરતા રહેતા હતા. એક અઠવાડીયા પહેલા પીએસઆઇ અમિતા જોશીના સાસુ હર્ષાબેન અને પુત્ર જૈનમ વૈભવના ઘરે હતા. 28 નવેમ્બરે તેઓ ગયા હતા. 

પતિ પત્નીને સાથે રજા નહી મળતા સંબંધોમાં ખટાશ હતી
હાલમાં વતનમાં તેમના સંબંધીને ત્યાં લગ્ન હોવાથી વૈભવ વતન ગયા હતા. અમિતા જોશીએ રજા મળી ન હોવાથી તેઓ જઇ શક્યા નહોતા. શનિવારે તેમની લગ્નની વર્ષગાંઠ હતી. ત્યારે પણ વૈભવ તેમની સાથે ન હતા. શનિવાર બપોર પહેલા વૈભવ સુરત આવવાના હતા. જો કે તેઓ તેમની મોટી બહેનના ઘરે ગારીયાધાર જવા માટે નિકળ્યાં હતા. આ મુદ્દે પણ ફોન પર બંન્ને વચ્ચે ઝગડો થયો હતો. 

અંતિમ સંસ્કાર મુદ્દે પણ બંન્ને પરિવાર વચ્ચે માથાકુટ
મહિલા પીએસઆઇ અમિતા જોશીએ આપઘાત કરી લેતા પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ સાસરીયા પક્ષે સોંપવામાં આવ્યો હતો. ત્યાર બાદ ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી. જો કે ત્યાર બાદ અમિતાના પિતા સહિતનાં પરિવારજનોએ અમિતાના મૃતદેહને લઇને વતન અમરેલી જિલ્લાના ધારી લઇને જતા  જતા રહ્યા હતા. અંતિમ સંસ્કાર સુરતમાં ન કરાયા હતા. આજે ધારીમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news