અમદાવાદીઓ માટે ખુશખબર! હવે આગામી 20 વર્ષ પીવાના પાણીની તકલીફ નહીં પડે, કારણ છે કંઈક ખાસ

Ahmedabad Water Plant: અમદાવાદમાં વધતી વસ્તી અને નવા વિસ્તારોમાં જોડાણની સાથે પાણીની તંગી ઉભી ના થાય તે માટે એક મહત્વના પ્રોજેક્ટ પર કામ કરવામાં આવશે. જેથી કરીને શહેરીજનોએ પાણી કાપની મુશ્કેલીમાં મૂકાવું પડે નહીં.
 

અમદાવાદીઓ માટે ખુશખબર! હવે આગામી 20 વર્ષ પીવાના પાણીની તકલીફ નહીં પડે, કારણ છે કંઈક ખાસ

અર્પણ કાયદાવાલા/અમદાવાદ: મેગાસીટી અમદાવાદની સતત વધી રહેલી હદ અને એનાથી પણ ઝડપથી વધતી જતી વસ્તીની પાણીની જરૂરીયાતને જોતા આગામી 20 વર્ષ સુધી પીવાના પાણીની તકલીફ ન પડે તે માટે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના વિસ્તરણની સાથે સાથે ત્રણેય પ્લાન્ટને એકબીજા સાથે જોડવાની અભૂતપૂર્વ કામગીરી ટૂંક સમયમાં પાર પાડવામાં આવશે. 

શહેરના તમામ વિસ્તારોમાં શુદ્ધ પાણી પૂરું પાડવા માટે હાલ કોતરપુર, જાસપુર અને રાસ્કા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત છે. જેમાં જાસપુર પ્લાન્ટમાંથી સમગ્ર નવા પશ્ચિમ ઝોન ઉપરાંત પશ્ચિમ ઝોનના ચાંદખેડા તેમજ મોટેરા વોર્ડમાં પાણી પહોંચાડવામાં આવે છે. જ્યારે કોતરપુર વોટર વર્કસમાંથી ઉત્તર ઝોન, મધ્ય ઝોન, પશ્ચિમ ઝોન અને દક્ષિણ ઝોનના અમૂક વોર્ડ સુધી પાણી પહોંચાડવામાં આવે છે. રાસ્કા પ્લાન્ટમાંથી દક્ષિણ ઝોનમાં પાણી પૂરું પાડવામાં આવે છે. 

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલ કુલ 1750 એમએલડી (મિલીયન લીટર પર ડે) જેટલો જંગી પાણીનો જથ્થો સાતેય ઝોનમાં આપવામાં આવે છે. બીજી બાજુ શહેરમાં અંદરના વિસ્તારોમાં તેમજ નવા ભળેલા વિસ્તારો અને નવા રિંગ રોડ ફરતેના વિસ્તારોમાં વધતાં જતા વિકાસ તથા પાણીની ડિમાન્ડને પહોંચી વળવા માટે ત્રણેય વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના વિસ્તરણના આયોજન કરવામાં આવ્યુ છે. તે પૈકી જાસપુર ખાતે 200 એમએલડીનો નવો પ્લાન્ટ બની રહ્યો છે અને કોતરપુર ખાતે 400 એમએલડીનો નવો પ્લાન્ટ બનાવાશે. જ્યારે રાસ્કા ખાતે જમીન મળ્યે 100 એમએલડીનો પ્લાન્ટ બનાવાશે.

મ્યુનિસિપલ વોટર સપ્લાય કમિટી ચેરમેન જતિન પટેલને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, એએમસી પાસે સમગ્ર શહેરને પાણી પૂરું પાડવા માટે ત્રણ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ હોવા છતાં કોઇક વાર કોઇ પ્લાન્ટમાં સમસ્યા સર્જાય તો તે પ્લાન્ટમાંથી પાણી મેળવતાં વિસ્તારોમાં પાણીકાપ મૂકવો પડે છે. આ સમસ્યાના ઉકેલ માટે ત્રણેય પ્લાન્ટને મોટી લાઇનોથી એકબીજા સાથે જોડવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. તેમાં વર્ષો અગાઉ રાસ્કાથી મોટી લાઇન કોતરપુર સુધી લાવવામાં આવી હતી, જેને હાલ વાલ્વ મૂકી બંધ કરવામાં આવી છે. 

તેવી જ રીતે કોતરપુર અને જાસપુર વોટર પ્લાન્ટને એકબીજા સાથે જોડવા અને નવા પશ્ચિમ ઝોનની સમસ્યા હલ કરવા માટે 120 કરોડના ખર્ચે કોતરપુરથી ચાંદખેડા સુધી મોટી લાઇન નાખવાનો પ્રોજેક્ટ હાથ ધરાયો છે. નવા વિકસતા પશ્ચિમ અમદાવાદના વિસ્તારોને પાણી પહોંચાડવા કોતરપુર વોટર વર્ક્સ રિંગ રોડથી મોટેરા સુધી હાથી જેવી મહાકાય પાઈપલાઈન નાંખવામાં આવી રહી છે. આ માટેનુ લોખંડુ સ્ટ્રક્ચર એટલુ મોટુ છે કે આખેઆખી ટ્રેન તેમાંથી પસાર થઈ શકે. 400 મીટર લાંબી પાઈપલાઈન સાબરમતીના એક છેડેથી બીજા છેડે પિલરની ઉપર ક્રોસ કરવાનુ આખરી તબક્કાનુ કામ હાત ચાલી રહ્યુ છે. 

આ પાઈપલાઈન ઊંચાઈ (ટ્રસ સાથે) 16.4 ફૂટ જ્યારે પહોળાઈ 19.7 ફૂટ છે. એક સામાન્ય ટ્રેનની ઊંચાઈ 13 ફૂટ અને પહોળાઈ 10.3 ફૂટ હોય છે. આ પાઈપલાઈનથી પશ્ચિમના વિસ્તારોને પાણી પહોંચાડવા અન્ય રોડ પર નવી લાઈન નાખવાની જરૂર નહીં પડે. કોતરપુર વોટર વર્કસથી સાબરમતી પર બ્રિજ બનાવી તેના પરથી પાઈપલાઈન ક્રોસ કરી ભાટ પાછળ ગાંધીનગર મ્યુનિસિપિલ બ્રાન્ચ રોડ થઈ મુખ્ય રોડ સુધી આશરે એકથી વધુ કિલોમીટર લાંબી પાઈપલાઈન નાખવાની કામગીરી ઈન્દિરા બ્રિજ પાસે ચાલી રહી છે. જેના આખરી તબક્કામાં 3 વિશાળ પાઇપ લોખંડના બ્રીજ ઉપર ગોઠવી દેવાઇ છે. માત્ર પશ્ચિમ ઝોનને રોજ અંદાજે 4.80 કરોડ લિટર પાણીની જરૂર હોય છે. પાણીની પાઈપલાઈનનું હયાત નેટવર્ક આ જરૂરિયાત પૂરી કરી શકે તેમ ન હોવાથી નવી પાઈપલાઈન અત્યંત ઉપયોગી બનશે.

વિશાળ પાઈપલાઈન આ રીતે સમજો.

  • ટ્રેન પાઈપલાઈન
  • ઉંચાઈ 13 ફૂટ 16.4 ફૂટ
  • પહોળાઈ 10.3 ફૂટ 19.7 ફૂટ

પાઈપલાઈન માટે 400 મીટરનો બ્રિજ બનાવાયો
સાબરમતી નદી ઉપરથી પસાર થતી પાઈપલાઈન માટે પિલર ઊભા કરવામાં આવ્યા છે. તેના ઉપર ટ્રસ ઈન્સ્ટોલેશનની કામગીરી પણ શરૂ થઈ ગઈ છે. ટ્રસની ઊંચાઈ 5 મીટર જ્યારે પહોળાઈ 6 મીટર છે. તેમાં લગભગ આટલી પહોળી પાઈપ મુકાશે. 400 મીટર લંબાઈ ધરાવતો આ બ્રિજ હશે. બ્રિજના કુલ 10 ટ્રસ સ્પાન હશે. એક સ્પાનની લંબાઈ 40 મીટર રહેશે. બ્રિજની ઉંચાઈ પિયર કેપથી આશરે 13.55 મીટર છે. સરદાર પટેલ રિંગ રોડ સમાંતર ભાટ સર્કલ થઈ તપોવન સર્કલ સુધી હયાત સર્વિસ રોડમાં ડામર રોડ તોડી તથા ભાટ સર્કલ પર સ્ટેટ હાઈવે પુશિંગ મેથડથી ક્રસ કરીને આશરે 2.7 કિમી 1600 મીમી વ્યાસની પાઈપલાઈન નાંખી દેવાઇ છે. 

તપોવન સર્કલથી વિસત સર્કલ તરફ જતા પ્રમુખ સ્વામી મહારાજ રોડ (સૃષ્ટિ આર્કેડ) સુધી સર્વિસ રોડમાં આશરે 1.3 કિમી 1600 મીમી વ્યાસની લાઈન નાખી હયાત 1300 મીમી વ્યાસની લાઈન સાથે ટૂંક સમયમાં જોડાણ કરવામાં આવશે, જે બાદ કોતરપુર અને રાસ્કા વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટ એકબીજા સાથે કઇનેક્ટ થઇ જતા ભવિષ્યમાં પાણીકાપ મૂકવાની જરૂરીયાત નહી રહે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news