રંગ બદલતો ઘોડો : વડોદરામાં વર્ષોથી ઉભેલો કાળો ઘોડો કાળની થપાટ ઝીલીને લીલો થઈ ગયો

Vadodara News : વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડની જન્મ જયંતિની ઉજવણી... શહેરના ઓળખ સમાન કાલાઘોડા સર્કલ પર સયાજીરાવ ગાયકવાડની પ્રતિમાનો રંગ બદલાયો

રંગ બદલતો ઘોડો : વડોદરામાં વર્ષોથી ઉભેલો કાળો ઘોડો કાળની થપાટ ઝીલીને લીલો થઈ ગયો

Vadodara News રવિ અગ્રવાલ/વડોદરા : વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાની આજે જન્મજયંતી છે, જેની વડોદરાવાસીઓ ઉજવણી કરી રહ્યા છે. પણ વડોદરા કોર્પોરેશન તંત્ર શહેરના ઓળખ સમાન કાલાઘોડા પર સવાર મહારાજા સયાજીરાવ ગાયકવાડની પ્રતિમાની જાળવણી કરવામાં ઊનું ઉતર્યું છે, કેવી થઈ છે સયાજીરાવ ગાયકવાડની પ્રતિમાની દુર્દશા જુવો અમારા આ રિપોર્ટમાં..

વડોદરા શહેરને શિક્ષણ, ડ્રેનેજ અને પાણીની સિસ્ટમ, હેરિટેજ ઇમારતોની દેન મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ આપી છે, ત્યારે મહારાજા સયાજીરાવ ગાયકવાડની ભેટને પણ વડોદરા કોર્પોરેશનનું નઘરોળ તંત્ર નથી સાચવી શક્યું. આજે મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાની જન્મજયંતી છે, ત્યારે કોર્પોરેશનના શાસકો અને અધિકારીઓએ શહેરના મધ્યમાં આવેલ કાલાઘોડા સર્કલ ખાતે ઘોડા પર સવાર સયાજીરાવ ગાયકવાડની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી તેમને શ્રદ્ધાંજલિ પાઠવી. કાલાઘોડા પર સવાર સયાજીરાવ ગાયકવાડની પ્રતિમાનો કલર કાળાથી લીલો થઈ ગયો છે, છેલ્લા દોઢ વર્ષથી પ્રતિમાની દુર્દશા છે, છતાં કોર્પોરેશન તંત્રની આંખો નથી ખુલી રહી. ત્યારે વડોદરાવાસીઓ કોર્પોરેશન તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી રહ્યું છે, તેમજ સયાજીરાવ ગાયકવાડનું અપમાન થઈ રહ્યું હોવાની વાત કરે છે. પાલિકાના વિપક્ષ નેતાએ પણ કોર્પોરેશન તંત્ર સામે સવાલ ઉઠાવ્યા છે. તો મહારાજા સમરજીતસિંહ ગાયકવાડએ પણ કાલાઘોડા પર સવાર સયાજીરાવ ગાયકવાડની પ્રતિમાની યોગ્ય જાળવણી ન થઈ રહી હોવાની વાત કરી.

વડોદરાના નવનિયુક્ત મેયર, સાંસદ, ભાજપ શહેર પ્રમુખ અને અધિકારીઓ, કોર્પોરેટરો સૌ કોઈએ સયાજીરાવ ગાયકવાડની પ્રતિમાને આજે પુષ્પાંજલી અર્પણ કરી છતાં તેમને પ્રતિમાની દુર્દશા જોઇને દુઃખ ન થયું જે શરમજનક બાબત છે. મહત્વની વાત છે કે કેન્દ્ર સરકારની એજન્સી મારફતે 29 લાખના ખર્ચે સયાજીરાવ ગાયકવાડ સહિત ત્રણ પ્રતિમાઓને ફરી રિસ્ટોરેશન કરવાની કામગીરી કરાવવામાં આવશે તેવી વાત મેયર અને સાંસદ કરી રહ્યા છે. જે માટે કમિશનરે સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત ચઢાવવા દરખાસ્ત પણ મોકલી આપી છે. થોડાક સમયમાં ત્રણેય પ્રતિમાઓના રિસ્ટોરેશન કામગીરી શરૂ થઈ જશે.

મહત્વની વાત છે કે મહારાજા સયાજીરાવ ગાયકવાડે વડોદરાને ખૂબ મોટી ભેટ આપી છે પણ આજે કોર્પોરેશન તંત્ર આજ મહારાજાની પ્રતિમા સાચવવામાં પણ નિષ્ફળ નીવડ્યું છે, ત્યારે શું કાલાઘોડા સર્કલ પર ઘોડા પર સવાર મહારાજાની પ્રતિમા ફરીથી તેના મૂળ સ્વરૂપમાં આવશે કે પછી લોકોને હવે નામ બદલીને લીલો ઘોડો કરવાની ફરજ પડશે તે આગામી સમયમાં ખબર પડી જશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news