ડમીકાંડ મામલે યુવરાજસિંહને પોલીસનું સમન્સ, નિવેદન નોંધાવવા જવું પડશે ભાવનગર

રાજ્યમાં ચકચારી બનેલા સ્પર્ધાત્મક પરીક્ષાના ડમીકાંડ મામલે મોટા અપડેટ સામે આવ્યા છે. આ સમગ્ર મામલે ભાવનગર પોલીસે યુવરાજસિંહ જાડેજાને સમન્સ પાઠવ્યું છે. 

ડમીકાંડ મામલે યુવરાજસિંહને પોલીસનું સમન્સ, નિવેદન નોંધાવવા જવું પડશે ભાવનગર

ભાવનગરઃ સ્પર્ધાત્મક પરીક્ષા માટેના ભાવનગરના ડમી કાંડમાં તપાસનો રેલો સતત આગળ વધી રહ્યો છે. અત્યાર સુધી 6 આરોપીઓની ધરપકડ કરાઈ છે. જો કે મોટાભાગનાં આરોપીઓ હજુ પણ પોલીસની પહોંચની બહાર છે. આ વચ્ચે મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. પોલીસે ડમીકાંડ મામલે યુવરાજ સિંહને સમન્સ પાઠવ્યું છે. યુવરાજ સિંહે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કેટલાક વ્યક્તિઓના નામ લીધા હતા અને નાણાકીય વ્યવહાર અંગે ખુલાસા કરવા માટે પોલીસે સમન્સ પાઠવ્યું છે.

અત્યાર સુધી છ આરોપી ઝડપાયા
ભાવનગરના ડમી ઉમેદવાર કાંડમાં પકડાયેલા આરોપીઓનો આંકડો છ સુધી પહોંચ્યો છે. જો કે ફરિયાદ કુલ 32 આરોપી સામે નોંધાઈ છે, જેને જોતાં પોલીસે હજુ ઘણા આરોપીઓ સુધી પહોંચવાનું બાકી છે.  

SITએ શરૂ કરી તપાસ
ભાવનગર પોલીસે સમગ્ર ડમી કાંડની તપાસ માટે બનાવેલી SIT અલગ અલગ દિશાઓમાં કામ કરી રહી છે. અગાઉ પકડાયેલા ચાર આરોપીઓ બાદ વધુ બે આરોપીઓને રિમાન્ડ પર મોકલાયા છે. કરાઈમાં PSIની તાલીમ લેતા સંજય પંડ્યા અને અક્ષર બારૈયાના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. 

ડમી કાંડમાં તપાસનો રેલો હવે ભાવનગરથી અમરેલી સુધી પહોંચ્યો છે. SITએ તપાસ માટે અમરેલીમાં ધામા નાંખ્યા છે. ડમી વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી તે શાળાઓમાં SIT તપાસ કરી રહી છે. ધારીના દુધાળા ગામની પ્રગતિ શાળામાં પોલીસે પૂછપરછ કરી હતી. જો કે આ તપાસમાંથી સ્થાનિક પોલીસને બાકાત રાખવામાં આવી છે. 

ડમી ઉમેદવાર કાંડમાં મિલન ઘુઘાની પણ અટકાયત કરવામાં આવી છે.  મિલને સરકારી ભરતીમાં 7 વાર પરીક્ષા આપી હતી. ધોરણ 12માં ફિઝિક્સનું પેપર તેણે ડમી ઉમેદવાર તરીકે આપ્યું હતું. મિલને દેવર્ષિ નામના વિદ્યાર્થી વતી 12માં ફિઝિક્સનું પેપર ડમી ઉમેદવાર તરીકે આપી હતી, દેવર્ષિ અત્યારે ફિલિપાઇન્સમાં મેડિકલનો અભ્યાસ કરે છે. તેની પૂછપરછ દરમ્યાન અન્ય લોકોના નામ સામે આવે તેવી પૂરેપૂરી શક્યતા છે. 

સૌથી પહેલાં પકડાયેલા ચાર આરોપીઓ શરદ પનોત, પ્રકાશ દવે, બળદેવ રાઠોડ અને પ્રદીપ બારૈયાની ડમી કાંડમાં મોટી ભૂમિકા છે. આ ટોળકી ડમી ઉમેદવાર તરીકે બેસાડવાની શરૂઆત ધોરણ 12ની પરીક્ષાથી કરતી હતી. શરદ અને પીકે રમણીક જાની પાસેથી ડમી ઉમેદવારો મેળવતા હતા. શરદ અને પીકે ડમી ઉમેદવાર માટે અસલી ઉમેદવાર પાસેથી 10 થી 15 લાખ રૂપિયા લેતા હતા. જેમાંથી ડમી ઉમેદવારને પરીક્ષા દીઠ 25 હજાર રૂપિયા ચૂકવતા હતા. આરોપી બળદેવ ઉમેદવાર માટે નકલી કોલ લેટર અને ડોક્યુમેન્ટ ઉભા કરવાના 10 હજાર રૂપિયા લેતો હતો.

તો આ તરફ ડમી કાંડનો પર્દાફાશ કરનાર યુવરાજસિંહ જાડેજાએ SITની રચનાના નિર્ણય અને કામગીરીને વખાણી છે. સાથે જ તેમણે દાવો કર્યો છે કે હજુ તેમની પાસે ડમી કાંડને લગતી સ્ફોટક માહિતી છે. જેને તેઓ SITને આપવા તૈયાર છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news