બિહારમાં રાજકીય ઉથલપાથલ વધી, નીતિશે RJD ક્વોટાના ત્રણ મંત્રીઓના વિભાગો બદલ્યા

બિહારમાં રાજકીય અટકળો જોરશોરથી ચાલી રહી છે. આ વચ્ચે મુખ્યમંત્રી નીતિશ કુમારે આરજેડીના ત્રણ મંત્રીઓના વિભાગ બદલી નાખ્યા છે. 
 

બિહારમાં રાજકીય ઉથલપાથલ વધી, નીતિશે RJD ક્વોટાના ત્રણ મંત્રીઓના વિભાગો બદલ્યા

પટનાઃ બિહારમાં રાજકીય ગરમાવો તીવ્ર છે. મુખ્યમંત્રી નીતિશ કુમારે આરજેડી ક્વોટામાંથી ત્રણ મંત્રીઓના પોર્ટફોલિયોમાં ફેરફાર કર્યા છે. જે મંત્રીઓના પોર્ટફોલિયોમાં ફેરફાર કરવામાં આવ્યા છે તેમાં શિક્ષણ મંત્રી ચંદ્રશેખર, જમીન મહેસૂલ મંત્રી આલોક મહેતા અને જાહેર આરોગ્ય એન્જિનિયરિંગ મંત્રી લલિત યાદવનો સમાવેશ થાય છે. નીતીશ કુમારે RJD ક્વોટામાંથી આ ત્રણ મંત્રીઓના પોર્ટફોલિયોમાં અચાનક ફેરફાર કર્યો છે. કેબિનેટ સચિવાલય દ્વારા આ સંદર્ભે એક સૂચના પણ બહાર પાડવામાં આવી છે.

બિહારમાં ત્રણ મંત્રીઓના વિભાગ બદલાયા
બિહાર સરકારના કેબિનેટ સચિવાલય વિભાગના નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે મંત્રી આલોક કુમાર મહેતા, મંત્રી ચંદ્રશેખર અને મંત્રી લલિત કુમાર યાદવને પહેલાથી જ ફાળવવામાં આવેલા પોર્ટફોલિયોમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર સાથે પરામર્શ કરીને સુધારો કરવામાં આવ્યો છે.

આલોક કુમાર મહેતાને શિક્ષણ વિભાગનું કામ સોંપવામાં આવ્યું છે, ચંદ્રશેખરને શેરડી ઉદ્યોગ વિભાગનું કામ સોંપવામાં આવ્યું છે અને લલિત કુમાર યાદવને જાહેર આરોગ્ય એન્જિનિયરિંગ વિભાગની સાથે મહેસૂલ અને જમીન સુધારણા વિભાગનું કામ આગામી આદેશ સુધી ફાળવવામાં આવ્યું છે.

બિહારમાં ચાલી રહી છે રાજકીય અટકળો
બિહારમાં સત્તા પરિવર્તનને લઈને જોરશોરથી અટકળો ચાલી રહી છે. રાજકીય વર્તુળોમાં તે વાત છે કે નીતિશ કુમાર એનડીએ સાથે જઈ શકે છે. પરંતુ તેની પુષ્ટિ કોઈ તરફથી કરવામાં આવી નથી.

શુક્રવારે નીતિશ કુમારને મળવા તેમના આવાસ પર લાલૂ યાદવ પોતાના નાયબ મુખ્યમંત્રી પુત્ર તેજસ્વી યાદવ સાથે ગયા હતા. બાદમાં મીડિયાને તેજસ્વી યાદવે વિશ્વાસ અપાવ્યો કે બધુ બરાબર છે. પરંતુ એક દિવસ બાદ આરજેડીના ત્રણ મંત્રીઓના વિભાગ બદલવામાં આવ્યા છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news