Corona Update: સંક્રમણના કેસમાં સામાન્ય ઘટાડો પણ કોરોનાથી મૃત્યુમાં વધારો, આ બે રાજ્યોએ વધારી ચિંતા

દેશમાં કોરોના (Coronavirus) ના નવા કેસમાં ભલે ઘટાડો થઈ રહ્યો હોય પરંતુ દૈનિક મૃત્યુઆંક વધી રહ્યો છે. જે ચિંતાનો વિષય છે.

Corona Update: સંક્રમણના કેસમાં સામાન્ય ઘટાડો પણ કોરોનાથી મૃત્યુમાં વધારો, આ બે રાજ્યોએ વધારી ચિંતા

નવી દિલ્હી: દેશમાં કોરોના (Coronavirus) ના નવા કેસમાં ભલે ઘટાડો થઈ રહ્યો હોય પરંતુ દૈનિક મૃત્યુઆંક વધી રહ્યો છે. જે ચિંતાનો વિષય છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 42 હજારથી વધુ કેસ નોંધાયા છે જ્યારે દૈનિક મોતનો આંકડો 1200 ઉપર પહોંચી ગયો છે. ગઈ કાલે જાહેર થયેલા આંકડા મુજબ એક દિવસમાં કોરોનાના નવા 43,393 કેસ નોંધાયા હતા જ્યારે 911 દર્દીઓએ જીવ ગુમાવ્યા હતા. 

એક દિવસમાં 42 હજારથી વધુ નવા કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 42,766 કેસ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો હવે 3,07,95,716 થયો છે. એક દિવસમાં 45,254 દર્દીઓ રિકવર થયા છે. કોરોનાને અત્યાર સુધીમાં 2,99,33,538  દર્દીઓએ માત આપવામાં સફળતા મેળવી છે. હાલ દેશમાં 4,55,033 દર્દીઓ સારવાર હેઠળ છે. 

દૈનિક મોતનો આંકડો વધ્યો
સરકારી આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના લીધે 1206 દર્દીઓના જીવ ગયા છે. આ સાથે કુલ મૃત્યુઆંક હવે 4,07,145 થયો છે. 

Total cases: 3,07,95,716
Total recoveries: 2,99,33,538
Active cases: 4,55,033
Death toll: 4,07,145 pic.twitter.com/DbPlStb4It

— ANI (@ANI) July 10, 2021

કોરોનાનું જોખમ ગયું નથી
આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે શુક્રવારે કહ્યું કે દેશ હજુ પણ મહામારીની બીજી લહેર સામે ઝઝૂમી રહ્યો છે અને આપણે આત્મનિરીક્ષણ કરવું પડશે કે શું આપણે એવી ભ્રામણ ધારણા બાંધીને તો નથી બેસી ગયા ને કે કોવિડ-19 ખતમ થઈ ગયો છે. આ બાજુ નીતિ આયોગના સભ્ય (આરોગ્ય) વી કે પોલે કહ્યું કે ટુરિસ્ટ પ્લેસની જે તસવીરો સામે આવી છે અને જે પ્રકારે લોકો નિયમો તોડી રહ્યા છે તે ગંભીર ચિંતાનો વિષય છે. આ પ્રકારની બેદરકારી વાયરસ ફેલાવવાના જોખમને વધારશે.

15 રાજ્યોમાં કોરોનાના 80 ટકા કેસ
લવ અગ્રવાલે કહ્યું કે ભારતમાં કોવિડના નવા કેસમાં 80 ટકા કેસ મહારાષ્ટ્ર, કેરળ, તમિલનાડુ, ઓડિશા, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, સહિત 15 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 90 જિલ્લામાંથી સામે આવ્યા છે. જે આ વિસ્તારોમાં ધ્યાન આપવાની જરૂરિયાત તરફ સંકેત આપે છે. 

આ સાથે તેમણે કહ્યું હતું કે ભારતમાં ગત અઠવાડિયે સામે આવેલા કોવિડ-19ના કેસમાંથી અડધા કરતા વધુ કેસ મહારાષ્ટ્ર (21 ટકા) અને કેરળ (32 ટકા)માંથી સામે આવ્યા છે. તેમણે કહ્યું કે સંક્રમણના પ્રસારને રોકવા માટે આપણે રાજ્યો સાથે મળીને રોકથામના ઉપાયો પર કામ કરી રહ્યા છીએ. 

તેમણે કહ્યું કે 17 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના 66 જિલ્લામાં કોવિડ-19ના સંક્રમણનો દર આઠ જુલાઈના રોજ પૂરા થયેલા અઠવાડિયામાં 10 ટકાથી વધુ હતો. તેમણે રશિયા અને બ્રિટન સહિત કેટલાક દેશોમાં સંક્રમણના કેસનો હાલમાં થયેલા વધારાનો ઉલ્લેખ કરતા લોકોને  ચેતવ્યા. તેમણે માસ્ક પહેરવાની અને એકબીજાથી અંતર જાળવવા જેવા કોવિડ-19 પ્રોટોકોલનું કડકાઈથી પાલન કરવાની જરૂરિયાત ગણાવી. 

બ્રિટનમાં યુરો 2020 ફૂટબોલ મેચો બાદ સરેરાશ દૈનિક કેસોની સંખ્યા એકદમ વધી ગઈ. બાંગ્લાદેશમાં કોરોના વાયરસની બીજી લહેરની સરખામણીમાં ત્રીજી લહેરમાં નવા કેસ વધુ આવ્યા જેના કારણે સરકારે દેશમાં લોકડાઉન લગાવવું પડ્યું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news