કેરળઃ પૂરપીડિતોની મદદ માટે આગળ આવ્યો દેશ, રેલવેએ મોકલ્યું 21 લાખ લીટર પીવાનું પાણી

કેરળઃ પૂરપીડિતોની મદદ માટે આગળ આવ્યો દેશ, રેલવેએ મોકલ્યું 21 લાખ લીટર પીવાનું પાણી

તિરુવનંતપુરમ/નવી દિલ્હીઃ કુદરતી આફતનો સામનો કરી રહેલા કેરળ રાજ્યની મદદ માટે દેશ જ નહીં પરંતુ સમગ્ર દુનિયામાંથી હાથ આગળ આવી રહ્યા છે. એક તરફ ટેક્નોલોજીની દિગ્ગજ
કંપની ગુગલ અને ફેસબુક રેસ્ક્યુ ઓપરેશનમાં કેરળ સરકાર અને બચાવ ટૂકડીઓની મદદ કરી રહ્યા છે. બીજી તરફ સંયુક્ત અરબ અમિરાત (UAE)એ પણ કેરળની મદદ માટે તૈયારી દર્શાવી
છે. પૂરપીડિતોની મદદ માટે યુએઈએ એક સમિતિની રચના કરી છે. ઉપરાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન રાશિદે શુક્રવારે ટ્વીટ કરીને લોકોને પૂર પીડિતોની મદદ માટે આગળ આવવા માટેની
અપીલ કરી છે. 

 

રેલવેએ પીવાનું પાણી મોકલ્યું 
ભારે વરસાદ અને પૂરને કારણે રાજ્યમાં પીવાના પાણી અને ઈંધણનું સંકટ ઘેરું બન્યું છે. આવી સ્થિતીમાં ભારતીય રેલવેએ પીવાના પાણીના સ્વરૂપમાં કેરળવાસીઓને મદદ મોકલી છે. રેલવેએ
કેરળ માટે 21.5 લાખ લીટર પાણી મોકલ્યું છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે, શનિવારે બપોરે 2.00 કલાકે લગભગ 7 લાખ લીટર પાણી પુણેથી અને 21.5 લાખ લીટર પાણી મધ્યપ્રદેશના રતલામ
જિલ્લાથી રવાના કરાયું છે. 

 

એસબીઆઈ પણ પૂરપીડિતોની વ્હારે આવી 
ભારતીય સ્ટેટ બેન્ક (એસબીઆઈ)એ સંકટગ્રસ્ત રાજ્યને બેઠું કરવા માટે રૂ.2 કરોડનું દાન આપ્યું છે. એસબીઆઈના એક અધિકારીએ આ માહિતી આપી છે. એસબીઆઈએ પોતાનાં તમામ
2,70,000 કર્મચારીઓને મુખ્યમંત્રી આપત્તિ ફંડ (સીએણડીઆરએફ)માં યોગદાન આપવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. આ ઉપરાંત બેન્કના કર્મચારીઓ રાજ્યનાં પૂર પ્રભાવિત વિસ્તારોમાં બેન્ક
શાખાઓ અને એટીએમને  ફરીથી કાર્યરત કરવાના પ્રયાસ પણ કરી રહ્યા છે. આ ઉપરાંત બન્કે લોન આપવી, ડુપ્લિકેટ પાસબુક, એટીએમ કાર્ડ, ચેક બૂક સેવાઓ અને ઈએમઆઈમાં મોડું થવાની
સ્થિતિમાં દંડમાં રાહત આપવાની પણ જાહેરાત કરી છે. 

 

મૃતકોનાં પરિજનોને રૂ.2-2 લાખનું વળતર 
રાજ્યનાં અનેક વિસ્તારોમાં પૂરના કારણે હાહાકાર મચેલો છે. અનેક દાયકા બાદ આવેલી આ કુદરતી આફતમાં અત્યાર સુધી 324 લોકોનાં મોત થયાં છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર
પ્રભાવિત વિસ્તારોનું આકાશ માર્ગે અવલોકન કર્યા બાદ તાત્કાલિક ધોરણે રૂ.500 કરોડની સહાય આપવાની જાહેરાત કરી છે. વડા પ્રધાન કાર્યાલયમાંથી જાહેર કરાયેલા નિવેદન મુજબ, પીએમ
મોદીએ તમામ મૃતકોનાં પરિજનને રૂ.2-2 લાખનું વળતર આપવાની અને ગંભીર રીતે ઘાયલ લોકોને રૂ.50-50 હજાર પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડ (પીએમએનઆરએફ)માંથી આપવાની
જાહેરાત કરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news