પાકિસ્તાન કરશે નોટબંધી! દેશ સંકટમાં, સરકારે નવી નોટ છાપવાની કરી જાહેરાત

પાકિસ્તાન નકલી નોટોની સમસ્યાથી બચવા માટે એડવાન્સ ફીચર્સ અને નવી ડિઝાઇનની નોટ જાહેર કરવા માટે તૈયાર છે. તેને ધીમે ધીમે જૂની નોટની સાથે રિપ્લેસ કરાશે.

પાકિસ્તાન કરશે નોટબંધી! દેશ સંકટમાં, સરકારે નવી નોટ છાપવાની કરી જાહેરાત

ઈસ્લામાબાદઃ ગંભીર આર્થિક સંકટમાં ફસાયેલું પાકિસ્તાન હવે નોટબંધીના માર્ગે છે. પાકિસ્તાન સરકાર એડવાન્સ્ડ ટેક્નોલોજીથી સજ્જ નવી ચલણી નોટો છાપવા જઈ રહી છે...સરકારનો ઈરાદો નકલી નોટોના ચલણને અટકાવવાનો અને જમાખોરીને રોકવાનો છે, જો કે બીજી તરફ શાસકોને પાંચ હજારની નોટ સામે કોઈ નાંધો નથી.

આર્થિક, રાજકીય અને આંતરિક સુરક્ષાના સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનને હવે નવો શોખ જાગ્યો છે. પાકિસ્તાન સરકારે વર્તમાન તમામ દરની નવી ચલણી નોટો છાપવાનો નિર્ણય લીધો છે.   પાકિસ્તાનની મધ્યસ્થ બેંકનો દાવો છે કે ચલણની અછત અને નકલી નોટોના જોખમને પહોંચી વળવા માટે આ નિર્ણય લેવાયો છે. 

સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાનના ગવર્નર જમીલ અહેમદનો દાવો છે કે નવી નોટો સુરક્ષાની એડવાન્સ ટેકનોલોજીથી સજ્જ હશે. નોટોમાં સ્પેશિયલ સિક્યોરિટી નંબર અને ડિઝાઈનનો ઉપયોગ કરવામાં આવશે. નકલી નોટોની ઓળખ માટે ફાઈન વિન્ડો સિક્યોરિટી સ્ટ્રિપનો ઉપયોગ કરાશે. આ ઉપરાંત મોટા દરન નોટોમાં ઇન્ટાગ્લિયો પ્રોસેસનો ઉપયોગ કરવામાં આવશે, જેના કારણે સ્કેનીંગ કે ફોટોકોપી દ્વારા નકલી નોટ છાપી શકાશે નહીં. તેમાં એન્ટી સ્કેન અને એન્ટી કોપી લાઈન પેટર્નનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. 

જૂની નોટોની જગ્યાએ ધીમે-ધીમે નવી નોટો ચલણમાં લાવવામાં આવશે. ચલણમાંથી ગંદી અને ફાટેલી નોટો પાછી ખેંચી લેવામાં આવશે. પાકિસ્તાનમાં હાલ 20, 50, 100, 500, 1000 અને 5000 રૂપિયાની નોટો ચલણમાં છે. હવે આ નોટો નવા રંગરૂપ સાથે ચલણમાં આવશે. 

પાકિસ્તાનની રિઝર્વ બેન્કના ગવર્નરનું કહેવું છે નવી નોટોને ચલણમાં લાવવા પાછળનો ઉદ્દેશ્ય પાકિસ્તાનની નાણાકીય વ્યવસ્થા અને નાગરિકોમાં વિશ્વાસ પેદા કરવાનો છે. જો કે પાકિસ્તાનનું આ પગલું ભારતની નકલ હોવાનું પણ જણાવાય છે.. 

જે રીતે ભારતમાં 10 રૂપિયાથી લઈને 2 હજારના દરની નવી ચલણી નોટો બહાર પાડવામાં આવી હતી, તેવી જ રીતે પાકિસ્તાનમાં પણ થોડા સમય પહેલાં પાંચ હજારની નોટ બહાર પાડવામાં આવી હતી, તેમાં સિક્યોરિટી ફીચર તરીકે વચ્ચે એક અલ્ટ્રાવાયોલેટ રંગનો થ્રેડ છે..

પાકિસ્તાન ક્રમશઃ નવી નોટો અર્થતંત્રમાં ઉમેરવા માગે છે. સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાનના ગવર્નર જમીલ અહેમદે આ માટે ભારતમાં લાગુ કરાયેલી નોટબંધી પર પણ ગર્ભિત કટાક્ષ કર્યો હતો. 

જો કે ગવર્નર પાંચ હજાર રૂપિયાની નોટના જોખમો પર બોલવાનું ભૂલી ગયા. એક તરફ પાકિસ્તાન આર્થિક રીતે કંગાળ થઈ ગયું છે, ત્યાં બીજી તરફ અહીં મોટા પાયા પર નકલી ચલણનો ઉપયોગ થઈ રહ્યો છે.  પાંચ હજારની નોટોને કારણે કાળા બજારિયાઓને પ્રોત્સાહન મળ્યું છે. સામાન્ય લોકો પાસે અનાજ અને રાંધણ ગેસ ખરીદવાના પૈસા નથી, પણ પાકિસ્તાનનો ઉચ્ચ વર્ગ નોટોની જમાખોરીમાં વ્યસ્ત છે..

પાકિસ્તાન પાસે સામાન્ય ચૂંટણી યોજવા માટે પણ ફંડ નથી, ત્યાં રૂપિયા છાપવાની વ્યવસ્થા કેવી રીતે કરશે, તે પણ એક મોટો સવાલ છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news