ઉપલેટામાં એવા અનોખા ગણપતીજી મહારાજ, જેમના મંદિરે જવાની જરૂર નથી પત્ર લખો અને સમસ્યા ઉકેલાઇ જશે

આંકડાના મુળમાંથી સ્વયંભુ પ્રકટ થયેલા અને સિંહ પર બિરાજમાન દેશના એકમાત્ર ગણપતિજી,અહીં દિવસ દરમિયાન આવેલા પત્રો પુજારી પોતે વાંચીને ગણપતિજીને સંભળાવે છે અને ગણપતિજી સમસ્યાનો ઉકેલ લાવે છે.

ઉપલેટામાં એવા અનોખા ગણપતીજી મહારાજ, જેમના મંદિરે જવાની જરૂર નથી પત્ર લખો અને સમસ્યા ઉકેલાઇ જશે

દિનેશ ચંદ્રાવાડીયા/ઉપલેટા : આજે ગણેશ ચોથ છે, આજે વિઘ્નહર્તા ગણપતિ મહારાજજીનું ધ્યાન ધરવાથી જ તમામ વિઘ્ન દૂર થાય છે તેવા એક વિઘ્નહર્તા દેવ ગણપતિ મહારાજનું મંદિર રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ઢાંક ગામમાં આવેલું છે. જ્યાં ગણપતિ મહારાજને પત્ર લખીને પોતાના દુઃખ જણાવો એટલે ગણપતિ મહારાજ ભક્તોના દુઃખ દૂર કરે છે. રાજકોટથી અંદાજિત 125 કિલોમીટર દૂર ઉપલેટા તાલુકામાં આવેલ ઢાંક ગામમાં એક અદભુત ગણેશજીનું મંદિર આવેલ છે. આ ગણેશજીનો મહિમા અપરંપાર છે. પ્રથમ તો ગણેશજીના આ મંદિરનો ઇતિહાસ જાણવા જેવો છે. ગણેશજીના મંદિરની ઉત્પત્તિ અંગે જોઈએ તો આ ગણેશ મંદિર અને ગણેશજી સ્વયંભૂ ઉત્પન્ન થયેલ છે. અહીં 5000 વર્ષ પહેલા પાંડવો તેના અજ્ઞાતવાસ દરમિયાન ગણેશજીની પૂજા પણ કરતા હતા. અંદાજિત 5000 વર્ષ જુના આ મંદિરમાં ગણેશજી સિંહની સવારી ઉપર છે. 

લોકવાયકા અને પુરાણો અનુસાર દરેક યુગમાં ગણેશજીનું વાહન અલગ અલગ છે. તે મુજબ સિંહના વાહન ઉપર બિરાજમાન ગણેશજી સમગ્ર ભારતમાં ક્યાંય જોવા મળતા નથી. જયારે મંદિરમાં બિરાજમાન અન્ય સફેદ આંકળાના ગણેશજી જોવા એ પણ એક લ્હાવો છે. સિદ્ધિવિનાયક દાદાને કોઈપણ ભક્તો માત્ર પત્ર લખે અને એ પત્ર પૂજારીજી ગણેશજી સામે વાંચે અને ભક્તોની મુશ્કેલી પત્ર દ્વારા જણાવે એટલે તરત જ ગણેશજી ભક્તોની તમામ મુશેક્લી દૂર કરે છે.

ઢાંકમાં આવેલ ગણેશ મંદિર એક ભારતનું ખુબજ વિશિષ્ઠ મંદિર છે, કારણ કે ભારતનું એક માત્ર મંદિર એવું છે જ્યાં આંકડામાંથી ઉત્પન્ન થયેલ ગણેશજીની સ્થાપના કરેલ હોય. એક લોકવાયકા મુજબ અહીં 200 વર્ષે જૂનો આંકડો આવેલો છે તેના મૂળમાં ગણપતિજી સ્વયં ઉત્પન્નત થાય છે અને તેને અહીં મંદિરમાં સ્થાન આપવામાં આવે છે. ભારત ભરમાં આવેલ તમામ ગણેશજીના મંદિરમાં આ મંદિર ખરીરીતે સિદ્ધિવિનાયનું મંદિર ગણાય છે. જેના દર્શન માત્રથી જ તમામ દુઃખ દૂર થાય છે.

ભારતભરમાં વિઘ્નહર્તા દેવ ગણેશજીના અનેક મંદિર આવેલ છે. જે ઢાંકનું ગણેશજીનું મંદિર અનોખું છે. અહીં ભકતો પોતાની તમામ મુશ્કેલીઓ ગણેશજીને એક પત્ર લખીને મોકલી શકે છે. જેમાં એક માત્ર કવરમાં પોતાની મુશ્કેલી લખીને કવર ઉપર એટલું જ સરનામું લખે કે ગણેશ મંદિર - ઢાંક એટલે એ પત્ર સીધો ગણેશ મહારાજના ચરણોમાં અને પૂજારી આરતી બાદ ભકતોના પત્રો ગણેશ મહારાજને સંભળાવે. જે કોઈ ભક્તોને પોતાની ખુશીના સમાચાર આપ્યા હોય, કોઈએ પોતાની મુશ્કેલી હલ કરવા ગણેશજીને વિનંતી કરી હોય. આ તમામ પત્રો ગણેશ મહારાજ સાંભળે, ભક્તોની મુશ્કેલી દૂર કરે, આવા ગણેશજીના દર્શન કરવા દૂર દૂરથી ભક્તો આવે છે. ભક્તોએ ગણેશજી મહારાજને જે કાંઈ મનોકાના કરી હોય તે પુરી કરે જ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news