PM મોદીની જાહેરાત બાદ બાળકો વેક્સિન લેવા તૈયાર છે? જાણો અમદાવાદના કિશોરોના મુખે તેમની વાત

પીએમ મોદીની જાહેરાત પ્રમાણે દેશમાં 3 જાન્યુઆરીથી 15થી 18ની વયના તમામને કોરોના વેકસીનના ડોઝ આપવામાં આવશે. હવે વેકસીનના ડોઝ લેવા અંગે ઝી 24 કલાક એ 15 થી 18 વયના કિશોરો સાથે વાતચીત કરી છે. જેમાં રસપ્રદ માહિતી સામે આવી રહી છે.

PM મોદીની જાહેરાત બાદ બાળકો વેક્સિન લેવા તૈયાર છે? જાણો અમદાવાદના કિશોરોના મુખે તેમની વાત

અતુલ તિવારી/અમદાવાદ: એક તરફ રાજ્યમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. જેના કારણે દેશના ઘણા રાજ્યોમાં રાત્રિ કર્ફ્યૂના સમયમાં ઘટાડો કરાયા છે. બીજી બાજુ પીએમ મોદીની બાળકો માટે કોરોના વેક્સિનની જાહેરાત બાદ તંત્ર તૈયારીમાં લાગી ગયું છે. હવે સવાલ તે ઉભો થાય છે કે શું પીએમ મોદીની જાહેરાત બાદ બાળકો કોરોના વેક્સિન લેવા તૈયાર છે? શું વાલીઓ તેમના બાળકોને કોરોના વેક્સિન લેવા મંજૂરી આપશે? આ તમામ સવાલોના જવાબ આજે અમે તમને જણાવી રહ્યા છીએ.

પીએમ મોદીની જાહેરાત પ્રમાણે દેશમાં 3 જાન્યુઆરીથી 15થી 18ની વયના તમામને કોરોના વેકસીનના ડોઝ આપવામાં આવશે. હવે વેકસીનના ડોઝ લેવા અંગે ઝી 24 કલાક એ 15 થી 18 વયના કિશોરો સાથે વાતચીત કરી છે. જેમાં રસપ્રદ માહિતી સામે આવી રહી છે. ગુજરાત સહિત દેશના બાળકો કોરોના વેક્સિન લેવા માટે એકદમ સજ્જ છે. તેમનામાં કોઈ ડર દેખાઈ રહ્યો નથી. 

અમદાવાદમાં જ્યારે સ્કૂલમાં અભ્યાસકર્તા તમામ કિશોરો સાથે વાતચીત કરતા જાણવા મળ્યું હતું કે, અમે તો વેકસીન લેવા માટે તૈયાર છીએ. અમારા માતા-પિતાએ પણ વેકસીનના બંને ડોઝ લીધા છે. જેના કારણે 3 જાન્યુઆરીથી 15થી 18 વર્ષના કિશોરોને રસી આપવામાં આવશે ત્યારે અમે પ્રથમ દિવસે જ વેકસીનનો ડોઝ લઈને સુરક્ષિત થઈશું. હવે અમે સ્કૂલ, ટ્યુશન જઈએ છીએ, માસ્ક પહેરીએ છીએ પરંતુ વેકસીન લેવાથી અમને સુરક્ષા કવચ મળશે. વેકસીનનો અમને કોઈ ડર નથી, અમે ઇંતેજાર કરી રહ્યા હતા કે ક્યારે વેકસીન મળશે. કોરોનાના કેસો ઘટ્યા છે, પણ ઓમીક્રોનના કેસો વધી રહ્યા છે એટલે વેકસીન લેવી હિતાવહ છે. 

અમદાવાદ એરપોર્ટ પર ઘોર બેદરકારી
અમદાવાદ એરપોર્ટ પર ઓમિક્રોનના ખતરા વચ્ચે લોકોમાં ઘોર બેદરકારી જોવા મળી રહી છે. અહીં માસ્ક વગર ફરતા મુસાફરો કેમેરામાં કેદ થયા છે. છેલ્લા એક અઠવાડિયાથી રાજ્યમાં કોરોનાના કેસો વધ્યા છે, ઓમીક્રોન વેરિયન્ટના કેસો સતત વધી રહ્યા છે ત્યારે અમદાવાદ એરપોર્ટ પર બેદરકારીના દ્રશ્યો કેમેરામાં કેદ થતા તંત્ર શું મોટો વિસ્ફોટ થાય તેની રાહ જોઈ રહ્યું છે. લોકો પણ હાલ તેમની જવાબદારીને ગંભીરતા લે અને કોરોના નિયમો પાળે તો સારું છે, નહીં તો બીજી વેવની જેમ સ્મશાનમાં લાકડા અને હોસ્પિટલમાં બેડ ઓછા પડતા સહેજ પણ વાર નહીં લાગે. 

અન્ય રાજ્યોમાંથી અમદાવાદ એરપોર્ટ પર આવતી ફલાઇટ મારફતે શહેરમાં પ્રવેશી રહેલા મુસાફરોની બેદરકારી ભારે પડી શકે છે. અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિએશન તરફથી સીએમ ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી એરપોર્ટ પર ઢીલાશ ના રહે તે સુનિશ્ચિત કરવા વિનંતી પણ કરાઈ હતી. જો કે એરપોર્ટ પર કેટલાક મુસાફરો માસ્ક વગર બિન્દાસ લટાર મારતા કેમેરામાં કેદ થયા છે. કોરોનાથી બચવા અને અન્યને પણ સુરક્ષિત રાખવા માસ્ક એકમાત્ર વિકલ્પ છે એવામાં માસ્ક ફરજિયાત હોવા છતાં મુસાફરો બેદરકારી દાખવી રહ્યા છે.  

સુરતીલાલાઓ પાર્ટીમાં વ્યસ્ત, ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા
ઉલ્લેખનીય છે કે, એક તરફ રાજ્યમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. ઓમિક્રોનના નવા કેસ પણ સામે આવી રહ્યા છે. ત્યારે બીજી તરફ સરકાર અને સ્થાનિક પોલીસની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરીને સુરતીલાલાઓ પાર્ટી કરવામાં વ્યસ્ત છે. સુરતમાં ક્રિસમસની પાર્ટી કરવામાં આવતી હોવાનો ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. એ પણ એક નહીં બે જગ્યાએથી. એક તરફ ડુમસ પાર્ટી પ્લોટમાં હજારો લોકો એકઠા થઈ કોરોનાને ભૂલીને ડીજેના તાલે ઝુમ્યા. તો બીજી તરફ વેસુના એસ. ડી. જૈન પાર્ટી પ્લોટમાં લાઈવ મ્યુઝિક સાથે લોકો નાચતા જોવા મળ્યા. જો કે બાદમાં પોલીસે કાર્યવાહી કરી આયોજકની અટકાયત કરી પરંતુ કોરોનાને આમંત્રણ તો અપાઈ જ ગયું હતું. હવે જો આ પાર્ટી બાદ કોરોનાનો વિસ્ફોટ થાય તો જવાબદારી કોની રહેશે?

તમને જણાવી દઈએ કે, રાજ્યમાં નવેમ્બરથી કેસમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 177 નવા કેસ નોંધાયા છે. જ્યારે 66 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તો રાજ્યમાં એક હજારની નજીક 948 એક્ટિવ પહોંચી ગયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ઓમિક્રોનનો એક પણ નવો કેસ નોંધાયો નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news