અમિત શાહે ગુજરાતના 6 સાંસદોને દિલ્હી બોલાવી રીતસરના ખખડાવ્યા

Gujarat Politics : વિધાનસભાની ચૂંટણીમાં પક્ષ વિરોધી કામગીરી કરવા બદલ ભાજપના 6 સાંસદોને ઠપકો.. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં સાંસદોના લેવાયા ક્લાસ.. સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય ગુજરાતના સાંસદોને મળ્યો ઠપકો..

અમિત શાહે ગુજરાતના 6 સાંસદોને દિલ્હી બોલાવી રીતસરના ખખડાવ્યા

Gujarat Politics બ્રિજેશ દોશી/ગાંધીનગર : ગુજરાત ભાજપના 6 સાંસદોને ઠપકો આપ્યો છે. આ તમામ 6 સાંસદોને ચૂંટણીમાં પક્ષ વિરોધી કામગીરી બદલ ઠપકો આપ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં આ તમામનો ક્લાસ લેવાયો છે. રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની હાજરીમાં તમામ સાંસદોને ખખડાવવામાં આવ્યા છે. જેમાં સૌરાષ્ટ્રના 2, ઉત્તર ગુજરાતના 2 સાંસદોને ઠપકો આપવામાં આવ્યો છે. તો મધ્ય ગુજરાતના પણ 2 સાંસદો પણ તેમાં સામેલ છે. જેમાં 2 સાંસદો કેન્દ્રમાં પણ મોટો હોદ્દો ધરાવે છે. 

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં નારાજ નેતાઓનો હવે ભાજપ વારો પાડી રહી છે. વન વે જીત બાદ ભાજપ કોઈને માફ કરવાના મૂડમાં નથી. રાજ્યમાંથી પાર્ટી વિરોધી કામગીરી કરવાની ભાજપને 600 ફરિયાદો મળી છે. જે પર બનાવેલી એક કમિટી ફરિયાદો સંદર્ભે તપાસ કરી કાર્યવાહીનો રિપોર્ટ ભાજપ હાઈકમાન્ડને મોકલશે. એટલે આગામી દિવસોમાં આ રિપોર્ટને આધારે ભાજપમાં કંઈ નવા જૂની થાય તો નવાઈ નહીં પણ હાલમાં ગુજરાતમાં એવી પણ ચર્ચા છે કે, વિધાનસભા ચૂંટણીમાં પરિવારના સભ્ય માટે ટિકિટ, પસંદગીના ઉમેદવાર માટે આગ્રહ, ભાજપે ઉતારેલા ઉમેદવારને હરાવવા પ્રયત્નો, પ્રચારમાં ન જવુ એમ એક રીતે બળવાખોરી કરનારા કેટલાક સાંસદો સામે હાઈકમાન્ડ સખત નારાજ છે. સાંસદોને એમ કે નારાજગી દેખાડીશું તો ભાજપ ઝૂકશે, પણ હવે ભવ્ય જીત બાદ ભાજપ પણ જોશમાં છે.

આ પણ વાંચો : 

ગુજરાતના 5 સાંસદોને દિલ્હી બોલાવી બેસાડી રાખ્યા
શિયાળુ સત્ર બાદ પાટણના ભરતસિંહ ડાભી, પંચમહાલના રતનસિંહ રાઠોડ, સુરેન્દ્રનગરના ડો.મહેન્દ્ર મુંજપરા, ખેડાના દેવુસિંહ ચૌહાણ અને રાજ્યસભાના રમીલાબહેન બારા એમ પાંચ સાંસદોને હાઈકમાન્ડે દિલ્હી સ્થિત કાર્યલાયે બોલાવ્યા તો ખરા, પણ કલાકો સુધી બહાર બેસાડીને મુલાકાત આપ્યા વગર પાછા જતા રહેવા કહ્યું. બાદમાં ફરીથી સમય અપાયો ત્યારે છેલ્લી ઘડીએ શિડ્યુલ રદ્દ કરી દેવાયો હતો. આમ, આ પાંચેય સાંસદો ત્રણ સપ્તાહમાં બબ્બે વખત અપડાઉન કરી ચૂક્યા છે!

નેતાઓને પોતાની નિષ્કાળજી નડશે
હાલમાં નેતાઓ લોકસભાની તૈયારીઓમાં વ્યસ્ત છે પણ એવી પણ ચર્ચા છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ નેતાઓની પાર્ટી પ્રત્યેની નિષ્કાળજી તેમને નડી રહી છે. પાટણના ધારાસભ્ય ભરતસિંહ ડાભીના તો ભાઈએ જ ભાજપના ઉમેદવાર સામે બળવો કરીને ખેરાલુ બેઠક પરથી ચૂંટણી લડી હતી. જેને પગલે ભાજપે આ સીટ માંડ માંડ બચાવી છે. આગામી દિવસોમાં ભાજપ પાર્ટી વિરુદ્ધ કામગીરી કરનારને ન બક્ષવાના મૂડમાં હોવાથી લોકસભા પહેલાં મોટા ફેરફાર થાય તો પણ નવાઈ નહીં.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news