જયેશ રાદડિયાનો આપ પર આરોપ, કહ્યું-હજુ સત્તામાં નથી ને ઉદ્યોગપતિઓ પાસેથી ખંડણી માંગી

Jayesh Radadiya On AAP : ધારાસભ્ય જયેશ રાદડિયાએ આમ આદમી પાર્ટી પર ઉદ્યોગપતિઓ પાસેથી ખંડણી માંગવાનો આરોપ લગાવ્યો, શિબિરમાં જાણો શું કહ્યું...

જયેશ રાદડિયાનો આપ પર આરોપ, કહ્યું-હજુ સત્તામાં નથી ને ઉદ્યોગપતિઓ પાસેથી ખંડણી માંગી

નરેશ ભાલિયા/રાજકોટ :જેતપુર સહકારી સંઘ અને વીરપુર જૂથ સેવા સહકારી મંડળીની શિબિર યોજાઈ હતી. જેમાં ધારાસભ્ય જયેશ રાદડિયાએ AAP પર પ્રહાર કર્યા હતા. તેમણે મંચ પરથી કહ્યુ હતું કે, હમણાં હાવેણા નીકળતા છે, પેલા નતા હવે આવ્યા. 5 વર્ષ કોઈ દેખાતું નથી, ચૂંટણીને બે મહિના બાકી છે એટલે બધા નીકળી ગયા છે. આપવાળા તો ગેરંટી કાર્ડ વહેંચે છે, લાલચમણી લોભામણી જાહેરાત લઈને આવે છે. આમ આદમી પાર્ટી વાળી ટોળકી નીકળી છે ગેરંટી કાર્ડ દેવા, પણ એની ગેરંટી ક્યાં લેવા જાહો તમે. આવા લોકોને આપણે પ્રોત્સાહન આપવાનું નથી. હજુ સત્તામાં નથી ત્યાં તો ઉદ્યોગપતિઓ પાસે ખંડણીઓ માંગે છે. આવા લોકો આપણા વિસ્તારમાં આવી જાય તો આપણી સુરક્ષા શું. જ્યારે મારાથી વિશેષ ધારાસભ્ય મળે ત્યારે મને ના પાડી દેજો, મારી નીચે બેસવાની તૈયારી છે. 

જેતપુર તાલુકાના વીરપુર ગામે રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો.ઓપ.બેંકની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. જેમાં ધારાસભ્ય જયેશ રાદડિયા અધ્યક્ષસ્થાને હતા. આ સભામાં તેમણે આમ આદમી પાર્ટી પર શાબ્દિક હુમલો બોલાવ્યો હતો. સાથે જ આપની ગેરેન્ટી પર વાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, અમે અહીં બેઠા છીએ તો અમારા આગેવાનો અમારી ગેરન્ટી છે. એવા લોકોની પાસે સત્તા ન જાય કે જેને આપણે ઓળખતા નથી, જેની પાસે આપણી ગેરેન્ટી નથી. 

તેમણે કહ્યું કે, ભાજપ કે કોંગ્રેસે ખંડણી માટે ફોન કર્યો એવું બન્યું નથી. AAPમાં એવી ટોળી ભેગી થઈ છે, જે કારખાનેદારને ફોન કરીને તેની પાસેથી રૂ.10 લાખની માગણી કરે છે. હજી સત્તા શું છે એ જોયું નથી અને ખંડણીના ફોન કરે છે. તો સત્તામાં આવી જાય તો આપણી સુરક્ષાનું શું ? ધારાસભ્ય અને નેતા તમારો મજબૂત હોવો જોઈએ, મારાથી મજબૂત ધારાસભ્ય મળે ત્યારે તેને ચૂંટીને બેસાડજો અને હું પણ તેને સ્વીકારીશ અને તમારી સાથે નીચે બેસીશ. ત્યારે કહીશ બીજાને તક આપો, મારે ચૂંટણી નથી લડવી.

કોળી સમાજના સંમેલનમાં બાવળિયા ગેરહાજર
ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે નેતાઓની નારાજગીનો દોર સામે આવી રહ્યો છે. રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના બાખલવડ ગામે બુધવારે જસદણ કોળી સમાજના પ્રમુખ શામજી ડાંગરની આગેવાનીમાં કોળી સમાજનું મહાસંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં જસદણના ધારાસભ્ય કુંવરજી બાવળિયા અને પૂર્વ ધારાસભ્ય ભોળા ગોહિલ બંને ગેરહાજર જોવા મળ્યા હતા. જેને પગલે કોળી સમાજમાં ભારે કાનાફૂસી થઈ હતી. 
 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news