સહારાના સુબ્રતો રોય સામે વડોદરામાં નોંધાઈ ફરિયાદ, કુલ 29 લોકો સામે ફરિયાદ

સહારા ઇન્ડિયામાં રોકાણ કરાવી 44 લાખ પરત ન કરતા સુબ્રતો રોય સહિત 29 સામે વડોદરા ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાતા હડકંપ મચી જવા પામ્યો છે..
સહારાના સુબ્રતો રોય સામે વડોદરામાં નોંધાઈ ફરિયાદ, કુલ 29 લોકો સામે ફરિયાદ

રવિ અગ્રવાલ/વડોદરા : સહારા ઇન્ડિયામાં રોકાણ કરાવી 44 લાખ પરત ન કરતા સુબ્રતો રોય સહિત 29 સામે વડોદરા ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાતા હડકંપ મચી જવા પામ્યો છે..

લોભાણી સ્કીમો આપી
વડોદરાના ગોત્રી હરિનગર વિસ્તારમાં આવેલ શિવમ ટેનામેન્ટમાં રહેતા પવન સુભાષચંદ્ર ફુલ્લી પેસ્ટીસાઇડની કંપની ધરાવે છે. વર્ષ 2000 માં તેમનો સંપર્ક સહારા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીના એજન્ટ ઉશ્માનભાઇ હબીબભાઇ પટેલ સાથે થયો હતો. ઉશ્માન પટેલે સહારા કંપનીમાં મૂડીરોકાણની વિવિધ સ્કીમની માહિતી આપી અને સારુ વળતર મળશે તેમ જણાવી પવન ફુલ્લીની પત્ની તથા ભાભી અને તેમની બે દિકરીઓના નામે 36 લાખ 17 હજાર રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું. જ્યાર બાદ પાકતી મુદતે વ્યાજ સહિતની રકમ લેવા માટે વડોદરાના ન્યાય મંદિર પાસે આવેલ સહારાની ઓફિસે જતાં તેઓને કંપની પાસે હાલ રૂપિયા નથી તેમ જણાવવામાં આવ્યું હતું. તેમજ મેનેજર પ્રવિણ ચતુર્વેદી અને એરિયા મેનેજર રાકેશ કુમાવતે જો તેઓ પાકતી મુદતના રૂપિયા માસિક સ્કીમમાં રોકી દે તો તેમને મહિને 22 હજાર રૂપિયા વ્યાજ મળશે તેમ જણાવ્યું હતું. જેથી પવન ફુલ્લીએ સહારાની માસિક સ્કીમમાં રૂપિયા ટ્રાન્સફર કરાવી દીધા હતા. પરંતુ તેનું પણ ત્રણેક મહિના વ્યાજ આવ્યા બાદ વ્યાજ આપવાનું બંધ થઇ ગયું હતું. ફરિયાદી પવન ફુલ્લીએ આક્ષેપ કર્યો છે કે રોકાણ કરેલા રૂપિયા પરત માંગતા સહારા કંપનીના કર્મચારીઓ માર મારવાની ધમકી આપે છે. જો કંપની પાસે કર્મચારીઓને પગાર ચૂકવવા રૂપિયા છે. ઓફિસોના ભાડા ચુકવવા રૂપિયા છે તો પછી અમારા મૂડીરાકણને પરત કરવા રૂપિયા કેમ નથી? આ મામલે તેમણે સહારા કંપનીના વડોદરાના સ્થાનિક મેનેજર સહિત કંપનીના માલિક સુબ્રતો રોય સહિત કુલ 29 લોકો સામે વડોદરા ક્રાઇમ બ્રાન્ચમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે

કોની કોની સામે ફરિયાદ નોંધાઈ
સુબ્રતો રોય
સ્વપ્ના રોય
આમ પ્રકાશ શ્રીવાસ્તવ
જોયબ્રોત સુધીરચંદ્ર રોય
ચેરમેન દેવેન્દ્રકુમાર શ્રીવાસ્તવ
વાઇસ ચેરમેન સુધીરકુમાર શ્રીવાસ્તવ
અંજુલતા
અવધેશકુમાર શ્રીવાસ્તવ
બચ્ચા ઝા
બિરેન્દ્રકુમાર શ્રીવાસ્તવ
લાલજી વર્મા
ગજેન્દ્રકુમાર શર્મા
નીરજકુમાર પાલ
લક્ષ્મીકાંત બનાસી
પ્રશાંતકુમાર વર્મા
પુજા શર્મા
હાફીજુલ્લાહ એચ. શેખ
પ્રલયકુમાર પાલીત
આર. રામાકોટેશ્વર રાવ
સંજયકુમાર રજક
વિજયકુમાર વર્મા
મેનેજીંગ ડાયરેક્ટર કરૂનેશ અવસ્થી
પ્રવીણ ચતુર્વેદી
જયેશકુમાર ગાંધી
ગોપાલદાસ ચુંગ
સુરેન્દ્રસિંહ સોલંકી
રાકેશ કુમાવત
લાલચંદ વિશ્વકર્મા
વિનયકુમાર સીંગ

સહારા ઇન્ડિયાના ચેરમેન સુબ્રતો રોય સહિત 29 સામે ફરિયાદ દાખલ થતા પોલીસ હવે હરકતમાં આવી ગઈ છે. પોલીસે રોકાણકાર સાથે છેતરપિંડી કરનારા લોકોની શોધખોળ હાથ ધરી છે. સાથે જ આરોપીઓને પકડવા વિવિધ ટીમો પણ બનાવી છે.

મહત્વની વાત છે કે ફરિયાદીએ આરોપી સુબ્રતો રોય સહિત સહારા ઇન્ડિયાના અધિકારીઓ સામે ફરિયાદ નોંધાવા પોલીસ સ્ટેશનના ખૂબ ધક્કા ખાધા હતા. ત્યારે શું પોલીસ નિષ્પક્ષ રીતે આરોપીઓ સામે કાર્યવાહી કરી રોકાણકારના નાણાં પરત અપાવશે તેને લઈ અનેક સવાલો ઉઠવા પામી રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news