શાળા ખૂલ્યા બાદ ગુજરાત સરકારે કરી કોલેજ શરૂ કરવાની જાહેરાત

શાળા ખૂલ્યા બાદ ગુજરાત સરકારે કરી કોલેજ શરૂ કરવાની જાહેરાત
  • આગામી 8 ફેબ્રુઆરીથી રાજ્યભરમાં કોલેજના પ્રથમ વર્ષનું શૈક્ષણિક કાર્ય શરૂ થશે
  • સોશિયલ ડિસ્ટન્સ સહિતની SOPના પાલન સાથે વર્ગખંડો ફરી શરૂ થશે
  •  હોસ્ટેલ પણ રિઓપન  કરવા માટે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી

ઝી મીડિયા/બ્યૂરો :શાળા ખુલવાની શરૂઆત થઈ ગઈ છે. ધોરણ 9 થી 12 ના વર્ગો શરૂ (schools reopen) કરવામા આવ્યા છે. ત્યારે હવે ગુજરાતમાં કોલેજનું શૈક્ષણિક કાર્ય શરૂ થશે. આગામી 8 ફેબ્રુઆરીથી રાજ્યભરમાં કોલેજના પ્રથમ વર્ષનું શૈક્ષણિક કાર્ય શરૂ થશે તેવી જાહેરાત કરવામા આવી છે. 8 ફેબ્રુઆરી એટલે કે આગામી સોમવારથી જ કોલેજમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓના વર્ગ શરૂ થશે. સોશિયલ ડિસ્ટન્સ (social distance) સહિતની SOPના પાલન સાથે વર્ગખંડો ફરી શરૂ થશે. આ સાથે હોસ્ટેલ પણ રિઓપન (college reopen) કરવા માટે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. જે મુજબ હોસ્ટેલના એક રૂમમાં બેથી વધુ વિદ્યાર્થીઓ સાથે નહિ રહી શકે. કોલેજોમાં કોરોનાના નિયમોનું ખાસ પાલન કરવુ પડશે. ક્લાક રૂમમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ તે રીતે ખાસ બેઠક વ્યવસ્થાનું આયોજન કરવાનું રહેશે. તો આ સાથે બીજા વર્ષના કોલેજના વિદ્યાર્થીઓના વર્ગ શરૂ કરવાની પણ વિચારણા પણ ચાલી રહી છે. 

રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે આગામી સોમવાર 8 ફેબ્રુઆરીથી રાજ્યની કોલેજોમાં પ્રથમ વર્ષનું શિક્ષણ ફરી શરૂ કરવાની જાહેરાત કરી છે. શિક્ષણ વિભાગ દ્વારા આ અંગે બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં જણાવાયું છે કે પ્રથમ વર્ષના શૈક્ષણિક અભ્યાસક્રમ માટેના વર્ગખંડો શરૂ કરવામાં આવે ત્યારે બે વિદ્યાર્થીઓ વચ્ચે સેફ સોશિયલ ડિસ્ટન્સનું પાલન તેમજ વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા ઝીગ-ઝેગ, સ્ટેગર્ડમેનરમાં ગોઠવવાની રહેશે. 

આ પણ વાંચો : ભાજપે રાજકોટના ઉમેદવાર કર્યા જાહેર, જુઓ 18 વોર્ડમાં કોને કોને મળી ટિકિટ

આ વિશે શિક્ષણ અગ્ર સચિવ અંજુ શર્માએ જણાવ્યું કે, રાજ્યમાં કોરોના સંક્રમણની તીવ્રતા દિવસે દિવસે ઘટતી જાય છે. ત્યારે પ્રથમ વર્ષના શૈક્ષણિક કાર્ય શરૂ કર્યા બાદ દ્વિતીય વર્ષના વર્ગખંડો શરૂ કરવા પણ રાજ્ય સરકાર યોગ્ય સમયે નિર્ણય કરશે. તમામ સમરસ હોસ્ટેલ જે અગાઉ કોવિડ-19 ડેઝીગ્નેટ સેન્ટર તરીકે કાર્યરત કરવામાં આવી હતી, તેવી હોસ્ટેલને પણ કોરોના સંક્રમણ ઘટતાં હવે, વિદ્યાર્થીઓના આવાસ-નિવાસ માટે ફરી શરૂ કરવા પણ શિક્ષણ વિભાગે SOP નિર્ધારીત કરી છે.  સમરસ હોસ્ટેલ પૂન: શરૂ કરતાં પહેલાં તકેદારીના પગલાંરૂપે હાથની સ્વચ્છતા, સામાજિક અંતર અને અન્ય આવશ્યક પગલાંઓ સુનિશ્ચિત કરવાના રહેશે. 

  • હોસ્ટેલમાં એક રૂમમાં બે થી વધુ વિદ્યાર્થીઓને સાથે રહેવા મંજૂરી નહિ અપાય. 
  • કોવિડ-19ના લક્ષણો ધરાવતા વિદ્યાર્થીને કોઇ પણ સંજોગોમાં હોસ્ટેલમાં પ્રવેશ કે રહેવાની મંજૂરી આપવામાં આવશે નહિ. 
  • હોસ્ટેલમાં રહેતા તમામ વિદ્યાર્થીઓનું થર્મલ સ્ક્રિનિંગ સુનિશ્ચિત કરવાનું રહેશે. 
  • જમવાના રૂમમાં/કિચનમાં પૂરેપૂરી સ્વચ્છતા જાળવવાની રહેશે. 
  • વધુ ભીડને ટાળીને. નાના સમૂહોમાં ભોજન પીરસવાનું રહેશે. 
  • વિદ્યાર્થીઓ અને સ્ટાફ માટે રૂમમાં ભોજનની વ્યવસ્થા સરળ અને વિનાવિલંબે ઉપલબ્ધ થઇ શકે તે રીતે ગોઠવણ કરવાની રહેશે. 
  • હોસ્ટેલના કેમ્પસમાં કોઇ ભીડ ન થાય તે રીતે આયોજન કરવાનું રહેશે અને તે માટે વિદ્યાર્થીઓની સંખ્યાને યોગ્ય રીતે મર્યાદિત કરવાની રહેશે. આ માટે વિદ્યાર્થીઓને તબક્કાવાર બોલાવવાના રહેશે. 

આ પણ વાંચો : કેન્સરમાં વાળ ગુમાવનાર મહિલાઓનું દર્દ સમજીને સુરતી મહિલાઓ કરે છે વાળનું દાન

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news