Corona: અમદાવાદ કોર્પોરેશને લીધો મોટો નિર્ણય, AMTS-BRTS બસ 50% ક્ષમતા સાથે ચાલશે

અમદાવાદ મ્યુસિપલ કોર્પોરેશને આપેલી માહિતી પ્રમાણે શહેરમાં વધતા જતાં કોરોના કેસને ધ્યાનમાં રાખીને 6 જાન્યુઆરી એટલે કે ગુરૂવારથી એએમટીએસ અને બીઆરટીએસ બસો 50 ટકા ક્ષમતા સાથે ચાલશે.
 

Corona: અમદાવાદ કોર્પોરેશને લીધો મોટો નિર્ણય, AMTS-BRTS બસ 50% ક્ષમતા સાથે ચાલશે

અર્પણ કાયદાવાલા, અમદાવાદઃ અમદાવાદ શહેરમાં ફરી કોરોનાનો વિસ્ફોટ થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી સતત વધી રહેલા કેસોને જોતા તંત્ર એલર્ટ થઈ ગયું છે. અમદાવાદ શહેરમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવા માટે મ્યુનિસિપલ કમિશનરે બેઠક યોજી હતી. આ બેઠકમાં મનપાના સ્વાસ્થ્ય અધિકારીઓ હાજર રહ્યાં હતા. આ બેઠકમાં હવે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. હવે અમદાવાદમાં BRTS અને AMTC ની બસો 50 ટકા ક્ષમતા સાથે ચાલશે. 

એએમસીએ લીધો નિર્ણય
અમદાવાદ મ્યુસિપલ કોર્પોરેશને આપેલી માહિતી પ્રમાણે શહેરમાં વધતા જતાં કોરોના કેસને ધ્યાનમાં રાખીને 6 જાન્યુઆરી એટલે કે ગુરૂવારથી એએમટીએસ અને બીઆરટીએસ બસો 50 ટકા ક્ષમતા સાથે ચાલશે. આ દરમિયાન તમામ મુસાફરોએ માસ્ક ફરજીયાત પહેરવું પડશે. આ સિવાય જે લોકોએ વેક્સીનના બંને ડોઝ લીધા નથી તેને બસમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. બસમાં પ્રવાસ કરવા દરમિયાન તમામ લોકોએ કોરોના નિયમોનું પાલન કરવું પડશે.

હવે રસી લેવા માટે પોલીસ કરશે ફોન
અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસમાં કોરોના સંક્રમણમાં જે ગતિએ વધારો થઈ રહ્યો છે, તેને લઈને લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. શહેરમાં એવા ઘણા લોકો છે જેણે હજુ સુધી કોરોના વેક્સીનનો બીજો ડોઝ લીધો નથી. પરંતુ હવે જે લોકોએ વેક્સીનો બીજો ડોઝ લીધો નથી તેને રસી આપવા માટે મનપાએ મોટો નિર્ણય લીધો છે. અમદાવાદ મનપા કોરોનાની રસીનો બીજો ડોઝ ન લેનારા લોકો માટે પોલીસની મદદ લેવાનો નિર્ણય કર્યો છે. જે લોકોએ રસીનો બીજો ડોઝ લીધો નથી તેનો ડેટા કોર્પોરેશન દ્વારા પોલીસને સોંપવામાં આવશે. ત્યારબાદ પોલીસ આ લોકોને બીજો ડોઝ લેવા માટે ફોન કરશે. 

શહેરમાં છ લાખ લોકોએ નથી લીધો બીજો ડોઝ
કોરોના સંક્રમણને અટકાવવા માટે રસી લેવી ખુબ જરૂરી છે. પરંતુ શહેરમાં આશરે છ લાખ જેટલા લોકો એવા છે જેણે રસીનો પ્રથમ ડોઝ લીધો છે, પરંતુ બીજો ડોઝ લીધો નથી. હવે મનપા પોલીસની મદદ લેશે. અમદાવાદ કોર્પોરેશનમાં આવતા 7 ઝોન મુજબ આવતા પોલીસ સ્ટેશનમાંથી લોકોને રિમાઇન્ડર કોલ કરવામાં આવશે. પોલીસ આ લોકોને કોલ કરીને રસીનો બીજો ડોઝ લેવા માટે કહેશે.

અમદાવાદમાં મંગળવારે સામે આવ્યા 1290 કેસ
અમદાવાદ (Ahmedabad) માં કોરોનાના નવા 1290 કેસ નોંધાયા છે, તો શહેર અને જિલ્લાના મળી એક દિવસમાં 1314 કેસ નોંધાયા છે. શહેરમાં અતિ મોટો કોરોના વિસ્ફોટ (corona virus) જોવા મળ્યો છે. બીજી તરફ માઈક્રો કન્ટાઇનમેન્ટ વિસ્તારમાં પણ અતિ મોટો વધારો થયો છે. Amc દ્વારા આજે પણ નવા 21 વિસ્તાર માઈક્રો કન્ટાઇનમેન્ટ તરીકે જાહેર કરાયા છે. શહેરમાં માઈક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારની સંખ્યા 86 પર પહોંચી ગઈ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news