Cyclone Biparjoy: ગુજરાત સરકારે કહ્યું વાવાઝોડા સામે અમે તૈયાર, જાણો હવામાન વિભાગે 5 દિવસ માટે શું કરી આગાહી

Cyclone Biparjoy: સંભવિત વાવાઝોડાની સ્થિતિના પગલે ગુજરાતના બંદર પર બે નંબરનું સિગ્નલ લગાવાયું છે. જાફરાબાદ, જામનગર, દમણ, પોરબંદર અને કચ્છના કંડલા, મુન્દ્રા સહિતનાં બંદરો પર બે નંબરનું સિગ્નલ લગાવાયું છે..

Cyclone Biparjoy: ગુજરાત સરકારે કહ્યું વાવાઝોડા સામે અમે તૈયાર, જાણો હવામાન વિભાગે 5 દિવસ માટે શું કરી આગાહી

Cyclone Biparjoy: ઝી બ્યુરો/ગાંધીનગર: તાઉતે વાવાઝોડાના બે વર્ષ પછી ગુજરાત પર ફરી વાવાઝોડું આવે તેવી શક્યતા છે. ગુજરાતના દરિયાકાંઠા વાવઝોડાનો ખતરો ઉભો થયો છે. બીપરજોય નામનું વાવાઝોડું દરિયાકિનારે ત્રાટકી શકે છે. ડીપ ડિપ્રેશન પછી હવે સિવિયલ સાયક્લોનમાં વાવાઝોડું ફેરવાયું છે. પોરબંદરના દરિયાકિનારાથી 1 હજાર કિલોમીટર જેટલું વાવાઝો઼ડું દૂર છે. 

આ વાવાઝોડામાં ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. જેને લઈને ગુજરાતનું નેવી અને વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે. સંભવિત વાવાઝોડાની સ્થિતિના પગલે ગુજરાતના બંદર પર બે નંબરનું સિગ્નલ લગાવાયું છે. જાફરાબાદ, જામનગર, દમણ, પોરબંદર અને કચ્છના કંડલા, મુન્દ્રા સહિતનાં બંદરો પર બે નંબરનું સિગ્નલ લગાવાયું છે..

સંભવિત ચક્રવાતને પગલે ગુજરાત સરકાર સજ્જ
સંભવિત ચક્રવાતને પગલે ગુજરાત સરકાર સજ્જ છે. ગાંધીનગર ખાતે સ્ટેટ ઈમરજન્સી કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે. આ કંટ્રોલરૂમ પરથી દરિયાકાંઠાના વિસ્તારમાં સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. જિલ્લા કલેકટર અને DDOને કામગીરી સોંપાઈ છે. વાવાઝોડા પહેલા અને પછી શું કરવું તેની પણ માહિતી અપાઈ છે. મુખ્યમંત્રી કાર્યાલયથી પણ સતત મોનિટરિંગ થઈ રહ્યું છે. વાવાઝોડાના ખતરાને પગલે NDRFની 10 ટીમ એલર્ટ રાખવામાં આવી છે. લેન્ડફોલની સ્થિતિ દરમિયાન NDRFની ટીમ ડિપ્લોય કરવામાં આવશે.

ચોમાસા દરમ્યાન સંભવિત તમામ પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્યનું વહિવટી તંત્ર સુસજ્જ છે. તે માટે ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ(GSDMA) દ્વારા ચોમાસાની પૂર્વ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેના ભાગરૂપે રાજ્યના તમામ જિલ્લાના જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન પ્લાન (DDMP) તૈયાર કરાવવામાં આવ્યા છે. આ ઉપરાંત તાલુકા, શહેર, ગ્રામ્ય કક્ષાના ડીઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન (TDMP, CDMP, VDMP) અદ્યતન કરાયા છે. GSDMA દ્વારા નિમણુક પામેલા જિલ્લા પ્રોજેક્ટ ઓફિસર દ્વારા નિયમિત રીતે તાલીમો, નિદર્શન, જનજાગૃતીકરણને લગતા પણ કાર્યક્રમો કરવામાં આવ્યા છે. જિલ્લામાં ઉપલબદ્ધ શોધ અને બચાવ કામગીરીના સંસાધનો અધ્યતન સ્થિતિમાં રાખવામાં આવ્યાં છે.

મંત્રીએ ઉમેર્યું હતું કે, ચાલું વર્ષે ચોમાસાની સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લા અને મહાનગરપાલિકા ખાતે 50 જેટલા ઓરીએન્ટેશન કાર્યક્રમો, 30 જેટલી તાલીમો, 22 જેટલી મોકડ્રીલ/નિદર્શન કરાયા છે. ચાલુ વર્ષે શાળા સલામતી કાર્યક્રમ અંતર્ગત શાળા સલામતી સપ્તાહનું આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત જિલ્લાઓમાં રાહત અને બચાવની કામગીરી માટે NGO સાથે પણ સંકલન કરવામાં આવ્યું છે. GSDMA દ્વારા અપ સ્કેલીંગ ઓફ આપદા મિત્ર સ્કીમ અંતર્ગત માર્ચ 2023 સુધીમાં 4500 જેટલા આપદા મિત્ર સ્વયં સેવકોને SDRF મારફતે 12 દિવસની શોધ અને બચાવની તાલીમો આપી તાલીમબદ્ધ કરવામાં આવ્યા છે.

મંત્રીએ “બીપરજોય” વાવાઝોડા બાબતે માહિતી આપતા જણાવ્યું હતું કે, GSDMA દ્વારા સબંધિત દરિયાકાંઠાનાં જિલ્લાઓને IMD દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવતું વેધર બુલેટિન મોકલી જરૂરી તકેદારીના પગલા લેવા જણાવ્યું છે. આ ઉપરાંત સબંધિત DPOને IMDની વેબસાઈટ પર આવતી અદ્યતન માહિતી/બુલેટિન/વોર્નિંગથી અપડેટ રહેવા અને જિલ્લા કલેક્ટરના પરામર્શમાં રહી જરૂરી કાર્યવાહી કરવા પણ જણાવવામાં આવ્યું છે. વાવાઝોડા સમયે નાગરીકોએ શું કરવું? અને શું ન કરવું? જેવી બાબતો અંગે જનજાગૃતિ કેળવાય તે માટેના સંનિષ્ઠ પ્રયાસો રાજ્યભરમાં હાથ ધરવામાં આવી રહ્યા છે. 

સુરતમાં વાવાઝોડાને પગલે તંત્ર એલર્ટ
સંભવિત બીપરજોય વાવાઝોડાને પગલે સુરતનું તંત્ર એલર્ટ છે. મજૂરા, ઓલપાડ અને ચોર્યાસીની 42 ગામ એલર્ટ પર છે. સંભવિત વાવાઝોડાને પગલે ખાસ કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે. આ કંટ્રોલ રૂમ ઉપરથી સુરત જિલ્લાના તમામ ગામ પર નજર રાખવામાં આવી રહી છે. તો બીજી તરફ માછીમારોને દરિયા ન ખેડવા માટે અપીલ કરવામાં આવી છે. સુરક્ષાને ધ્યાને રાખીને આગામી દિવસમાં ડુમસ અને સુવાલી બીચ બંધ કરવામાં આવશે. 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા છે. 9 અને 10 તારીખે દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડાની અસર થઈ શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news