ફરી અમદાવાદીઓનો ભરોસો તૂટ્યો! ભરોસાની ભાજપ સરકારે કહ્યું; હવે નહિ થાય અમદાવાદનું કર્ણાવતી નામ

Ahmeabad Name Change :અમદાવાદનું નામ કર્ણાવતી ન કરવાને લઇ સાંસદ હસમુખ પટેલે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે, જો અમદાવાદનું નામ કર્ણાવતી કરવામાં આવે તો હેરીટેજના દરજ્જો મેળવવામાં મુશ્કેલી થાય તેમ છે. 

ફરી અમદાવાદીઓનો ભરોસો તૂટ્યો! ભરોસાની ભાજપ સરકારે કહ્યું; હવે નહિ થાય અમદાવાદનું કર્ણાવતી નામ

Karnavati Name Demand: અમદાવાદ શહેરનું નામ બદલીને કર્ણાવતી કરવાનો મુદ્દો સતત ઉઠતો રહે છે. અનેકવાર ગુજરાતના શહેર અમદાવાદનું નામ કર્ણાવતી રાખવાની માંગ ઉઠી છે. પરંતું આ મુદ્દે ગુજરાત સરકાર ચૂં કે ચાં કરતી નથી. આખરે હવે ભાજપના નેતાએ જ અમદાવાદનું કર્ણાવતી નામ કેમ ન કરવા, બદલવા પાછળ અંગે સ્પષ્ટતા કરી છે. 

હસમુખ પટેલનું મહત્વપૂર્ણ નિવેદન
અમદાવાદનું નામ કર્ણાવતી ન કરવાને લઇ સાંસદ હસમુખ પટેલે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે, જો અમદાવાદનું નામ કર્ણાવતી કરવામાં આવે તો હેરીટેજના દરજ્જો મેળવવામાં મુશ્કેલી થાય તેમ છે. યુનેસ્કોમાં જે ડોઝિયર મોકવામાં આવ્યું તેના કર્ણાવતી નામ રાખવાને બદલે અમદાવાદ નામ લખવામાં આવ્યું છે. હવે નામ બદલીયે તો મુશ્કેલી વધે તેમ છે.

અમદાવાદ શહેર વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો ધરાવે છે. જ્યારે વર્લ્ડ હેરિટેજ સિટી માટે ડોઝિયર બનાવવામાં આવ્યું, તેમાં અમદાવાદ શહેર તરીકેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ક્યાંય પણ કર્ણાવતીનું નામ લખવામાં આવ્યું નથી, જેથી ડોઝિયર પ્રમાણે અમદાવાદ શહેર હવે વર્લ્ડ હેરિટેજ સિટી છે, જેથી આ શહેરનું નામ બદલીને કર્ણાવતી કરવામાં આવે તો વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો અમદાવાદને ગુમાવવો પડી શકે છે.

અમદાવાદ નામ સ્વીકારી લીધું: સાંસદ હસમુખ પટેલ
સાંસદ હસમુખ પટેલે જણાવ્યું હતું કે અમદાવાદ શહેરનું નામ બદલી કર્ણાવતી કરવાની જીદ અને માગ ભાજપની જ હતી. વર્ષ 2005માં અમદાવાદ શહેરને હેરિટેજ દરજ્જો મેળવવા માટે અરજી કરવામાં આવી હતી. અમદાવાદ શહેરનું નામ બદલીને કર્ણાવતી કરવામાં આવે તો હેરિટેજનો દરજ્જો મળવામાં મુશ્કેલી ઊભી થાય એમ હતી. 600 વર્ષ જૂના અમદાવાદ શહેરને હેરિટેજ દરજ્જો મળે, પ્રવાસીઓમાં વધારો થાય અને લોકોને રોજગારી મળે એના માટે આપણે અમદાવાદ તરીકે હવે સ્વીકારી લીધું છે, હાલ નવી કોઈ માગ નથી.

અગાઉ રાજ્ય સરકારે વિધાનસભામાં પણ કબૂલ્યું હતું કે, અમદાવાદ શહેરનું નામ કર્ણાવતી બદલવા માટે રાજ્ય સરકારે કોઈ દરખાસ્ત જ નથી કરી. વિધાનસભા પ્રશ્નોત્તરીમાં સરકારે સ્વીકાર કર્યો કે અમદાવાદનું નામ બદલવા માટે સરકારે કોઈ દરખાસ્ત કરવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે, ભાજપ, RSS અને તેની ભગિની સંસ્થા અમદાવાદ શહેરને હંમેશા કર્ણાવતી શહેર તરીકે ઉલ્લેખિત કરે છે. ત્યારે સરકારને નામ બદલવામાં કેમ વાંધો પડે છે.

કર્ણદેવે વસાવ્યું શહેર
અમદાવાદનું નામ બદલવાની માંગણી કરનારાઓની એવી દલીલ છે કે 1411માં મુસ્લિમ શાસક અહમદ શાહે જ્યાં કબજો જમાવ્યો અને  તેનું નામ અહમદાબાદ કરી નાખ્યું. જે અમદાવાદ પણ કહેવાય છે. અમદાવાદનું અસલ નામ કર્ણાવતી છે. તેની પાછળ દલીલ એવી છે કે 11મી સદીમાં ગુજરાતના સોલંકી રાજા કર્ણદેવે અશાવલ ભીલ નામના રાજાને હરાવીને હાલનો પ્રદેશ જીત્યો હતો અને ત્યારબાદ તે જગ્યાનું નામ કર્ણાવતી રાખ્યું હતું. આથી તેનું નામ કર્ણાવતી હોવું જોઈએ. હિન્દુ સંગઠનો અગાઉ પણ આ માંગણી કરતા આવ્યા છે. ભાજપની અમદાવાદ શાખાના નામ પર અમદાવાદની જગ્યાએ કર્ણાવતી જ લખવામાં આવે છે. 

શહેરની વાત કરીએ તો શહેરમાં કર્ણાવતી નામની એક ક્લબ  પણ છે. આ ઉપરાંત કર્ણાવતી દાબેલી નામની એક જાણીતી દુકાન પણ છે. આ સિવાય વેસ્ટર્ન રેલવે પણ કર્ણાવતી એક્સપ્રેસનું સંચાલન કરે છે. આ ટ્રેન અમદાવાદથી મુંબઈ વચ્ચે દોડે છે. આ ઉપરાંત અમદાવાદમાં એક ખાનગી યુનિવર્સિટીનું નામ પણ કર્ણાવતી યુનિવર્સિટી છે. 

કર્ણદેવ હતા અમદાવાદના શાસક
આ પહેલા સોશિયલ મીડિયા પર અમદાવાદનું નામ કર્ણાવતી કરવા માટે મુદ્દો ઉઠ્યો હતો. યૂઝર્સનું કહેવું હતું કે, અમદાવાદનો પાયો અહમદશાહે નહીં પરંતુ રાજા કર્ણદેવે રાખ્યો હતો. એટલા માટે શહેરનું નામ તેમના નામ પર હોવું જોઇએ. ભૂતકાળમાં અનેકવાર સોશિયલ મીડિયા પર અમદાવાદનું નામ કર્ણાવતી કરવાની માંગ ઉઠી હતી. તો સાથે જે ટ્વિટર પર #WeWantKarnavati હેશટેગ સાથે લોકોએ રજૂઆત કરી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news