સ્વાતંત્ર્ય સેનાનીઓએ કરી દાંડીકૂચ, 12 માર્ચ 1930ના રોજ શું થયું હતું, આવો છે ઈતિહાસ

Dandi March : આજે છે 12મી માર્ચ...આજનો દિવસ કેમ ખાસ છે જાણો છો?...આજથી 93 વર્ષ પહેલા શું થયું હતું તમને ખબર છે?...આવો જોઈએ એ સમયની વાત છેમાં  કે આખરે એવું તો શું થયું હતું વર્ષ 1930ની 12મી માર્ચે...

સ્વાતંત્ર્ય સેનાનીઓએ કરી દાંડીકૂચ, 12 માર્ચ 1930ના રોજ શું થયું હતું, આવો છે ઈતિહાસ

E Samay Ni Vat Che ચિંતન ભોગાયતા/અમદાવાદ : આ એ સમયની વાત છે જ્યારે દેશ પર હતું બ્રિટિશર્સનું રાજ અને એમની સામે આઝાદીની લડાઈ લડી રહ્યા હતા આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓ. વાત છે 12મી માર્ચ 1930ની. અંગ્રેજ સરકારના મીઠા પરના એકાધિકાર તેમજ મીઠા પર લગાડવામાં આવેલા કર વિરૂદ્ધ અહિંસક પ્રતિરોધ દ્વારા પ્રત્યક્ષ કાર્યવાહીનું અભિયાન ચાલ્યું. અંગ્રેજોની એવી જોહુકમી કે કોઈપણ ભારતીયને મીઠું એકઠું કરવા કે વેચવા પર પ્રતિબંધ હતો. એટલું જ નહીં ભારતીયોને અંગ્રેજો પાસેથી મીઠું ખરીદવું પડતું. અંગ્રેજો મીઠા પર ટેક્સ વસૂલતા. 

બ્રિટિશ કાયદામાં પરિવર્તન લાવવા ગાંધીજીએ 78 સ્વયંસેવકો સાથે સાબરમતિ આશ્રમથી યાત્રાની શરૂઆત કરી. લક્ષ્ય હતું પગપાળા દાંડી પહોંચવું. તેમનો કાફલો સુરત, ડિંડોરી, વાંઝ, ધમન અને નવસારી થઈને દાંડી પહોંચ્યો હતો. તેમના કાફલામાં સૌથી નાનો સત્યાગ્રહી 16 વર્ષિય વિઠ્ઠલ લીલાધર ઠક્કર હતા અને સૌથી વૃદ્ધ પોતે ગાંધીજી હતા, જે તે સમયે 61 વર્ષના હતા.

ધીમે ધીમે આ યાત્રા દાંડી કૂચ કરવા લાગી. 240 માઈલનું અંતર કાપવામાં 24 દિવસનો સમય લાગ્યો. 5 એપ્રિલ 1930ના રોજ સંઘ દાંડી ઘાટ પહોંચ્યો. અને બીજા દિવસે એટલે કે છઠ્ઠી એપ્રિલે સાથીઓ સાથે મળીને ચપટી મીઠુ ઉઠાવીને કહ્યું, ''આની સાથે, હું બ્રિટિશ સામ્રાજ્યના પાયાને હલાવી રહ્યો છું.''

આ કૂચના સમાચારો ટૂંક સમયમાં જ આખા ભારતમાં ફેલાઈ ગયા અને છાપાઓમાં ગાંધીજીની છબીને ‘મહાત્મા’ તરીકે દર્શાવવામાં આવી, જે હવે આખા દેશનું નેતૃત્વ કરી રહ્યા હતા. તેમના સમર્થનમાં દેશભરના લોકોએ દરેક જગ્યાએ ‘મીઠાનો સત્યાગ્રહ’ કર્યો. 

બ્રિટિશ સરકારે શરૂઆતમાં તો એમ વિચાર્યું નહોતું કે આ સત્યાગ્રહ આટલું મોટું સ્વરૂપ ધારણ કરી લેશે. ભારતના દરેક રાજ્યમાં મીઠાનો કાયદો તૂટતા જોઈ અંગ્રેજોને ગાંધીજીની ધરપકડનો વિચાર આવ્યો અને 4 મે 1930ની મધ્યરાત્રીએ ગાંધીજીની ધરપકડ કરવામાં આવી. ત્યારબાદ હજારો સત્યાગ્રહીઓની પણ ધરપકડ થઈ.

આ પહેલા પણ એક ધરપકડ થઈ હતી અને એ ધરપકડ હતી સરદાર પટેલની. બારડોલી સત્યાગ્રહમાં સરદારની મક્કમતા જોઈ દાંડી યાત્રાની પાયાની જવાબદારી પણ સરદાર પટેલને સોંપવામાં આવી હતી. યાત્રા પહેલા જ ખેડાના રાસ ગામે સરદારે ઐતિહાસીક સભા યોજી અને અંગ્રેજ સરકારે સરદારની ધરપકડ કરી લીધી. સરદાર પટેલની આ પ્રથમ જેલ યાત્રા હતી.

તો આ હતી દાંડીયાત્રાની કહાની સંક્ષેપ્તમાં... દેશના આઝાદીના એ લડવૈયાઓને શત શત નમન છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news