રાધનપુરથી શામળાજી નેશનલ હાઈવે બનાવવાની મંજૂરી મળતા ખેડૂતોએ શરૂ કર્યો વિરોધ

કેન્દ્ર સરકારે રાધનપુરથી શામળાજી વાયા ઈડર નેશનલ હાઈવેના નિર્માણની મંજૂરી આપી છે. પરંતુ ખેડૂતોને પોતાની જમીન ગુમાવવાનો ડર લાગી રહ્યો છે. જેથી ખેડૂતોએ સ્થાનિક ધારાસભ્ય અને સાંસદને આવેદનપત્ર આપી રજુઆત કરી છે. 

રાધનપુરથી શામળાજી નેશનલ હાઈવે બનાવવાની મંજૂરી મળતા ખેડૂતોએ શરૂ કર્યો વિરોધ

શૈલેષ ચૌહાણ, સાબરકાંઠાઃ રાધનપુરથીથી શામળાજી વાયા ઇડર નેશનલ હાઇવે નિર્માણની મંજૂરી મળતાં જ વિરોધનો સુર શરુ થયો છે. તો ખેતી પર નિર્ભર ખેડૂતો જમીન વિહોણા થવાની દહેશતને લઇ સ્થાનિક નેતાઓને આવેદન આપ્યા બાદ હવે જીલ્લા કલેકટરને આજીજી કરશે. તો ખેડૂતોએ કાયદાની મદદ પણ લેવાની તૈયારીઓ શરુ કરી છે.

સાબરકાંઠા જિલ્લાના સ્થાનિકો મુખ્યત્વે ખેતી અને પશુપાલન આધારિત જીવન નિર્વાહ કરી રહ્યા છે. એક તરફ કુદરત સાથે બાથ ભીડાવી ખેડૂતો ખેત પેદાશનું ઉત્પાદન મેળવી રહ્યા છે. તો બીજી તરફ ખેતી કરવા માટે ખેતરના રહેવાની દહેશતને લઈ ખેડૂતો હવે ચિંતિત થયા છે. રાધનપુર -શામળાજી નેશનલ હાઇવે બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી મળી છે અને તેનું સેટેલાઈટ સર્વે બાદ પીલ્લર પણ લગાવી દેવામાં આવ્યા છે. આ નેશનલ હાઈવે વાયા ઇડર થઈને પસાર થાય છે. 

ઇડર તાલુકાના સાત ગામડાના સીમમાંથી નેશનલ હાઇવે પસાર થતો આકાર લઇ રહ્યો છે. પરંતુ હાઇવેમાં ખેડૂતોની આજીવિકાનું સાધન ખેતર સંપાદિત થઈ રહ્યું છે ત્યારે ખેડૂતો સરકારને અને તેમના પ્રતિનિધિ ધારાસભ્ય, સાસંદને આવેદન આપી વિનંતી કરી ઉકેલ લાવવા માથામણ કરી રહ્યા છે. તો બીજી તરફ સાત ગામોના 325 કરતા પણ વધુ ખેડૂત ખાતેદારોની જમીન રોડમાં સંપાદિત થઈ રહી છે. જે પૈકીના 10 ટકા કરતા વધુ ખેડૂતોને તો તમામ જમીન રોડમાં સંપાદિત થઈ રહી છે.

ઈડર, મણીયોર, સદાતપુરા, લાલોડા, સવગઢ, બુઢિયા, વાસડોલ, બડોલીના જમીન માલિકો ભેગા થયા અને આગણની રણનીતિ નક્કી કરી હતી. એક તરફ ઇડફ શહેરને વર્ષોથી બાયપાસની માગ છે પરંતુ એ માગ પુરી કરવામાં આવતી નથી. સામે નવા હાઇવેની જરૂરિયાતના હોવા છતાં બનાવવામાં આવી રહ્યો હોવાનું ખેડૂતો આક્ષેપ કરી રહ્યાં છે. તો બીજી તરફ સ્થાનિક ધારાસભ્ય અને સાંસદ સભ્યને મળી રજુઆત કરવામાં આવી છે. સાથે જ આગામી સમયે જિલ્લા કલેકટરને રજુઆત કરવામાં આવશે.

એક તરફ હાઇવે બનાવવા માટે કેન્દ્ર સરકારે જાહેરાત તો કરી લીધી પરંતુ મેપ બનાવવા માટે કોઈ સર્વે કરાયો નથી. માત્ર સેટેલાઇટ તસ્વીર આધારે સર્વે કરી પીલ્લર લગાવી દેવામાં આવ્યા છે. તો હાઇવે ઓથોરિટી કે સરકાર દ્વારા ખેડૂતોને કોઈ જાણ કરવામાં આવી નથી. જેને લઈને ખેડૂતો એકશનમાં આવ્યા અને આવેદનો આપી રજુઆતો કર્યા બાદ બેઠકોનો દૌર શરૂ થઇ ગયા છે. ત્યારે અગામી દિવસોમાં ખેડૂતોના આંદોલનના ભણકાર વાગી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news