GPSC દ્વારા ભરતી કસોટીઓનો પ્રારંભ : મોટી સંખ્યામાં ઉમેદવારો RFO ની પરીક્ષા આપવા પહોંચ્યા 

GPSC દ્વારા ભરતી કસોટીઓનો પ્રારંભ : મોટી સંખ્યામાં ઉમેદવારો RFO ની પરીક્ષા આપવા પહોંચ્યા 
  • ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઓછું થતા સરકારની સ્પર્ધાત્મક પરીક્ષા ફરી શરૂ થઈ
  • અમદાવાદમાં 66 પરીક્ષા સેન્ટરો પર કોરોના ગાઈડલાઈન સાથે પરીક્ષા શરૂ થઈ
  • રાજકોટ જિલ્લામાં 54 પરીક્ષા કેન્દ્રો પર માત્ર 40 ટકા જ ઉમેદવારો જ પરીક્ષા આપવા હાજર દેખાયા

અતુલ તિવારી/ગૌરવ દવે/બ્યૂરો :આજથી ફરી એકવાર GPSC દ્વારા ભરતી કસોટીઓની પ્રારંભ થયો છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આવતી કાલે ૨૦મી તારીખ ને રવિવારે રાજકોટમાં વન વિભાગમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસરની ભરતી કરવા માટેની પ્રીલીમીનરી પરીક્ષાનું આયોજન કરાયું છે. જેથી આજે સવારે અમદાવાદ અને રાજકોટમાં પરીક્ષઆનો પ્રારંભ થયો છે. કોરોનાની બીજી લહેર શાંત થયા બાદ ફરી એકવાર ભરતી પ્રક્રિયાઓ અંતર્ગત પરીક્ષાઓનું આયોજન થઈ રહ્યું છે. આ પરીક્ષા દરમિયાન કોરોના ગાઈડલાઈનનું પાલન કરાશે. 

અમદાવાદમાં પરીક્ષાઓ શરૂ
ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઓછું થતા સરકારની સ્પર્ધાત્મક પરીક્ષા ફરી શરૂ થઈ છે. અમદાવાદમાં 66 પરીક્ષા સેન્ટરો પર કોરોના ગાઈડલાઈન સાથે પરીક્ષા શરૂ થઈ છે. RFO ની ભરતી પ્રક્રિયા માટે અમદાવાદમાં 15,771 ઉમેદવારો પરીક્ષા આપી રહ્યાં છે. પરીક્ષાનું આયોજન બે તબક્કામાં કરાયું છે. સવારે 11 વાગ્યાથી 2 વાગ્યા સુધી અને ત્યાર બાદ બપોરે 3 થી 6 વાગ્યા સુધી પરીક્ષા યોજાશે.  

રાજકોટમાં કોઈ કોરોના ઉમેદવાર ન નોંધાયો 
રાજકોટમાં આજે GPSC ની RFO ની પરીક્ષા શરૂ થઈ છે. રાજકોટ જિલ્લામાં 54 પરીક્ષા કેન્દ્રો પર માત્ર 40 ટકા જ ઉમેદવારો જ પરીક્ષા આપવા હાજર દેખાયા છે. રાજકોટમાં કોવિડ ગાઈડ લાઈનનું પાલન સાથે પરીક્ષા શરૂ થઈ છે. જોકે, કોઈ પણ કોરોના પોઝિટિવ ઉમેદવારો પરીક્ષા આપવા માટે રજિસ્ટ્રેશન થયું નથી.

પોલીસ બંદોબસ્ત વચ્ચે પરીક્ષા 
રાજકોટમાં 54 કેન્દ્રો પર પરીક્ષા શરૂ થઈ છે. 516 બ્લૉક્સમાં કોરોનાની તમામ ગાઇડલાઇન્સ સાથે પરીક્ષા શરૂ થઈ છે. જિલ્લા વહીવટી તંત્રની સ્કોડ ટીમ જુદા જુદા કેન્દ્રોની મુલાકાત લેશે. જિલ્લાના તમામ કેન્દ્રો સીસીટીવીથી સજ્જ કરાયા છે. સુરક્ષાને ધ્યાનમાં રાખી તમામ પરીક્ષા કેન્દ્રો પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત કરાયો છે.

RFO ની પરીક્ષા આપવા આવેલા ઉમેદવારો સાથે ઝી 24 કલાકે વાતચીત કરી. ઉમેદવારોએ પરીક્ષાના આયોજનને લઈ ખુશી વ્યક્ત કરી. ઉમેદવારોએ કહ્યુ કે, કોરોનાના કેસો ઘટ્યા છે, ત્યારે હવે પરીક્ષાનું આયોજન થવું જોઈએ. ઘણા લાંબા સમયથી પરીક્ષાનો વિદ્યાર્થીઓ રાહ જોઈ  રહ્યા હતા. પરીક્ષાઓ લેવાય અને ભરતી પ્રક્રિયાઓ ઝડપથી દૂર થાય એવી અપેક્ષા છે. કોરોનાનો ડર તો હોય છે, પણ પરીક્ષાનું આયોજન કોરોના ગાઈડલાઈન સાથે થાય એ જરૂરી છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news