આ આગાહીથી બચીને રહેજો : મે મહિનો તોફાની બનશે, આ દિવસોમાં ગુજરાત પર ત્રાટકશે વાવાઝોડું

Gujarat Weather Today : માર્ચ અને એપ્રિલ બાદ મે મહિનામાં પણ કમોસમી વરસાદની આગાહી... આગાહીકાર અંબાલાલ પટેલે કહ્યું કે, બીજીથી આઠમી મે સુધી વાવાઝોડા સાથે આવશે વરસાદ 

આ આગાહીથી બચીને રહેજો : મે મહિનો તોફાની બનશે, આ દિવસોમાં ગુજરાત પર ત્રાટકશે વાવાઝોડું

Gujarat Weather Forecast : ગુજરાત પર માઠી દશા બેસેલી છે. વાતાવરણના દરેક પલટાની અસર ગુજરાત પર થતી રહે છે. 2023 ના વર્ષની શરૂઆતથી જ ગુજરાતમાં માવઠાનો માર રહ્યો છે. એપ્રિલ મહિનાના અંતમાં પણ કમોસમી વરસાદ પડ્યો છે. ત્યારે મે મહિનો પણ તોફાની બની રહેવાનો છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મે મહિના માટે નવી આગાહી કરી છે. જેમાં આવતીકાલથી શરૂ થઈ રહેલા મે મહિનામાં વાવાઝોડું આવવાની શક્યતા વ્યક્ત કરી છે. આ માટે અંબાલાલ પટેલની નવી આગાહી શું છે તે જાણી લઈએ. ગુજરાતમાં ક્યારે વાવાઝોડું આવશે અને કયા કયા વિસ્તારોને ધમરોળશે. 

પ્રખ્યાત આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું કે, આગામી દિવસોમાં બંગાળના ઉપસાગર અને અરબ સાગરમાં ચક્રવાત સર્જાવાની શક્યતા રહેશે. બંગાળના ઉપસાગરમાં મે મહિનાની 2 તારીખથી સમુદ્રમાં હલચલ જોવા મળશે. જ્યારે તારીખ 10-11 મેના દિવસોમાં બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાવાની શક્યતા રહેશે. જે તારીખ ૧૮ સુધીમાં પ્રચંડ રૂપ ધારણ કરી શકે છે. સૂર્ય પ્રચંડ વાયુ વાહક નક્ષત્રમાં હોવાથી ગુજરાતમાં ભારે વાવાઝોડું આવાની શક્યતા છે. જેની અસર દક્ષિણ પૂર્વીય તટ પર જોવા મળશે. આ ચક્રવાત બાંગ્લાદેશ સુધી જઈ શકે છે. જ્યારે સૂર્ય રોહિણી નક્ષત્રમાં તારીખ ૨૫થી આવતા અરબ સાગરમાં પણ ચક્રવાત જોવા મળશે. 

તેમણે આ બાદ અન્ય એક વાવાઝોડાની પણ આગાહી કરી, જે મે મહિનાના અંત અને જુન મહિનાના શરૂઆતના દિવસોમાં આવશે. તેમણે કહ્યું કે, આગામી 25 મે થી જુનની શરૂઆતમાં વધુ એક ચક્રવાત આવાની શક્યતા છે. અને તારીખ 8 જુન સુધીમાં અરબ સાગરમાં પણ ચક્રવાત થવાની શક્યતા રહે છે. જેના લીધી આહવા, ડાંગ સહિત દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ રહેશે. આ દિવસોમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શકયતા છે. મે મહિનામાં ભારે આંધી વંટોળ અને વરસાદ ગાજવીજ સાથે થવાની શક્યતા દેખાઈ રહી છે. તો 8 મે બાદ વાતાવરણમાં આંધી વંટોળનું પ્રમાણ વધશે. જેની અસર બાગાયતી પાકો પર વધુ થશે. 

તેમણે વધુમાં કહ્યું કે, 8 મી જુનથી સાગરમાં પવનોની અદલાબદલી થવાની શક્યતા રહે છે. તેથી મે મહિનાની 20 તારીખ પછી આંદામાન ટાપુ પર ભારે વરસાદની શક્યતા રહેશે. કેરળ કાંઠે ૨૮ મેથી વરસાદની શક્યતા રહેશે. અને 3 જુન થી 8 જુન વચ્ચે કેરળમાં ચોમાસું બેસી જવાની હાલ વાતાવરણની સ્થિતિ જોવા મળી રહે છે. 

આમ, એટલે કે ફરી એકવાર ગુજરાતમાં માવઠું ખેડૂતોનો પાક બગાડશે. જોકે, આ વચ્ચે સારી બાબત એ છે કે, લોકોને કાળઝાળ ગરમીથી મુક્તિ મળશે. સતત વાદળછાયા વાતાવરણ અને માવઠાથી વાતાવરણ ઠંડુ રહેશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news