મારી નાંખે છે વ્યાજખોરી! ગુજરાતમાં દેવું ભરી ન શકતાં આટલા લોકોએ કરી આત્મહત્યા, ભયંકર છે આંકડા

Money Lender : દેવા તળે દબાયેલા લોકો હવે આત્મહત્યા કરવા મજબૂર બની રહ્યાં છે, એક તરફ ગુજરાત જ્યાં સમૃદ્ધિ તરફ આગળ વધી રહ્યો છે ત્યાં વ્યાજખોરોનો આતંક પણ વધી રહ્યો છે.. 5 વર્ષમાં કેસોમાં 90 ટકાનો વધારો થયો છે  

મારી નાંખે છે વ્યાજખોરી! ગુજરાતમાં દેવું ભરી ન શકતાં આટલા લોકોએ કરી આત્મહત્યા, ભયંકર છે આંકડા

Money Lender Gujarat News : વ્યાજખોરો સામે ગુજરાત સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. રાજ્ય સરકારે કડક નિયમો બનાવ્યા છે, તેની સામે જોઈએ તો વ્યાજખોરીનું વૃક્ષ હવે વટવૃક્ષ બની ગયું છે. જેને સહેલાઈથી કાબૂમાં લેવું સરકાર માટે પણ આસાન નથી. ગુજરાત સરકાર દ્વારા આગામી ૧૦૦ દિવસમાં ગેરકાયદે વ્યાજ વસુલતા વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી કરવાની જાહેરાત કરી છે. પરંતુ હકીકત એ છે કે, ત્યા સુધી કેટલાય લોકો આત્મહત્યા કરી ચૂક્યા છે. દેવું-વ્યાજના ખપ્પરમાં આત્મહત્યા કરનારાના પ્રમાણમાં સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં દેવાના બોજને કારણે 512 વ્યક્તિએ આત્મહત્યા કરી છે. જેના પગલે સરકાર હવે કાયદેસરની કાર્યવાહી કરવાના મૂડમાં છે. વ્યાજખોરો વ્યાજનું વ્યાજ લઈને મૂળ મૂડી કરતાં અનેકઘણી રકમ પડાવી લેતા હોય છે આમ છતાં એમની મૂળ રકમ તો ઉભી જ હોય છે. આમ વ્યાજે લેનાર વ્યાજ ભરીને થાકી જાય પણ એ રૂપિયા ઘટતા નથી. આમ આખરે આત્મહત્યા કરી લે છે. આ પ્રકારના કેસો વધતા સરકાર એક્ટિવ થઈ છે. 

ગુજરાતમાં દેવાના બોજને લીધે આત્મહત્યા
વર્ષ          પુરુષ        મહિલા
૨૦૧૭        ૭૪            ૦૮
૨૦૧૮        ૬૫            ૦૨
૨૦૧૯        ૭૮            ૦૩
૨૦૨૦       ૧૧૭           ૦૭
૨૦૨૧       ૧૪૭           ૧૧

નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરોના અહેવાલ પ્રમાણે વર્ષ ૨૦૧૭માં ૭૪ પુરુષ-૮ મહિલા એમ ૮૨ વ્યક્તિએ દેવાના બોજને લીધે આત્મહત્યા કરી હતી. દેવાના બોજને લીધે આત્મહત્યા કરનારાઓનું પ્રમાણ ૨૦૨૧માં વધીને ૧૫૮ થઇ ગયું છે. આમ, પાંચ વર્ષમાં દેવાના બોજને લીધે આત્મહત્યા કરનારાના પ્રમાણમાં ૯૦ ટકાથી વધુનો વધારો થયો છે.  વર્ષ ૨૦૨૧માં દેવાના બોજને લીધે સૌથી વધુ લોકોએ આત્મહત્યા કરી હોય તેમાં મહારાષ્ટ્ર (૧૫૩૫) સાથે મોખરે, તેલંગાણા (૧૩૮૫) સાથે બીજા, કર્ણાટક (૧૨૭૭) સાથે ત્રીજા જ્યારે ગુજરાત સાતમાં સ્થાને છે.

ખાલી  ગુજરાતના શહેરોની વાત કરીએ તો મોટા શહેરોમાં આ ચૂંગાલ જબરદસ્ત પથરાયેલી છે. વર્ષ ૨૦૨૧માં મોટા શહેરમાં દેવાના બોજ-નાદારીને લીધે વડોદરામાંથી સૌથી વધુ ૭, અમદાવાદમાંથી ૩ વ્યક્તિએ આત્મહત્યા કરી છે. જ્યારે રાજકોટ-સુરતમાં દેવાને લીધે એકપણ વ્યક્તિએ આત્મહત્યા નહીં કરી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર દેશમાં વર્ષ ૨૦૨૧માં દેવાને લીધે કુલ ૬૩૬૧ વ્યક્તિએ આત્મહત્યા કરી છે.

રાજ્યમાં બેફામ બનેલા વ્યાજખોરોની હવે ખેર નથી. સરકારે આવા તત્વો સામે કાર્યવાહી માટે કમર કસી છે. પોલીસ એક સપ્તાહ માટે વ્યાજખોરો સામે રાજ્યવ્યાપી ઝુંબેશ શરૂ કરી રહી છે. જેના ભાગરૂપે પોલીસ સામે ચાલીને ફરિયાદીઓ પાસે જશે. વ્યાજખોરો સામે ફરિયાદ કરવા સરકારે લોકોને અપીલ પણ કરી છે. વ્યાજખોરોની ચુંગાલમાં ફસાઈને અનેક પરિવારો બરબાદ થઈ ચૂક્યા છે. આ અસામાજિક તત્વોના આતંકથી કંટાળીને ઘણા લોકોએ પોતાનું જીવન પણ ટૂંકાવ્યું છે. જો કે હવે મોડે મોડેથી પણ તંત્ર જાગ્યું છે. રાજ્ય સરકારે વ્યાજખોરો સામે કાર્યવાહી માટે ઝુંબેશ શરૂ કરી છે. આ ઝુંબેશને સરકારે પોતાના પ્રથમ 100 દિવસના એેજન્ડામાં પણ સામેલ કરી છે.

આ પણ વાંચો : 

 

ગૃહ રાજય મંત્રી હર્ષ સંધવી એ જણાવ્યું છે કે, રાજયના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને વ્યાજખોરોની ચુંગાલમાંથી મુકત કરાવવવા માટે રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કર્યો છે.જેના ભાગરૂપે આજથી રાજયવ્યાપી લોકદરબારનું આયોજન કરાયું છે જેમાં રાજય પોલીસ દળના ઉચ્ચ અધિકારી ઓ નાગરિકોના પ્રશ્નો સાંભળીને તેના નિરાકરણ માટે સંનિષ્ઠ પ્રયાસો કરશે અને ગેરકાયદે વ્યાજ વસુલતા કસુરવારો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરશે. ગૃહ મંત્રી સંધવી એ ઉમેર્યું કે, રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આ ખાસ આયોજન કરવામાં આવી રહ્યું છે જેમા જરૂરતમંદ નાગરિકોને મહત્તમ લાભ લેવા રાજય સરકાર દ્વારા અપીલ કરાઈ છે.

સુરત પોલીસ દ્વારા ગેરકાયદે વ્યાજ વસુલતા વ્યાજખોરો વિરુદ્ધ મુહિમ ચલાવવામાં આવી હતી એને મળેલી સફળતાના પરિણામે હવે આ મોડલ ગુજરાતમાં લાગુ કરવામાં આવી રહ્યું છે. ગુજરાતભરમાં પોલીસ દ્વારા વ્યાજખોરો (Money Lender) વિરુદ્ધ એક ખાસ મુહિમ શરુ કરવામાં આવી છે. 

ગુજરાતના તમામ જિલ્લાઓમાં ગુજરાત પોલીસ દ્વારા છેલ્લા એક સપ્તાહથી જે વ્યાજખોરો સામે એક મુહિમ ચાલુ કરવામાં આવી છે અને આ મુહિમમાં ગુજરાતના તમામ વિસ્તારોમાં આ મુહિમ થકી ગુજરાતના અનેક પરિવારો ને આ વ્યાજખોરોના ત્રાસમાં થી મુક્ત થવાની એક તક પુરી પાડી છે. આવનારા એક અઠવાડિયામાં આ મુહિમ વધુ ઝડપી અને વેગવાન બનાવીને અસરકારક રીતે અમલી કરાશે. આ માટે રાજયના તમામ જિલ્લાના પોલીસ અધિકારીઓને ખાસ ધ્યાન કેન્દ્રિત કરવા તેમણે સૂચનાઓ પણ આપી છે.

શું છે સરકારનો પ્લાન
રાજ્ય સરકારે પોલીસને આપેલી સૂચના પ્રમાણે પોલીસ સોમવારથી એક સપ્તાહ માટે ઝુંબેશ ચલાવશે, જેના ભાગરૂપે પોલીસ વ્યાજખોરોના ત્રાસનો સામનો કરતા લોકો સમક્ષ જશે...ત્યારબાદ લોક દરબાર યોજીને તમામની ફરિયાદ લેવામાં આવશે. ફરિયાદના આધારે વ્યાજખોરો સામે કાર્યવાહી કરવામાં આવશે. પોલીસે વ્યાજખોરો સામે ઝુંબેશ શરૂ કરતા હવે પીડિતો પણ સામે આવી રહ્યા છે. સુરેન્દ્રનગરમાં જ 20 થી વધુ લોકોએ વ્યાજખોરો સામે ફરિયાદ કરી છે. જિલ્લા પોલીસ વડા પોતે ફરિયાદ લઈ રહ્યા છે. સુરત શહેરમાંથી આવેલી ફરિયાદોના આધારે ક્રાઈમ બ્રાંચે 16 વ્યાજખોરોની ધરપકડ કરી છે. આ તમામ વ્યાજખોરો કોઈ પણ પ્રકારના લાયસન્સ વિના વ્યાજ વટાવનો ધંધો કરીને લોકો પાસે ઉંચુ વ્યાજ વલૂસતા હતા. કોઈ પણ જામીનગીરી વિના ધિરાણ આપતા હોવાથી લોકો વ્યાજખોરો પાસેથી ધિરાણ લેતા હોય છે..જો કે આ ધિરાણના વ્યાજનું વિષચક્ર ક્યારેય અટકતું નથી...લોકોને તો ખબર જ નથી હોતી કે તેઓ મૂળ ધિરાણની કેટલા ગણી રકમ પરત ચૂકવી ચૂક્યા છે..વ્યાજખોરો ધાકધમકી આપી પૈસા ઉઘરાવતા રહે છે.

વ્યાજખોરોના ત્રાસથી કેટલાક લોકોએ તો જીવન પણ ટૂંકાવ્યું છે, જે દેખાડે છે કે સમાજમાં વ્યાજખોરોનું દૂષણ કઈ હદ સુધી વ્યાપેલું છે. લોકોએ આવા તત્વોથી ચેતી જવાની જરૂર છે. પોલીસે પણ વ્યાજખોરો સામે આકરી કાર્યવાહી કરવાની જરૂર છે, જેથી આવા અસામાજિક તત્વોમાં દાખલો બેસે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news