કોરોનાને કારણે ભીડમાં જવાની બીક લાગે છે? ક્યાંક તમે આ રોગના શિકાર તો નથી થયા ને?

કોરોનાને કારણે ભીડમાં જવાની બીક લાગે છે? ક્યાંક તમે આ રોગના શિકાર તો નથી થયા ને?
  • કોરોના થયેલ વ્યક્તિને તથા જેમના ઘરમાં કોરોનાથી કોઈનું મૃત્યુ થયું હોય તેવા લોકો ડેમોફોબિયાથી પીડાવા લાગ્યા છે
  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વિદ્યાર્થીની દ્વારા એક સરવે કરાયો, જેમાં 60 ટકા લોકોએ કહ્યુ કે તેમને ભીડમાં જવાની બીક લાગે છે 

ઝી મીડિયા/બ્યૂરો :વર્તમાનપત્ર અને ટીવીમાં જોઈએ છીએ કે લોકો પ્રવાસના સ્થળે ઉમટી પડ્યા છે અને લોકોએ ભેગા થવાનું શરૂ કર્યું છે. પણ જેના ઘરમાં લોકોએ કોરોના ભોગવ્યો અને કોઈનું મૃત્યુ થયું તે પરિવારનું દર્દ અલગ છે. તેઓ આજે પણ ભયના ઓથાર હેઠળ જીવતા હોય છે. ગુગલ ફોર્મના માધ્યમ દ્વારા એવા લોકો પાસેથી જેમના ઘરમાં
કોરોના આવ્યો હોય અથવા કોઈનું મૃત્યુ થયું હોય તેવા લોકો પાસેથી માહિતી એકઠી કરવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીની ભટ્ટ કર્તવી એ ડો. ધારા આર.દોશીના માર્ગદર્શન માં ગુગલફોર્મ દ્વારા 621 લોકો પાસેથી માહિતી એકઠી કરી. પ્રશ્નો જે પૂછવામાં આવ્યા હતા તે નીચે મુજબ હતા.

  • કોરોના સમય પહેલા તમને ભીડમાં જવું અને લોકો સાથે રહેવું ગમતું હતું?

જેમાં 77.8% એ હા અને 22.2% એ ના કહ્યું

  • શુ હવે ક્યારેક 10થી 15 લોકો ભેગા થયા હોય ત્યાં જતા પણ ભય લાગે છે?

જેમાં 60% એ હા અને 40% એ ના કહ્યું

  • ભીડમાં જવાનું તમે ટાળો છો?

જેમાં 85.2% એ હા અને 14.8% એ ના કહ્યું

  • કોઈ દુકાનમાં ખરીદી કરવા જાવ અને 2 કે 3 ગ્રાહક હોય તો પણ ત્યાં જવાનું ટાળો છો?

જેમાં 51.9% એ હા અને 48.1% એ ના કહ્યું

  • ફરવા જવામાં કે કોઈના ઘરે જવામાં ભય લાગે છે?

જેમાં 65% એ હા અને 35% એ ના કહ્યું

  • તમારા ઘરે કોઈ મહેમાન આવે તો ભય લાગે છે?

જેમાં 55.6% એ હા અને 44.4% એ ના કહ્યું

  • ભીડવાળી જગ્યાએ જતા શ્વાસ લેવામાં પણ ક્યારેક તકલીફ પડે છે?

જેમાં 70.4% એ હા અને 29.6% એ ના કહ્યું

  • વર્તમાન પત્રમાં ભીડ જોતા કોરોનાના વિચાર આવવા લાગે છે?

જેમાં 51.9% એ હા અને 48.1% એ ના કહ્યું

  • ભીડ જોતા ગુસ્સો કાબુમાં ન રહેતો હોય એવું લાગે છે?

જેમાં 66.7% એ હા અને 33.3% એ ના કહ્યું

  • શુ ભીડને કારણે માર્કેટમાં જવાનું બંધ કર્યું છે?

જેમાં 63% એ હા અને 37% એ ના કહ્યું

  • ભીડના ભયને લીધે ઓનલાઈન ખરીદી શરૂ કરી છે?

જેમાં 55.6% એ હા અને 44.4% એ ના કહ્યું 

શુ છે ડેમોફોબિયા?

ગ્રીક ભાષામાં ડેમો એટલે ભીડ અને ફોબિયા એટલે ડર. ડેમોફોબિયા (demophobia) એટલે ભીડનો ભય. જેને બીજા એન્કોલોફોબિયાના નામથી પણ ઓળખાય છે. હાલ કોરોના કાળ ઘણા લોકો ડેમોફોબિયા એટલે કે ભીડના ભયનો ભોગ બન્યા છે. આ ફોબિયાથી પીડાતા લોકો ભીડ અથવા લોકોને જોઈને અકારણ અને અતાર્કિક ભયનો અનુભવ કરે છે. ઉપરાંત ભીડને જોઇને ચિંતાનો અનુભવ કરે છે. ડેમોફોબિયાની પ્રતિક્રિયા શારીરિક તેમજ માનસિક બંને જોવા મળે છે.

લક્ષણો

  1. ભીડને જોઈ ને છાતીમાં દુખાવો થવો, શ્વાસ ચડવો કે શ્વાસ ઝડપી થવો.
  2. હૃદયના ધબકારા વધી જવા
  3. શરીરમાં ધ્રુજારી આવવી
  4. પરસેવો વળવો
  5. ગભરામણ થવી
  6. અસ્વસ્થતાનો અનુભવ થવો
  7. વધારે ચિંતાનો અનુભવ થવો
  8. ભીડને જોઇને અકારણ ભય લાગવો
  9. પોતાની લાગણીઓ કે વાત ને રજૂ ન કરી શકે
  10. એકાંત વધારે ગમે

આ પણ વાંચો : ગુજરાતનું એક એવું શહેર કે જયાં રસ્તા પર આડા નહિ પણ ઉભા સ્પીડ બ્રેકર છે

શુ છે આ પાછળના કારણો

ડેમોફોબિયા પાછળ ઘણાં કારણો જવાબદાર હોય શકે છે જેમકે કોઈ ઘટના કે બનાવ, મગજના રસાયણોમાં ખામી વગેરે. હાલના સમયે કોરોના જેવા રોગના કારણે લોકો, લોકોથી દૂર થયા છે. લોકો સાથે મળવાથી કે વધારે લોકોને જોઈને ઘણા લોકોને ચિંતાનો કે ગભરામણનો અનુભવ થાય છે. જેથી ઘણા લોકો આ સમયે ડેમોફોબિયાનો ભોગ બન્યા છે. છેલ્લા દોઢ વર્ષથી ઘણા લોકો કોરોનાને કારણે આખો દિવસ ઘરમાં રહેતા થયા છે, ઘરે બેસીને કામ કરતા થયા છે, બાળકો શાળાએ જતા કે શેરીમાં રમવા જતા અટકી ગયા છે અને ઘરમાં પુરાયા છે. વૃદ્ધો જે પોતાની ઉંમરના લોકો સાથે બેસીને સત્સંગ કરતા કે મંદિરે જતા એ પણ ઘરમાં પુરાયા છે. ગૃહિણીઓ પણ જે પોતાની સહેલીઓ કે પરિવાર સાથે બહાર જતી તેના બદલે ઘરમાં પુરાઈ ગઈ છે. આ બધી બાબતો ડેમોફોબિયાને પ્રેરે છે. આ સિવાય ટેલિવિઝન, સોશિયલ મીડિયા, મેગેઝિન, ન્યુઝ પેપર, ફોનની કલરટયુનમાં, રસ્તાઓ પરના સ્પિકરોમાં વગેરે જગ્યાઓએ સતત સોશિયલ ડિસ્ટન્સના નિયમને પાલન કરવાનો સંદેશ મળે છે. ઉપરાંત વધારે લોકો ભેગા થાય તો તેની સજા આપવામાં આવે છે. વગેરે બાબતોની ઊંડી અસર મગજ પર પડે છે જે ડેમોફોબિયા જેવા અસાધારણ અને અતાર્કિક ભયને પ્રેરે છે.

આવા અસાધારણ ભયનો અર્થ એ નથી કે જે વ્યક્તિ નબળી છે અથવા ગાંડી છે. આથી આવું કંઈ જ ન વિચારતા યોગ્ય સમયે યોગ્ય નિષ્ણાતની સલાહ અને મદદ લેવી એ ખૂબ જરૂરી છે. મનોવૈજ્ઞાનિક, સલાહકાર કે મનોચિત્સકની સલાહ કોઈ જ સંકોચ વગર લેવી એ ખૂબ જરૂરી છે. ડેમોફોબિયા એ વ્યક્તિના રોજિંદા કાર્યોમાં પણ ખલેલ પહોંચાડે છે. શાળા, ઓફિસ, સામાજિક મેળાવડો વગેરે જગ્યાએ વ્યક્તિ અસમર્થતા અનુભવે છે. પોતાનું કાર્ય કે ફરજ યોગ્ય રીતે નિભાવી શકતા નથી. આથી નિષ્ણાંતની મદદ જરૂરી બને છે.

ભીડનો ભય અન્ય ઘણી સમસ્યાઓનો પણ પ્રેરે છે. જેમ કે, મૂડ ડિસઓર્ડર (મનોદશા વિકૃતિ), ઉદાસીનતા, અસ્વસ્થતા અને આત્મઘાતી વિચારધારા સહિત સામાજિક એકલતા, સંબંધોમાં એકલતા અને અનેક સમસ્યાઓ તરફ દોરી જાય છે. ઘણી વખત વ્યક્તિ પોતાના ભયને ઓછો કરવા દારૂ અથવા માદક દ્રવ્યો સાથેના પદાર્થોના દુરૂપયોગ માટે પણ પ્રેરાય છે.

તેનો ઉપચાર શું...

મનોવિજ્ઞાનના ડેમોફોબિયા દૂર કરવા માટે અનેક તકનીકોનો ઉપયોગ થાય છે. ખાસ કરીને ટોક થેરાપી ( Talk therapy ) દ્વારા ઝડપી પરિણામ મેળવી શકાય છે. આ સિવાય કાઉન્સેલિંગ દ્વારા વ્યક્તિની ભીડ પ્રત્યેની પ્રતિક્રિયા, વિચારધારા, માન્યતા, પૂર્વગ્રહો વગેરે ને બદલવાનો પ્રયત્ન કરવામાં આવે છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news