ધો.10ની પરીક્ષામાં પહેલા દિવસે જ શિક્ષણ બોર્ડે વાટ્યો ભાંગરો! બરકત વીરાણીના મુક્તકને રઈશ મણિયારના નામે છાપ્યું

SSC બોર્ડની પરીક્ષાનું પેપર કાઢનારા શિક્ષકે બરકત વીરાણીના મુક્તકને રઈશ મણિયારના નામે છાપ્યું છે જેના કારણે લાખો વિદ્યાર્થીઓ પહેલા પેપરમાં જ પોતાને મળેલા વિકલ્પથી વંચિત રહી ગયા છે.

ધો.10ની પરીક્ષામાં પહેલા દિવસે જ શિક્ષણ બોર્ડે વાટ્યો ભાંગરો! બરકત વીરાણીના મુક્તકને રઈશ મણિયારના નામે છાપ્યું

અતુલ તિવારી/અમદાવાદ: ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં પહેલા દિવસે જ લાખો વિદ્યાર્થીઓને 4 ગુણનું નુકસાન થયું છે. જેના કારણે શિક્ષણ બોર્ડ સામે અનેક સવાલો ઉઠ્યા છે. ગુજરાતીના પેપરમાં બરકત વીરાણીનું મુક્ત રઈશ મણિયારના નામે પૂછાતાં વિદ્યાર્થીઓને મળેલો 4 ગુણનો વિકલ્પ છીનવાયો છે. ધોરણ 10ની પરીક્ષામાં પહેલા દિવસે જ ગુજરાત શિક્ષણ બોર્ડે મોટો ભાંગરો વાટીને લાખો વિદ્યાર્થીઓનું ટેન્શન વધારી દીધું છે. જી હા... ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું ગુજરાતીનું પેપર કાઢનારા પેપર સેટરે 4 ગુણના પ્રશ્નમાં મોટો છબરડો વાળ્યો છે. 

SSC બોર્ડની પરીક્ષાનું પેપર કાઢનારા શિક્ષકે બરકત વીરાણીના મુક્તકને રઈશ મણિયારના નામે છાપ્યું છે જેના કારણે લાખો વિદ્યાર્થીઓ પહેલા પેપરમાં જ પોતાને મળેલા વિકલ્પથી વંચિત રહી ગયા છે. જ્યારે કે આ ભૂલ સ્પષ્ટપણે પેપર સેટર અને ગુજરાતનું પેપર ક્રોસ ચેક કરનારા તજજ્ઞોની છે. ધોરણ 10ના ગુજરાતીના પેપરમાં પેપરમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે 'સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી...' માં રઈશ મણિયાર શુ કહેવા માંગે છે?

વિદ્યાર્થીઓએ જ્યારે આ સવાલ જોયો ત્યારે તેઓ ખુદ અસમંજસમાં મુકાઈ ગયા કેમ કે, 'સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી...' મુક્તક બેફામ ઉપનામથી જાણીતા બરકત વીરાણીનું છે અને પેપર કાઢનારા તજજ્ઞોએ આ મુક્ત રઈશ મણિયારના નામે ચડાવી દીધું છે. બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ માટે દરેક ગુણ મહત્વનો હોય છે ત્યારે શિક્ષણ બોર્ડે ચાર ગુણનો સવાલ ભૂલભરેલો પૂછીને લાખો વિદ્યાર્થીઓને તેમના વિકલ્પથી વંચિત રાખી દીધા છે. 

ઝી 24 કલાકના સંવાદદાતાએ પણ જ્યારે ધોરણ 10નું ગુજરાતીનું પુસ્તક જોયું તો તેમાં 145મા પેજ નંબર પર 23મું પ્રકરણ છાપવામાં આવ્યું છે. તેમાં 'સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી...' મુક્ત બરકત વીરાણીનું હોવાનું જોવા મળ્યું છે પરંતુ પેપર કાઢનારા મહાશયોએ આ મુક્તને રઈશ મણિયારના નામે પૂછ્યું છે. તો ધોરણ 10 બોર્ડના ગુજરાતીના પેપરમાં જ મોટો છબરડો થયો છે અને પેપર સેટર તેમજ પેપર ક્રોસચેક કરનારા તજજ્ઞોનું અજ્ઞાન જાહેરમાં
છતું થયું છે. વિદ્યાર્થીઓને આ 4 ગુણ કેવી રીતે મળશે તેની સ્પષ્ટતા જરૂરી છે. 

શું ગુજરાત શિક્ષણ બોર્ડ આ ચાર ગુણની સ્પષ્ટતા કરશે. જો વિદ્યાર્થીઓથી ભૂલ થાય તો તેમને ગુણ કપાતની સજા મળે છે, શું પેપર કાઢનારા મહાશયોને શિક્ષણ બોર્ડ કોઈ એવી સજા આપશે. જેથી લાખો વિદ્યાર્થીઓનું ચાલુ પરીક્ષામાં ફરીથી ક્યારેય ટેન્શન ના વધે અને તેઓ 100 ગુણના પેપરમાં 4 ગુણથી વંચિત ના રહી જાય.

ઉલ્લેખનીય છે કે, ધોરણ 10ની ભાષાની પરીક્ષામાં પ્રથમ દિવસે 7,94,003 માંથી 7,74,343 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં સવારે સહકાર પંચાયતની પરીક્ષામાં 961માંથી 952 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. સામાન્ય પ્રવાહમાં નામાનાં મૂળતત્વોની પરીક્ષામાં 2,27,191 માંથી 2,24,851 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. ધોરણ 12 ભૌતિક વિજ્ઞાનના પેપરમાં 1,27,071 માંથી 1,25,286 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. આજે લેવાયેલી બોર્ડની પરીક્ષામાં વડોદરા ખાતેથી ધોરણ 10માં એક કોપી કેસ નોંધાયો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news