હત્યાનો ભેદ ઉકેલાયો! પતિએ પત્નીની લાશ ડ્રમમાં ભરી અને માતાજીનો પૂજાપાનો સામાન કહીને ચાર મજૂરો પાસેથી ઉઠાવી

Murder Mystery : સુરતમાં પ્લાસ્ટિકના બેરેલની અંદરથી મળી આવેલ મહિલાની લાશ ભેદ ઉકેલાયો, પતિએ તેની પત્નીનું ગળેટુંપો આપી હત્યા કરી હતી  

હત્યાનો ભેદ ઉકેલાયો! પતિએ પત્નીની લાશ ડ્રમમાં ભરી અને માતાજીનો પૂજાપાનો સામાન કહીને ચાર મજૂરો પાસેથી ઉઠાવી

Surat Crime News પ્રશાંત ઢીવરે/સુરત : સુરતના ભેસ્તાન પોલીસ મથકની હદમાં ભાણોદ્રા ગામની સીમમાં પ્લાસ્ટિકના બેરેલની અંદરથી એક મહિલાની લાશ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. આ બનાવનો ભેદ ભેસ્તાન પોલીસે ઉકેલી કાઢ્યો છે. મહિલાની હત્યા અન્ય કોઈએ નહી પરંતુ તેના જ પતિએ કરી હોવાનું બહાર આવ્યું છે. પતિએ તેની પત્નીનું ગળેટુંપો આપી હત્યા કર્યા બાદ પ્લાસ્ટિકના બેરેલમાં લાશ મુકીને તેમાં ઉપરથી સિમેન્ટ નાખી દીધી હતી અને બે દિવસ સુધી પોતાના જ ઘરમાં લાશ મૂકી રાખી હતી.

ડ્રમ કાપતા મહિલાની કોહવાયેલી લાશ મળી હતી
ગત ૨ જુલાઈ ૨૦૨૪ના રોજ સુરતના ભેસ્તાન પોલીસ મથકની હદમાં ભાણોદ્રા ગામની સીમમાં સચિનથી ડીંડોલી જતા કેનાલ રોડની સાઈડમાં એક પ્લાસ્ટિકના ડ્રમમાંથી લાશ મળી આવતા ચકચાર મચી હતી. બનાવની જાણ થતા પોલીસના અધિકારીઓ ઘટના સ્થળે પહોચ્યા હતા. ડ્રમમાં માથું અંદરની સાઇડ અને પગ બહારની સાઇડ હતા. ડ્રમ ખબૂ જ ભારે હતું અને ડ્રમની અંદર મૃતદેહ સાથે કપડાના ડૂચા, અને સિમેન્ટ પણ ભરવામાં આવ્યા હતા જેથી પોલીસે મૃતદેહ સહીત ડ્રમને સિવિલ હોસ્પિટલ લઇ ગયા હતા જ્યાં ડ્રમ કાપતા અંદરથી એક મહિલાનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ મામલે ભેસ્તાન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી અને સુરત ક્રાઈમ બ્રાંચની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી.

મૃતક મહિલાની ઓળખ કેવી રીતે થઈ
આ વિશે માહિતી આ પતા સુરત શહેર પોલીસ ડીસીપી રાજેશ પરમારે જણાવ્યું કે, મૃતક મહિલા કોણ છે અને આ ગુનાનો ભેદ ઉકેલવા માટે ભેસ્તાન પોલીસની અલગ અલગ ૬ ટીમ તેમજ ક્રાઈમ બ્રાંચની અલગ અલગ ૭ ટીમ બનાવવામાં આવી હતી અને બનાવવાળી જગ્યાની આજુબાજુના ૨૦૦ થી વધુ સીસીટીવી કેમેરા પોલીસ તપસ્યા હતા. આ ઉપરાંત ૫૦ થી વધુ સોસાયટીઓ ચેક કરી હતી. તથા ૨૦ થી વધારે લેબર કન્ટ્રકશન સાઈટ ચેક કરી હતી. દરમ્યાન પોલીસે જે બેરલમાંથી લાશ મળી હતી તેના ઉપર જી.એ.સી.એલ અને તેના પર બેચ નબર લખેલો હોય જે બેચ નબર આધારે કેમિકલનું બેરેલ સુરત ખાતેના વેચાણ સ્થળ અને ખાલી બેરેલ ભંગારમાં વેચાણ થાય તેવા ભંગારના ગોડાઉન આજુબાજુના સીસીટીવી કેમેરા પણ તપસ્યા હતા.

આડા સંબંધોની શંકામાં હત્યા કરી 
દરમ્યાન પોલીસને આ ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી. આ બનાવમાં પોલીસે કનકપુર કંસાડ રોડ પાસે રહેતા સંજય કરમશીભાઈ પટેલ (ઉંમર 45 વર્ષ) ને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પૂછપરછ કરતા મૃતક મહિલાનું નામ ધર્મિષ્ઠા કાંતિભાઈ ચૌહાણ છે અને તે તેની પત્ની હોવાનું જણાવ્યું હતું. અને તેની પત્નીનો કોઈની સાથે અનૈતિક સબંધ હોવાની તેને શંકા વહેમ હતો, જેથી ઝઘડો થતા એકલતાનો લાભ લઇ તેની પત્નીને પોતાના ઘરે દુપટા વડે ગળેટુંપો આપી તેની હત્યા કરી હતી અને બાદમાં પ્લાસ્ટિકના બેરેલમાં મૂકી તેના ઉપર સિમેન્ટ નાંખી બે દિવસ સુધી પોતાના ઘરમાં મૂકી રાખી હતી. ત્યારબાદ અવાવરું જગ્યા ઉપર નાંખી ગયેલ હોવાની આરોપીએ કબુલાત કરી હતી.

માતાજીનો પૂજાપાનો સામાન કહી ડ્રમનો નિકાલ કર્યો
ડીસીપી રાજેશ પરમારએ જણાવ્યું હતું કે આરોપી સંજય કરમશીભાઈ પટેલ તેની પત્ની સાથે શંકા વહેમ રાખતો હતો, જેને લઈને બંનેને બોલાચાલી થતા ઘરમાં દુપટાથી ગળું દબાવી દીધું હતું. ત્યારબાદ ડ્રમ અને 50 કિલોની સિમેન્ટની થેલી લાવ્યો હતો અને બાદમાં તેણે બહારથી માણસો બોલાવીને કહ્યું હતું કે આ માતાજીનો પૂજાપાનો સમાન છે તેને પાણીમાં પધરાવવું છે. તેમ કહીને ૪ મજૂરો અને ટેમ્પાને બોલાવીને ભાણોદ્રા ગામની સીમમાં નિકાલ કર્યો હતો

વધુમાં આરોપી પતિએ જણાવ્યું હતું કે આરોપી કોઈ કમાતો ના હતો અને થોડી એને શારીરિક તકલીફ પણ હતી અને પત્ની સાથે અવાર નવાર ઝઘડાઓ થતા ગુસ્સે તેણે આ કર્યું હતું. પછી તેણે લાશનો નિકાલ કરવા જાતે વિચારી આ આ રીતનું પગલુ ભરેલું છે. તેના ઘરે પાણીની તકલીફ હોવાથી તે એક દિવસ પહેલા ડ્રમ લાવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું. અને તેમાં લાશ મુકીને સિમેન્ટ નાંખીને નિકાલ કર્યો હતો. વધુમાં જણાવ્યું હતું કે ડ્રમની ઉપર બેચ નબર હોય અને પોલીસે તેના પર પહેલા દિવસથી ધ્યાન કેન્દ્રિત કરીને તેના પરથી આ ગુનાનો ભેદ ઉકેલાયો હતો અને મહિલાની ઓળખ પણ ત્યારબાદ જ થઇ હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news