નવરાત્રિમાં ખેલૈયાઓના હ્રદયનું રખાશે ખાસ ધ્યાન; એક્શન પ્લાન તૈયાર, રેડ ક્રોસે બાજી હાથમાં લીધી!

નવરાત્રમાં ગરબા રમતા ખેલૈયાઓને હૃદય રોગના હુમલાને કારણે જીવ ગુમાવવા ન પડે, એ માટે નવસારી રેડ ક્રોસ દ્વારા ગરબા આયોજકોને CPR તાલીમ આપવાની શરૂઆત કરવામાં આવી છે. જેના થકી સમયે CPR મળી જાય, તો હૃદયને ધબકતું કરીને જીવન બચાવવાનો પ્રયાસ થઇ શકે.

નવરાત્રિમાં ખેલૈયાઓના હ્રદયનું રખાશે ખાસ ધ્યાન; એક્શન પ્લાન તૈયાર, રેડ ક્રોસે બાજી હાથમાં લીધી!

ધવલ પરીખ/નવસારી: જીવનમાં હ્રદયનું વ્યવસ્થિત ધબકવું તમને સ્વસ્થ રાખે છે. પરંતુ હૃદયના ધબકારામાં વધ ઘટ થાય તો જીવન મોતની નજીક પહોંચી જાય છે. ત્યારે કોરોના બાદ ઘણા બાળકો અને યુવાનો અચાનક હૃદય ઉપર થતા દબાણને કારણે પળવારમાં મોતને ભેટ્યા છે. જેથી નવરાત્રમાં ગરબા રમતા ખેલૈયાઓને હૃદય રોગના હુમલાને કારણે જીવ ગુમાવવા ન પડે, એ માટે નવસારી રેડ ક્રોસ દ્વારા ગરબા આયોજકોને CPR તાલીમ આપવાની શરૂઆત કરવામાં આવી છે. જેના થકી સમયે CPR મળી જાય, તો હૃદયને ધબકતું કરીને જીવન બચાવવાનો પ્રયાસ થઇ શકે.

કોરોના કાળ બાદ ગુજરાતમાં હૃદય રોગના હુમલાને કારણે જીવ ગુમાવવાની ઘટનાઓ વધી છે. નવસારી જિલ્લામાં પણ હૃદય ધબકતું અટકી જતા બે વિદ્યાર્થી સહિત અંદાજે 5 લોકો મોતને ભેટ્યા હતા. જેમાં પણ હાલમાં ગરબા ક્લાસીસમાં કે કોઈ પ્રસંગે ગરબા રમતી વેળાએ હૃદય ઉપર દબાણ વધતાં યુવાનોના અવસાન થયા હોવાની ઘટનાઓ સામે આવતા, સરકાર પણ ચિંતિત બની છે. જેમાં ખાસ કરીને હૃદયની તકલીફ હોય એવા લોકોએ દબાણ પડે એ રીતે ગરબા ન રમવા અને નવરાત્ર મહોત્સવનું આયોજન કરનારા આયોજકોને પણ ગરબા સ્થળે એમ્બ્યુલન્સ તેમજ હૃદયરોગ નિષ્ણાંત ડોકટર અથવા તેને સમકક્ષ મેડીકલ ટીમ રાખવા માર્ગદર્શિકા જાહેર કરી છે. 

ત્યારે નવસારી રેડ ક્રોસ દ્વારા ગરબાના મોટા આયોજનો કરતા આયોજકોનો સંપર્ક કરી, જ્યારે ગરબા રમતા ખેલૈયાઓને અચાનક હૃદય રોગનો હુમલો આવે, ત્યારે શું ધ્યાને રાખવું અને CPR તેમજ મોંઢાથી શ્વાસ કેવી રીતે આપવા એની તાલીમ આપવામાંની શરૂઆત કરવામાં આવી છે. જેમાં આજે નવસારીના BR ફાર્મ સ્થિત બૃહદ અનાવિલ સમાજ દ્વારા યોજનારી શિવાંજલી નવરાત્રના 50 થી વધુ સ્વયંસેવકોને CPR તાલીમ આપી હતી.

અનાવિલ સમાજનાં યુવાનોએ આજે CPR તાલીમમાં ઉત્સાહથી ભાગ લીધો હતો.જેમાં ગરબા દરમિયાન કોઈ ખેલૈયાને હૃદય પર દબાણ આવતા ગરબા રમતા ઢળી પડે, તો તેની સ્થિતિ તપાસવાથી લઈ, જો હૃદય બંધ થયુ હોય, તો 4 મિનીટની અંદર છાતીમાં એક ચોક્કસ જગ્યાએ 40 વાર CPR આપવામાં આવે અથવા જરૂરે મોઢેથી શ્વાસ આપવાની પ્રેક્ટીકલ તાલીમ મેળવી હતી. તાલીમ મેળવેલા સ્વયંસેવકોની ટીમ નવરાત્ર દરમિયાન એક્ટિવ રહેશે, સાથે જ મેડીકલ ટીમ અને એમ્બ્યુલન્સની વ્યવસ્થા પણ કરવામાં આવશે. જેથી ગરબાની મજા જળવાયેલી રહે અને કોઈને હૃદય રોગનો હુમલો આવે તો સમયે સારવાર મળી રહે. 

લોકોમાં બેઠાળું જીવન સાથે જ ફાસ્ટ ફૂડની પડેલી આદતને કારણે ચરબી અને બેડ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધવાથી હૃદય રોગના હુમલાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે સતર્કતા રાખીને તાલીમબદ્ધ લોકો સમયે હૃદયને ધબકતું કરે તો જીવન બચાવી શકાય છે. ત્યારે નવસારી રેડ ક્રોસની પહેલ નવરાત્રમાં અનેક જિંદગીઓ માટે આશિર્વાદ રૂપ બની રહેશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news