પતિએ ભાડૂતી હત્યારા બોલાવી પત્નીની કરી હત્યા, નોધારા બની ગયા 3 બાળકો

પોલીસ તપાસમાં મહિલાની હત્યા થઈ હોવાનું સામે આવતા પોલીસે મહિલાના પતિ,સાસુ અને અન્ય 2 લોકોની અટકાયત કરી અને રિમાન્ડ મેળવ્યા હતા.

પતિએ ભાડૂતી હત્યારા બોલાવી પત્નીની કરી હત્યા, નોધારા બની ગયા 3 બાળકો

અલકેશ રાવ, બનાસકાંઠા: પાલનપુર તાલુકાના ઉત્તમપુરા (મલાણા) ગામે પતિએ ભાડૂતી હત્યારા બોલાવી પત્નીને મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી જવા પામી છે. ઉત્તમપુરા (મલાણા) માં ત્રણ સંતાનની જનેતાને ટૂંપો આપી હત્યા કરાતા ત્રણ બાળકો નોધારા બની ગયા છે. પતિ અને સાસુએ ભાગીયાઓની મદદથી મહિલાનું ઢીમ ઢાળી દેતા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી ચાર આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

પાલનપુર તાલુકાના ઉત્તમપુરા (મલાણા) ગામે પતિ તેમજ સાસુએ મળી ભાગીયાઓની મદદથી ત્રણ સંતાનની જનેતાને ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતારી હતી. ત્યારબાદ મહિલાની હત્યાને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કરતા મૃતક મહીલાના ભાઈએ તેના બનેવી મૃતકની સાસુ અને ત્રણ ભાગીયા સહીત પાંચ વ્યક્તિ સામે પાલનપુર તાલુકા પોલીસ મથકે હત્યાનો ગુનો દાખલ કરાવતા પોલીસે ચાર આરોપીને ઝડપી પાડયા છે. જોકે પોલીસે મૃતક મહિલાના પતિ અને તેના હત્યારાઓના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે. 

ઘટનાની હકીકત જોઈએ તો પાલનપુર તાલુકાના મલાણા ગામના દેવજીભાઈ નરસુંગભાઈ ચૌધરીની બહેન ગીતાબેનના લગ્ન ઉત્તમપુરા (મલાણા) ગામના માનજીભાઈ ભીખાભાઇ ફોફ સાથે કરેલા હતા. જેના લગ્ન જીવન દરમિયાન પરણીતાને ત્રણ સંતાન હતા પરંતુ મનજીભાઈ પોતાની પત્નીને યેનકેન પ્રકારે શારીરિક અને માનસિક ત્રાસ ગુજરાતા હતા. આ દરમિયાન ગત.તા.22 ઓગષ્ટના રોજ ગીતાબેન ફોફને તેમના પતિ મનજીભાઈ ભીખાભાઇ ફોફ અને સાસુ સંતોકબેન ભીખાભાઇ ફોફે તેમના ભાગીયા છોટારામ કાળુજી ડાભી રહે. ઘાઘુ તા.અમીરગઢ,તેમજ ભીમાભાઈ પૂનાભાઈ પરમાર રહે.દલાપુરા જી.પિંડવાડા અને વિશનારામ પરમાર રહે. હિલવાની મદદથી ગળે ટૂંપો આપી મોત નીપજાવ્યું હતું. 

જે મામલે મૃતક ગીતાબેનના ભાઈ દેવજીભાઈ ચૌધરીએ પાલનપુર તાલુકા પોલીસ મથકે પોતાની બહેનને ગળે ટૂંપો આપી હત્યા કરાઈ હોવાની પોતાના બનેવી સહિત પાંચ વ્યક્તિ સામે ગુનો દાખલ કરાવ્યો હતો. મૃતકના શરીર પર ઇજાના નિશાનથી હત્યા કરાઈ હોવાનું માલૂમ પડ્યું હતું જોકે આ તમામ હકીકત છુપાવવા મહિલાના પતિએ તેમની પત્નીનું હાર્ટ એટેકના કારણે મોત થયું હોવાનું તેમના સાસરીપક્ષમાં જાણ કરતા તેમના સાળા દોડી આવ્યા હતા. જોકે મૃતકના ગળા તેમજ શરીરના ભાગે ઇજાના નિશાન જણાઈ આવતા મૃતકની હત્યા કરાઈ હોવાનું જણાઇ આવતા ફરિયાદ નોંધવતા પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

આખરે પોલીસ તપાસમાં મહિલાની હત્યા થઈ હોવાનું સામે આવતા પોલીસે મહિલાના પતિ,સાસુ અને અન્ય 2 લોકોની અટકાયત કરી અને રિમાન્ડ મેળવ્યા હતા. જેમાં પોલીસ દ્વારા રિમાન્ડ પુરા થતાં બે આરોપીઓને જેલમાં મોકલાયા છે તો મહિલાના પતિ સહિત બે આરોપીઓના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

કોની સામે હત્યાનો ગુનો નોંધાયો અને કોની અટકાયત થઈ
1. મનજીભાઈ ભીખાભાઇ ફોફ (પતિ)
2. સંતોકબેન ભીખાભાઇ ફોફ (સાસુ) બન્ને રહે.ઉત્તમપુરા મલાણા
3. છોટારામ કાળુજી ડાભી રહે. ઘાઘુ તા.અમીરગઢ
4. ભીમાભાઈ પૂનાભાઈ પરમાર રહે.દલાપુરા જી.પિંડવાડા.રાજસ્થાન
5. વિશનારામ પરમાર રહે.હિલવા.રાજસ્થાન

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news