વિદ્યાર્થીઓના રૂમમાં નશીલા પદાર્થો હતા, નમસ્તે તો દૂર, ત્યાં અમને જોઈને બધા હસતા હતા: આચાર્ય દેવવ્રત

આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, પૂજ્ય ગાંધીજીનું આદર્શ વાક્ય હતું કે, "આપણા શૌચાલયો એટલા સ્વચ્છ હોવા જોઈએ કે, ત્યાં બેસીને સંધ્યા-પૂજા કરવાનું મન થાય." તેને બદલે ગુજરાત વિદ્યાપીઠના છાત્રાલયોના શૌચાલયો અને સ્નાનાગાર પૂર્ણતઃ ગંદકીથી ભર્યા પડ્યા છે.

વિદ્યાર્થીઓના રૂમમાં નશીલા પદાર્થો હતા, નમસ્તે તો દૂર, ત્યાં અમને જોઈને બધા હસતા હતા: આચાર્ય દેવવ્રત

અતુલ તિવારી/અમદાવાદઃ રાજ્યપાલ અને ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ આચાર્ય દેવવ્રતએ છેલ્લા પંદર દિવસથી વિધાપીઠ પરિસરમાં સ્વચ્છતા અભિયાન ઉપાડ્યું છે. પોતાની જાતને 'ગાંધીયન' ગણાવતા વ્યવસ્થાપકોની વ્યવસ્થામાં ગુજરાત વિદ્યાપીઠ સ્વચ્છતાની દ્રષ્ટિએ ગંદકીનું ઘર બની ગઈ છે. ત્યારે ગુજરાતના રાજ્યપાલ અને ગૂજરાત વિદ્યાપીઠના વાઈસ ચાન્સેલર આચાર્ય દેવવ્રત સાથે ઝી 24 કલાકે ખાસ વાતચીત કરી હતી.

આચાર્ય દેવવ્રતે ઝી 24 કલાક સાથે શું કરી ખાસ વાતચીત?
ગુજરાતના રાજ્યપાલ અને ગૂજરાત વિદ્યાપીઠના વાઈસ ચાન્સેલર આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, ગાંધીના મૂલ્યો મુજબ વિદ્યાપીઠમાં અભ્યાસ થવો જોઈએ. ગાંધીના આદેશ સાચવવા જોઈએ એ હેતુ અને ઉદ્દેશથી કામ કરી રહ્યા છે. હું બાળકોનાં રૂમમાં પહોંચ્યા ત્યારે તેઓ સૂતા હતા. નશાની વસ્તુઓ પડી હતી. અમને જોઈને નમસ્તે કરવું કે ઊભા થવાની પણ તસ્તી લીધી નહોતી. તેમ છતાં હું સતત સફાઈ કામ કરી રહ્યો છું અમને જોઇને બાળકો હસતા હતા. 50 કોર્પોરેશનના કર્મચારીઓ મારી સાથે સફાઈના એક અઠવાડિયાથી જોડાયા છે. 50 કરતા વધુ ટ્રક કચરો કાઢ્યો છે. જો સ્વચ્છતા હતી તો આ કચરો કયાંથી નીકળ્યો?

આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, પૂજ્ય ગાંધીજીનું આદર્શ વાક્ય હતું કે, "આપણા શૌચાલયો એટલા સ્વચ્છ હોવા જોઈએ કે, ત્યાં બેસીને સંધ્યા-પૂજા કરવાનું મન થાય." તેને બદલે ગુજરાત વિદ્યાપીઠના છાત્રાલયોના શૌચાલયો અને સ્નાનાગાર પૂર્ણતઃ ગંદકીથી ભર્યા પડ્યા છે. સ્નાનગૃહોમાં તમાકુના પાઉચ, તૂટેલી પાઇપો અને છાત્રાલયની ગંદી દીવાલો, તૂટેલા પંખા, વિદ્યાર્થીઓના બેહદ ગંદા બિસ્તર અને પારાવાર ગંદકી જોઈને આચાર્ય દેવવ્રતજી અત્યંત વ્યથિત થયા હતા. પૂજ્ય ગાંધીજીના આદર્શો પર ચાલતી સંસ્થામાં ભણતા અને રહેતા વિદ્યાર્થીઓ તમાકુનું સેવન તો ન જ કરતા હોવા જોઈએ. તેને બદલે છાત્રાલયની દિવાલો પર તમાકુની થૂંકની પિચકારીઓ અને લાલ થઈ ગયેલી ફર્શ જોઈને આચાર્ય દેવવ્રતજી ખૂબ દુઃખી થયા હતા. 

આજે સવારે તેઓ એકાએક ગુજરાત વિદ્યાપીઠ પહોંચ્યા હતા અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 25 થી 30 જેટલા સફાઈ કામદારોને બોલાવીને સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું. ગુજરાત વિદ્યાપીઠના કુલનાયક રાજેન્દ્ર ખીમાણી અને રજીસ્ટ્રાર નિખિલ ભટ્ટને પણ તેમણે સમગ્ર વિદ્યાપીઠ પરિસરમાં સ્વચ્છતા જાળવવાનો આગ્રહ કર્યો હતો. 

રાજ્યપાલ અને કુલપતિ આચાર્ય દેવવ્રતજીએ સફાઈકર્મીઓને પ્રોત્સાહિત કર્યા
ઉલ્લેખનીય છે કે, રાજ્યપાલ અને કુલપતિ આચાર્ય દેવવ્રતજીએ આજે ગુજરાત વિદ્યાપીઠ જઈને સ્વચ્છતા અભિયાનમાં શ્રમદાન કરીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સફાઈકર્મીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આઘાત અને આંચકો આપનારી વાસ્તવિકતા તો એ છે કે, લેડી ગવર્નર દર્શનાદેવી સાથે રાજપાલ અને કુલપતિ આચાર્ય દેવવ્રતજી સફાઈ માટે સખત પરિશ્રમ કરી રહ્યા હતા ત્યારે પણ અને આજ સુધી ગુજરાત વિદ્યાપીઠમાંથી એક પણ વ્યક્તિ આ સ્વચ્છતા અભિયાનમાં જોડાઈ નથી. આચાર્ય દેવવ્રતજીએ આવા અભિગમ સામે અત્યંત દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, સ્વચ્છતા માટે ઈચ્છાશક્તિ જોઈએ. જે પરિસરમાં 1400 જેટલા લોકો રહેતા હોય-ભણતા હોય એ પરિસરમાં આટલી ગંદકી હોઈ જ કેવી રીતે શકે ? તેમણે વિદ્યાર્થીઓને દરરોજ નિયમીત શ્રમદાન કરવા આહવાન કર્યું છે.

ગુજરાત વિદ્યાપીઠના કુલપતિનું પદ સંભાળ્યા બાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સ્વચ્છતાને લઈને ખુબ કામ કરી રહ્યાં છે. તેઓ એક દિવસ વિદ્યાપીઠની મુલાકાતે પહોંચ્યા હતા, ત્યારે ત્યાં કચરો અને ગંદકી જોઈને ખુબ નારાજ થઈ ગયા હતા. ત્યારબાદ તેમણે વિદ્યાપીઠમાં સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું હતું. ગુજરાત વિદ્યાપીઠ પરિસરમાં ચાલી રહેલા સ્વચ્છતા અભિયાન અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અત્યાર સુધીમાં 40 ટ્રક ભરીને કચરો-ભંગાર કાઢવામાં આવ્યો છે. ચાર જેસીબી, ડમ્પર તથા ટેન્કર સાથે 40 જેટલા સફાઈકર્મીઓ સ્વચ્છતા અભિયાનમાં લાગ્યા છે. 

રાજ્યપાલ અને ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ આચાર્ય દેવવ્રતજી આજે લેડી ગવર્નર  દર્શનાદેવી સાથે સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા. બન્નેએ સાથે મળીને વિદ્યાપીઠના આદિવાસી સંશોધન કેન્દ્રના મ્યુઝિયમ સંકુલમાં મોટા પાયે સફાઈ કરી હતી. દીવાલો પરથી બાવા-ઝાળાં પાડ્યા હતા. પ્લાસ્ટિકની બોટલો, શીશી જેવો કુડો-કચરો વીણ્યો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજ સુધીમાં 40 ટ્રક ભરીને કુડો-કચરો કાઢવામાં આવ્યો છે. વિદ્યાપીઠનું રમતગમતનું મેદાન સાફ કરીને તેને સમતળ કરવા ચાર ટ્રક ભરીને માટી પાથરવામાં આવી છે. ચાર જેસીબી,  ટ્રેક્ટર પાવડી અને વોટર ટેન્કર સહિત 40 જેટલા સફાઈકર્મીઓ મોટા પાયે સફાઈ કરી રહ્યા છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ બે દિવસ પહેલાં જ્યાંથી કચરો ઉપાડ્યો હતો, તે જગ્યાએ આજે તેમણે કોબીજ, રીંગણા, મરચાં, ટમેટા અને ડુંગળીના ધરુ વાવ્યા હતા.

રાજ્યપાલ અને કુલપતિ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, ગુજરાત વિદ્યાપીઠને પૂજ્ય ગાંધીજીના આદર્શો અનુસાર બનાવવાના આ ઈમાનદાર પ્રયત્ન અને કર્તવ્યનિષ્ઠાથી જરૂર સફળતા મળશે. પૂજ્ય ગાંધીજીના વિચારો ઋષિ વિચારો છે, જેમાં ભારતીય જીવનમૂલ્યો છે. ગાંધીજીના વિચારો સત્યના વિચારો છે, જે હંમેશા અમર રહેશે. તેમણે કહ્યું હતું કે, સૌ સાથે મળીને આ અભિયાન ચલાવીશું તો વધુ દ્રઢતાપૂર્વક ગાંધીજીના આદર્શોનું પુનઃસ્થાપન કરી શકીશું.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ 20 મી ઓક્ટોબરે ગુજરાત વિદ્યાપીઠનું કુલપતિપદ સંભાળ્યું છે ત્યારથી આજ સુધીમાં તેમણે આઠથી નવ વખત ગુજરાત વિદ્યાપીઠની રૂબરૂ મુલાકાત લીધી છે. વર્ષ-1920માં પૂજ્ય મહાત્મા ગાંધીજીએ જે આદર્શ વિચારધારા સાથે ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી છે તે આદર્શો અત્યારે ગુજરાત વિદ્યાપીઠ પરિસરમાં ક્યાંય દેખાતા નથી. પોતાની જાતને 'ગાંધીયન' ગણાવતા લોકોના વ્યવહારિક જીવન જોઈએ તો અત્યંત દુઃખ અને વ્યથા થાય છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news