છેલ્લી ઘડીએ મહત્વકાંક્ષી ચંદ્રયાન-2નું લોન્ચિંગ અટકાવાયું, જાણો શું કહ્યું ISROએ?

ચંદ્ર પર મોકલવામાં આવનારા ઈસરોના મહત્વકાંક્ષી ચંદ્રાયન 2 મિશનને લોન્ચિંગની બરાબર પહેલા જ રોકવામાં આવ્યું. લોન્ચિંગ સિસ્ટમમાં કોઈ ટેક્નિકલ ખામીના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો.

છેલ્લી ઘડીએ મહત્વકાંક્ષી ચંદ્રયાન-2નું લોન્ચિંગ અટકાવાયું, જાણો શું કહ્યું ISROએ?

શ્રીહરિકોટા: ચંદ્ર પર મોકલવામાં આવનારા ઈસરોના મહત્વકાંક્ષી ચંદ્રાયન 2 મિશનને લોન્ચિંગની બરાબર પહેલા જ રોકવામાં આવ્યું. લોન્ચિંગ સિસ્ટમમાં કોઈ ટેક્નિકલ ખામીના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો. ઈસરોએ એક નિવેદન બહાર પાડીને આ જાણકારી આપી. લોન્ચિંગની નવી તારીખની જાહેરાત બહુ જલદી કરવામાં આવશે. વહેલી સવારે 2.51 કલાકે થનારા લોન્ચિંગના કાઉન્ટડાઉન 56:24 અગાઉ મિશન કંટ્રોલ રૂમથી જાહેરાત બાદ 1.55 વાગે રોકવામાં આવ્યું. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ લોન્ચિંગ જોવા માટે શ્રીહરિકોટામાં જ હાજર હતાં. ઈસરો તરફથી લોન્ચિંગ ટાળવાની અધિકૃત જાહેરાત થયા અગાઉ થોડા ભ્રમની સ્થિતિ જોવા મળી રહી હતી. 

ઈસરોએ નિવેદન બહાર પાડીને કહ્યું કે લોન્ચિંગથી લગભગ એક કલાક અગાઉ લોન્ચ વ્હીકલ સિસ્ટમમાં એક ટેક્નિકલ ખામીની જાણ થઈ. સુરક્ષા કારણોસર અમે આજે લોન્ચ થનારા ચંદ્રયાન 2 મિશનને અહીં જ રોકવાનો નિર્ણય લીધો છે. લોન્ચિંગની નવી તારીખની જાહેરાત બહુ જલદી કરવામાં આવશે. 

ઈસરોના અન્ય એક અધિકારીએ જણાવ્યું કે ટેક્નિકલ ખામીના કારણે લોન્ચિંગ ટાળવામાં આવતું હોય છે. લોન્ચિંગ  વિન્ડોની અંદર લોન્ચ કરવું શક્ય નથી. લોન્ચિંગની નવી તારીખ અંગેની જાહેરાત પછીથી કરવામાં આવશે. અંતરિક્ષ એજન્સીએ આ અગાઉ લોન્ચિંગની તારીખ જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં રાખી હતી પરંતુ ત્યારબાદ બદલીને જુલાઈ 15 કરી હતી. 

જુઓ LIVE TV

ચંદ્રયાન 2ના લોન્ચિંગ પર સમગ્ર દેશ અને દુનિયાની પણ નજર હતી. આ મિશન સફળ થયું હોત તો ભારતના અંતરિક્ષ અભિયાનના ઈતિહાસમાં એક સુવર્ણ અધ્યાય જોડાઈ ગયો હોત. આ મિશન સાથે જ ભારત ચંદ્ર પર પહોંચનારો દુનિયાનો ચોથો દેશ બની ગયો હતો. જો કે આ મિશનની સફળતા માટે હવે આપણે થોડી રાહ વધુ જોવી પડશે. 

અત્યાર સુધીના સૌથી શક્તિશાળી લોન્ચિંગ વ્હીકલ જીએસએલવી માર્ક 3 એમ-1 રોકેટ સાથે 978 કરોડ રૂપિયાના ખર્ચે નિર્મિત ચંદ્રયાન 2ના લોન્ચિંગ થવાની સ્થિતિમાં તેને ચંદ્રમા સુધી પહોંચવામાં 54 દિવસ લાગત. ગત અઠવાડિયે લોન્ચિંગ સંલગ્ન પૂર્ણ અભ્યાસ થયા બાદ રવિવારે સવારે 6.51 કલાકે તેના લોન્ચિંગનું  કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું હતું. અનેક વૈજ્ઞાનિકો અને વિશેષજ્ઞોએ કહ્યું છે કે લોન્ચિંગ ટળવાથી થોડી નિરાશા જરૂર થઈ છે પરંતુ સમયસર ટેક્નિકલ ખામીની જાણ થઈ તે એક સારી વાત છે. તેમણે નવી તારીખ જલદી જાહેર થાય તે અંગે પણ આશા વ્યક્ત કરી. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news