કોંગ્રેસ ઈચ્છે તો પાકિસ્તાન જઈને આતંકીની લાશો ગણી આવેઃ રાજનાથ સિંહ

રાજનાથે જણાવ્યું કે, પાકિસ્તાનના બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના ટ્રેઈનિંગ કેમ્પ પર ભારતીય વાયુસેનાના હુમલામાં માર્યા ગયેલા આતંકવાદીઓની સંખ્યા 'આજે નહીં તો કાલે' દરેકને ખબર પડી જ જવાની છે 

કોંગ્રેસ ઈચ્છે તો પાકિસ્તાન જઈને આતંકીની લાશો ગણી આવેઃ રાજનાથ સિંહ

ઢુબરી(અસમ): કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે મંગળવારે જણાવ્યું કે, પાકિસ્તાનના બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના ટ્રેઈનિંગ કેમ્પ પર ભારતીય વાયુસેનાના હુમલામાં માર્યા ગયેલા આતંકવાદીઓની સંખ્યા 'આજે નહીં તો કાલે' દરેકને ખબર પડી જ જવાની છે. સિંહે દાવો કર્યો કે, નેશનલ ટેક્નોલોજી રિસર્ચ ઓર્ગેનાઈઝેશને જણાવ્યું છે કે, ભારતના હવાઈ હુમલા પહેલા એ સ્થળે લગભગ 300 મોબાઈલ ફોન સક્રિય હતા. 

વિરોધ પક્ષ પર હવાઈ હુમલા અંગે રાજનીતિ કરવાનો આરોપ લગાવતા ગૃહમંત્રીએ જણાવ્યું કે, જો કોંગ્રેસ જાણવા માગે છે કે કેટલાક આતંકવાદીનાં મોત થયા છે તો તે પાકિસ્તાન જઈને લાશોની ગણતરી કરી શકે છે. 

બીએસએફના એક સરહદીય પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યા બાદ જનતાને સંબોધિત કરતા રાજનાથે જણાવ્યું કે, "અન્ય રાજકીય પક્ષોના કેટલાક નેતા પુછી રહ્યા છે કે, ભારતીય વાયુસેનાના હુમલામાં કેટલા આતંકવાદીનાં મોત થયા છે. એ બાબત આજે કે આવતી કાલે દરેકને ખબર પડી જશે. પાકિસ્તાન અને તેના નેતાઓ જાણે છે કે કેટલા આતંકવાદીનાં મોત થયા છે."

મૃત આતંકીની સંખ્યા પર સવાલ કરતા વિરોધ પક્ષને ટોણો મારતા રાજનાથે જણાવ્યું કે, "કેટલા મર્યા, કેટલા મર્યા? એનટીઆરઓની પ્રાણાણિક પ્રણાલી કહે છે કે, બાલાકોટમાં 300 મોબાઈલ ફોન સક્રિય હતા. શું આ મોબાઈલ ફોનનો ઉપયોગ ઝાડ કરતા હતા? હવે શું વિરોધ પક્ષ એનટીઆરઓ પર પણ વિશ્વાસ નહીં કરે?"

તેમણે કહ્યું કે, માત્ર સરકાર બનાવવા માટે રાજનીતિ ન કરવી જોઈએ, પરંતુ દેશના નિર્માણ માટે રાજનીતિ કરવી જોઈએ. કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે મંગળવારે અસમના ઢુબરી જિલ્લામાં 61 કિમી લાંબી ભારત-બાંગ્લાદેશ સરહદ પર હાઈટેક ઈલેક્ટ્રોનિક દેખરેખ વ્યવસ્થાનું અનાવરણ કર્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news