સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધિશ પીનાકી ચંદ્ર ઘોષ બન્યા દેશના પ્રથમ લોકપાલ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ન્યાયાધિશ પીનાકી ચંદ્ર ઘોષની દેશના પ્રથમ લોકપાલ તરીકે નિમણૂક કરી છે, તેમની સાથે જ લોકપાલની ટીમના અન્ય સભ્યોની પણ નિમણૂક કરવામાં આવી છે 

સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધિશ પીનાકી ચંદ્ર ઘોષ બન્યા દેશના પ્રથમ લોકપાલ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટમાંથી નિવૃત્ત થયેલા પૂર્વ ન્યાયાધિશ પીનાકી ચંદ્ર ઘોષની દેશના પ્રથમ લોકપાલ તરીકે નિમણૂક કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા આ મંગળવારે આ નિમણૂક કરવામાં આવી હતી. લોકપાલના અન્ય સભ્યોમાં હાઈકોર્ટના ચાર પૂર્વ ન્યાયાધિશ, જેમાં એક મહિલા ન્યાયાધિશનો પણ સમાવેશ થાય છે અને ચાર પૂર્વ સનદી સેવાના અધિકારીઓનો સમાવેશ થાય છે. સુપ્રીમ કોર્ટ દ્વારા ફેબ્રુઆરી મહિનાના અંતમાં અંતિમ સમયમર્યાદા નક્કી કર્યા બાદ આ નિમણૂક કરવામાં આવી છે. 

ગયા અઠવાડિયે વડા પ્રધાનના નેતૃત્વમાં મળેલી પસંદગી સમિતિની બેઠકમાં જસ્ટીસ ઘોષના નામ પર મહોર મારવામાં આવી હતી. લોકપાલ પસંદગી સમિતિમાં વડા પ્રધાન ઉપરાંત લોકસભા સ્પીરક, લોકસભામાં વિરોધ પક્ષના નેતા, દેશના મુખ્ય ન્યાયાધિશ અથવા તો તેમનો કોઈ પ્રતિનિધિ અને રાષ્ટ્રપતિ દ્વારા નામાંકિત કોઈ એક જાણીતી વ્યક્તિનો સમાવેશ થાય છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા પૂર્વ એટોર્ની જનરલ મુકુલ રોહતગીને 'જાણીતી જ્યુરી' તરીકે નિમ્યા હતા. 

લોકપાલના સહાયકોની નિમણૂક
જસ્ટીસ. પી.સી. ઘોષની લોકપાલ તરીકે નિમણૂકની સાથે જ ન્યાયિક સભ્ય તરીકે જસ્ટિસ દિલીપ બી. ભોંસલે, જસ્ટિસ પ્રદીપ કુમાર મોહંતી, જસ્ટિસ અભિલાષા કુમાર, જસ્ટિસ અજય કુમાર ત્રિપાઠીની પણ રાષ્ટ્રપતિએ નિમણૂક કરી છે. ન્યાયિક સભ્યોની સાથે જ સમિતિમાં 4 અન્ય સભ્ય તરીકે દિનેસ કુમાર જૈન, અર્ચના રામસુંદરમ, મહેન્દ્ર સિંહ અને ડોક્ટર ઈન્દ્રજીત પ્રસાદ ગૌતમની પણ રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક કરાઈ છે. 

જસ્ટિસ પિનાકી ચંદ્ર ઘોષ
જસ્ટિસ પિનાકી ચંદ્ર ઘોષનો જન્મ કોલકાતામાં થયો હતો. તેઓ કોલકાતા હાઈકોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધિશ દિવંગત ન્યાયમૂર્તિ શંભુ ચંદ્ર ઘોષના સુપુત્ર છે. કોલકાતાની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં સ્નાતકની ડિગ્રી લીધા બાદ તેમણે કોલકાતા યુનિવર્સિટીમાંથી કાયદાની ડિગ્રી લીધી હતી. કોલકાતા હાઈકોર્ટમાંથી ઓટોર્ની-એટ-લોની ડિગ્રી મેળવી હતી. ત્યાર બાદ 30 નવેમ્બર, 1976ના રોજ તેમણે વકીલ તરીકેની સનદ મેળવી હતી. 

જસ્ટિસ ઘોષની કોલકાતા હાઈકોર્ટના ન્યાયાધિશ તરીકે 1997માં નિમણૂક થઈ હતી. ત્યાર બાદ વર્ષ 2013માં તેમને પ્રમોશન આપીને સુપ્રીમ કોર્ટના ન્યાયાધિશ બનાવાયા હતા. આંધ્રપ્રદેશ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધિશ તરીકે તેમણે તમિલનાડુના તત્કાલિન મુખ્યમંત્રી જે. જયલલીતાની સાથીદાર શશિકલાને સજા સંભળાવી હતી. જસ્ટિસ ઘોષ (66 વર્ષ) મે, 2017માં સુપ્રીમ કોર્ટના ન્યાયાધિશ તરીકે નિવૃત્ત થયા હતા. તેઓ 29 જુન, 2017 સુધી રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના પણ સભ્ય હતા. 

લોકપાલ કાયદો 
લોકપાલનો કાયદો વર્ષ 2013માં બનાવવામાં આવ્યો હતો. આ કાયદા અંતર્ગત કેન્દ્રીય કક્ષાએ 'લોકપાલ' અને રાજ્યોમાં 'લોકાયુક્ત'ની નિમણૂક કરવાની રહેશે. જે ચોક્કસ કેટેગરીના જાહેર સેવકો સામે ભ્રષ્ટાચારની ફરિયાદની તપાસ કરશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news